March 27, 2013

મંદિર : પૈસા ખર્ચનાર શેઠનું કે પત્થર તોડનાર સર્જકનું?

મંદિર અને મૂર્તિ વિનાના કોઈ ભારતવર્ષની કલ્પના થઈ શકતી નથી. મંદિરનું એક સ્થાપત્ય હોય છે. મૂર્તિનું એક શિલ્પ છે. આ શિલ્પ બનાવવાનું એક સૌંદર્યશાસ્ત્ર છે. ભારતીય હિન્દુ વાસ્તુકલા, શિલ્પકલા, મૂર્તિકલા, સ્થાપત્યકલાનું સ્થાન વિશ્વની પ્રાચીનતમ અને શ્રેષ્ઠતમ કલાઓમાં છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી મંદિરો પથરાયેલાં પડ્યાં છે. દરેક નગર, દરેક ગામ, દરેક કસબામાં, ભગ્ન કે ખંડિત મૂર્તિઓ સર્વત્ર છે. બર્બર-તુર્ક-પઠાન આક્રમકો અને ધર્માંધ અને વહશી મુઘલ પાદશાહોએ મંદિરો-મૂર્તિઓની જે અમર્યાદ તોડફોડ કરી છે એ પણ કાશ્મીરથી કન્યાકુમારી સુધી ફેલાયેલી છે. યુરોપીય ઈતિહાસે આવી જંગલી પ્રજા માટે 'વેન્ડાલ' અને એ વિનાશ માટે 'વેન્ડેલીઝમ' શબ્દો વાપર્યા છે. 

ગ્રીસના ઈતિહાસમાં એક અદભુત પ્રસંગ આવે છે. ઈ.સ. પૂર્વે 404માં (આજથી લગભગ 2425 વર્ષ પહેલાં) એથેન્સ હાર્યું ત્યારે સ્પાર્ટાના સેનાપતિઓએ સૂચન કર્યું કે એથેન્સ નગરને બિલકુલ ધરાશાયી કરી નાખવું જોઈએ અને એથેન્સની પ્રજાને ગુલામો તરીકે વેચી નાખવી જોઈએ. એથેન્સે સ્વયં ભૂતકાળમાં હારેલી પ્રજાઓ સાથે આ વ્યવહાર કર્યો હતો. પણ સ્પાર્ટાએ નિર્ણય લીધો કે ગ્રીસે જગતને આટલું બધું આપ્યું છે માટે આ મનુષ્ય સંસ્કૃતિનો નાશ ન થવો જોઈએ! એથેન્સને સ્પાર્ટાએ જીવતું રાખ્યું. આજે સ્પાર્ટા જગતના પટ પરથી ભૂંસાઈ ગયું છે. પણ એથેન્સ જીવે છે, કારણ કે સ્પાર્ટાએ એને જીવતદાન આપ્યું હતું.

બીજા વિશ્વયુદ્ધ સમયે જર્મનો રોમમાં હતા અને બ્રિટિશ-અમેરિકન સેનાઓ રોમની બહાર હતી. જગત વિસ્ફારિત આંખે જોઈ રહ્યું હતું - રોમમાં યુદ્ધ થશે તો બે-અઢી હજાર વર્ષની યુરોપિય સંસ્કૃતિ, મહાન વેટિકન, મહાન સ્થાપત્યો, શિલ્પો, ચિત્રો, ધાર્મિક પરંપરા બધું જ નષ્ટ થઈ જશે! હિટલરનો સેનાપતિ ફિલ્ડ માર્શલ કેસલરિંગ હતો, જે કલારસિક હતો. હિટલરે આદેશ આપ્યો. અડતાળીસ કલાક સુધી બંને દુશ્મનોએ શાંતિ રાખી કે જેથી જર્મનો પીછેહઠ કરીને પાછળ પર્વતોમાં ચાલ્યા જાય અને બ્રિટિશ-અમેરિકન સૈનિકો રોમમાં પ્રવેશ કરીને કબજો લઈ લે! અને એ રીતે જ બન્યું. હિટલરે રોમના અવશેષો અને ભગ્નાવશેષોને ખતમ થવા દીધા નહીં. આજે રોમની ઐતિહાસિકતા સચવાઈ છે કારણ કે બંને પક્ષો શત્રુઓ હતા પણ બર્બર કે વહશી કે વેન્ડાલ કે જંગલી ન હતા.

હિન્દુસ્તાનનો ઈતિહાસ વર્ષો સુધી, દશકો સુધી, શતાબ્દીઓ સુધી આ બર્બર મૂર્તિખંડનના વેન્ડેલીઝમમાંથી પસાર થતો રહે છે. ધર્મ અને આસ્થા એક તરફ રાખીએ. પણ આક્રમક વર્ગ સૌંદર્યનો પણ શત્રુ હતો એ સત્યને કેમ નકારી શકાશે? ભારતના ઈતિહાસને 2500 વર્ષ પહેલાંના સ્પાર્ટનો કે 50 વર્ષ પહેલાંનો હિટલર પણ મળ્યા નહીં. કદાચ બે વિરોધી સંસ્કૃતિઓ ઈતિહાસના ચૌરાહા પર સામસામી ટકરાઈ ગઈ હતી; એ વિશ્વસંસ્કૃતિનું દુર્ભાગ્ય હતું. એક સૌંદર્યની ભાવક હતી, બીજી સૌંદર્યની ભંજક હતી. એક સૌંદર્યવાદી હતી, બીજી સૌંદર્યવિરોધી હતી. એક મૂર્ત હતી, બીજી અમૂર્ત હતી.

મૂર્તિ ભારતીય છે અને પ્રાચીન હિંદુઓએ એનું એક પૂર્ણ શાસ્ત્ર વિકસાવ્યું હતું. મુઠ્ઠીનો ચોથો ભાગ આંગળ હતો અને બાર આંગળનો એક તાલ બનતો હતો. મૂર્તિ પાંચ, છ, બાર, સોળ કે વધારે તાલની બનતી હતી. બાલમૂર્તિથી અસુરમૂર્તિ સુધી એનો વ્યાપ હતો. મનુષ્યમૂર્તિની મુખાકૃતિકેવી હોય? મુર્ગીના ઊંધા ઈંડા જેવી ગોળ. અથવા  પીપળના ઊંધા પાન જેવી. કપાળ એટલે? માથાના કેશથી ભવાં સુધીનો ભાગ એ લલાટ અથવા કપાળ છે. અને એનો આકાર ધનુષ્ય જેવો કહ્યો છે. ભવાં વિષે કેવી કલ્પના છે? પુરુષમૂર્તિમાં લીમડાનાં પાંદડાં જેવાં અને સ્ત્રીમૂર્તિમાં ધનુષ્યાકાર. આંખો વિશે ઘણી ઉપમાઓ છે. સ્ત્રીનાં નયન ચંચળ ગણાવ્યાં છે. અસ્થિરતાથી મર્દન સુધીના ઘણા ભાવ એમાં પૂરી શકાય છે. આંખો હરણ જેવી, માછલી જેવી હોય છે. કમળ જેવી હોય છે ખંજન પક્ષી જેવી હોય છે. કાનનો આકાર કેવો હોય છે? 'લ' વ્યંજન સાથે કાનને સરખાવ્યો છે. કાન ગીધની ઊંચી કરેલી પાંખના આકારનો છે. નસકોરાં ચોળાના દાણા જેવાં છે. નાસિકા તલના ફૂલ જેવી છે. હોઠ ગલગોટાના ફૂલ જેવા છે. ચિબુકને કેરીની ગોટલીની કક્ષામાં મુકાઈ છે. કાન અને ચિબુક જડ છે. ભવાં, નસકોરાં, આંખો અસ્થિર છે, જીવંત છે, ચેતન છે ---

આ હિન્દુઓનું સૌંદર્યશાસ્ત્ર છે. આ અદભુતનો પ્રાંત છે. સ્તનોના અગ્રભાગની શ્યામતા અને નાભિગામિતાનું પણ ધ્યાન રખાયું છે. સ્ત્રીના દેહવર્ણનમાં પ્રાચીન કવિઓ સ્ત્રીની નાભિ ઉપરથી જે હલ્કી રોમરાજિ ઉપર તરફ ઊઠે છે એને પણ શબ્દસ્થ કરી શકે છે. શિલ્પીએ એ દેહના દરેક ભાગ વિશે વિચાર કર્યો છે. ગળા માટે ત્રણ રેખાવાળા શંખના ઉપરી ભાગને આદર્શ ગણ્યો છે. ગળું અને શંખ બંનેમાંથી સ્વર અને ધ્વનિ સ્ફુરે છે. દેહ ગોમુખ જેવો છે,કટિ કે કમર સિંહ જેવી છે. છાતી બંધ દ્વાર જેવી છે. હાથ હાથીની સૂંઢ જેવા છે (આર્યો ભારતમાં પ્રવેશ્યા ત્યારે એમણે એક વિરાટ પ્રાણી જોયું જે એક હાથથી બધું જ કરી શકતું હતું. એ હાથવાળા પ્રાણીને એમણે નામ આપ્યું હાથી!). ખભા હાથીના માથા જેવા છે. સ્ત્રીનું શરીર ડમરુ જેવું છે (આપણા પૂર્વજો પણ 36-24-36ના વાઈટલ સ્ટેટિસ્ટિક્સ વિશે સજાગ હતા, અત્યાધુનિક હતા). શિલ્પશાસ્ત્ર ઉપમાઓના આધાર પર આગળ ચાલે છે. કોણીથી હથેળી સુધીનો હાથ કુમળા કેળના છોડ સાથે સરખાવ્યો છે. આંગળીઓ ચંપાની કળીઓ જેવી છે. સાથળો? સાથળો કેળના થડ જેવી છે. ઘૂંટણ? ઘૂંટણ કરચલાની પીઠ જેવી છે. પિંડી અને નીચેનો પગ મત્સ્યાકાર છે. પગની આંગળીઓ કમળની ખૂલતી ખૂલતી પાંખડીઓ જેવી હોવી જોઈએ. અને આ બધાની સાથે ભાવ છે, ભંગિમા છે.

દેહભંગ માટે પણ શિલ્પ અને નૃત્યશાસ્ત્રોમાં સ્પષ્ટતા છે. દેહના બંને ભાગો સરખા હોય છે. સમંભગની મુદ્રા છે. મૂર્તિની ગતિને ત્રણ ભાગમાં તોડાય છે એ ત્રિભંગની મુદ્રા છે. દેવીઓ અને યુગલો આ ત્રિભંગમા હોય છે. તાંડવનૃત્ય કે યુદ્ધરત મૂર્તિ અતિભંગમાં હોય છે. અને અંતિમ મૂર્તિ, અંતિમ ભંગિમા છે: આભંગ ! એ મૂર્તિ સાધુ પુરુષની છે. બોધિસત્ત્વની છે, વિદ્વાનની છે, પ્રબુદ્ધની છે. આભંગ મુદ્રામાં મૂર્તિનું મસ્તક જમણી તરફ જરા ઝૂકેલું રહે છે...

(Image source: http://anilmenon.com/blog/images/large/bhangasLarge.gif)


કદાચ આપણા સાંસ્કૃતિક ઈતિહાસની સૌથી મોટી કરુણતા એ છે કે આવું દેવી સૌંદર્ય પ્રકટ કરનારા આપણા અમર સ્થપતિઓ-શિલ્પીઓ અનામ રહ્યા છે. આપણે એમનાં નામો પણ જાણતા નથી. આ હિન્દુ સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિની એક વિષમતા છે. અજંતા-ઈલોરા કોણે બનાવ્યાં? ખજૂરાહો અને બેલુર-હલાબીડ કોણે બનાવ્યાં? કોનારક અને મહાબલિપુરમના સ્થપતિ કોણ હતા? દ્વારકા, રામેશ્વરમ, જગન્નાથપુરી કદાચ વધારે પ્રાચીન હશે. પણ વિમળ શાહના દહેરાં કે હઠીસિંહનું દહેરું કે બિડલામંદિર જેવાં શ્રેષ્ઠી નામોવાળા મંદિરો ભારતમાં જ હશે. પ્રશ્ન જરા વેધક છે: મંદિર કોનું હોય છે, જે પૈસા ખર્ચીને બંધાવે છે એનું કે જે સ્થપતિ, શિલ્પી, કલાકાર પથ્થરમાંથી મૂર્તિ બનાવે છે અથવા શૂન્યતામાંથી સર્જન કરે છે એનું? અહીં યુરોપીય અને ભારતીય સંસ્કૃતિઓનો ભેદ બહુ સ્પષ્ટ થઈ જાય છે. આપણો સમાજ હંમેશાં જ વૈશ્યપૂજક કે શેઠપૂજક રહ્યો છે? આ સમાજમાં કેવું બંધારણ છે જ્યાં શેઠ ઉપર અને કલાકાર નીચે છે? આપણ મહાન કવિઓ, નાટ્યકારો, મહાન ગાયકોનાં નામો આપણી પાસે છે પણ મહાન શિલ્પીઓ કે મહાન સ્થપતિઓનાં નામોથી આપણે અપરિચિત છીએ. પથ્થર કે આરસ પર કામ કરનારો શૂદ્ર હતો એ કારણ હશે? કે પછી આપણી સંસ્કૃતિ જ ધનપૂજક છે અને કલાપૂજક નથી? પશ્ચિમમાં આવું નથી.

યુરોપમાં મહેલો, ચર્ચો, કિલ્લાઓ, મઠો બન્યાં. લંડનના સેંટ પોલ્સ કેથિડ્રલને માટે હમેશાં કહેવાય છે કે આ સર ક્રિસ્ટોફર રેનનું નિર્માણ છે. ઈંગ્લંડના વ્હાઈટ હૉલનું બેંકવેટ-હાઉસ સન 1619માં સ્થપતિ ઈનીગો જોન્સે બનાવ્યું હતું. પુનર્જાગૃતિના યુરોપમાં શિલ્પી સ્થપતિઓનાં ડઝનબંધ નામો છે. ફ્લોરેન્સને ધિબર્ટી અને દોતેલોએ બનાવ્યું છે. ફ્લોરેન્સના અતિધનાઢ્ય મેડિસી પરિવારને કોણ ઓળખે છે? એણે કેટલું બધું વિશ્વસંસ્કૃતને આપ્યું છે? પણ જગત એણે પોષેલા એક ગરીબ પરિવારના બીજા પુત્રને ઓળખે છે જે 6ઠ્ઠી માર્ચ 1475ને દિવસે જન્મ્યો હતો. એણે કહ્યું કે હું માત્ર શિલ્પી છું, પણ વિશ્વ એને મહાન ચિત્રકાર તરીકે ઓળખે છે. એના પિતાએ એ ચીતરે એ સામે સખત ક્રોધ કરેલો. એનું નામ પાડ્યું હતું; મિચેલેગ્નીઓલો બોનાર્રોટી સિમોની! પણ આપણે માટે એ મિચેલેન્જેલો કે માઈકેન્જેલો છે!

સેંટ પીટર્સ ચર્ચનો વિરાટ ઘુમ્મટ અને અંદર ચીતરેલું અમર 'સિસ્ટીન ચેપલ'... કયા પોપે એ ચર્ચ બનાવવાના પૈસા ખર્ચ્યા હતા? મિચેલેન્જેલોને તો ફક્ત આ ચિત્ર ચીતરવા માટે ભાડે રાખવામાં આવ્યો હતો! વેનિસ કે ફ્લોરેન્સના ધનપતિઓના ધનથી આખું ઈટાલીઅન સ્થાપત્ય ઊભું થયું છે પણ એમનાં નામો મશહૂર નથી. જે મશહૂર છે એ છે બ્રુનેલેશ્ચી અને ચેલિની અને લિયોનાર્દો દા' વાંચી અને મિચેલેન્જેલો.....! યુરોપમાં વિમળ શાહ કે વસ્તુપાળ-તેજપાળ કે હઠીસિંહ કે બિડલાનાં મંદિરો નથી પણ મહાન સ્મારકો સાથે કલાકારોનાં નામો સંકળાયેલા છે.

જગતના બે સર્વશ્રેષ્ઠ મ્યુઝિયમો - પેરિસનું લુવ્ર અને લેનિનગ્રાદનું હર્મિતાઝ- જોવાના મૌકા મને મળ્યા છે માટે હું મારી જાતને ખુશકિસ્મત સમજું છું. મનુષ્યના હાથ કેવાં દૈવીસર્જનો કરી શકે છે અને હજારો વર્ષથી કરે છે એ મેં આ મ્યુઝિયમોમાં જોયું છે અને પશ્ચિમમાં સર્જકનું નામ જ કલાકૃતિ સાથે લાગે છે, પૈસા ખર્ચનારનું નહીં, એ જોયું છે. સર્જક જ જીવે છે, રૂપિયા લગાવનાર નહીં. પેરીસમાં અઢી હજાર વર્ષ પહેલાંના ફીડીઅન્સઅને પ્રેક્ષીટીલસનાં ભગ્નશિલ્પો છે જેમાંથી જગતભરના શિલ્પીઓની પેઢીઓએ પ્રેરણા મેળવી છે. પણ એ મંદુર બનાવનાર રાજા કે શ્રેષ્ઠીનું નામ નથી. લેનિનગ્રાદમાં ફીડીઅસના શિષ્ય ક્રેસીલ્સનું શિલ્પ છે. બહુ ગર્વથી કહેવામાં આવે છે કે અમારી પાસે પ્રેક્ષીટીલસ છે, સ્કોપાસ છે, લિસીપસ છે (અઢી હજાર વર્ષ પહેલાંના શિલ્પીપ). પણ એમને ભાડે રાખનારા રાજા કે શેઠ કે ધર્મગુરુનાં નામોનિશાન નથી. પેરિસના એફેલ ટાવરનો સ્થપતિ ગુસ્તાવ એફેલ હતો અને ન્યુ યોર્કના સ્ટેચ્યુ ઑફ લિબર્ટીનો સર્જક ફ્રેન્ચ સ્થપતિ ઓગસ્તે બર્થોલ્ડી હતો. અને આ બંને સ્થળો પર જઈને મેં જોયું છે કે સર્જકને એના સર્જન પાસે શું સ્થાન અપાય છે?

પશ્ચિમમાં સર્જકનું નામ જોડવાની પરંપરા છે, ભારતમાં શેઠનું નામ જોડવાની પરંપરા છે. શા માટે? સૌંદર્યનું આ કયું શાસ્ત્ર છે?

(સમકાલીન: 6 માર્ચ 1988)

(પુસ્તક : સમાજ-2)


No comments:

Post a Comment