March 31, 2013

ભૂલ કરવી, પ્રયોગ કરતાં રહેવું એ જ વિજ્ઞાનનો શ્વાસોચ્છવાસ છે

જે જોષી એવો દાવો કરતો રહે છે કે એ હંમેશાં સાચો પડે છે એ જોષીમાં મને જોષી તરીકે નહીં પણ માણસ તરીકે પણ વિશ્વાસ નથી. જેને ભૂલ કરવાનો આટલો ભય છે અથવા જેનામાં ભૂલ કરવાની પણ હિંમત નથી, એ પૂર્ણ મનુષ્ય નથી. જુઠું બોલવું અને ખોટા પડવું એ બે વચ્ચે માણસે સ્વયં પસંદગી કરવાની હોય છે. પોતે હંમેશાં સાચું બોલે છે એવું કહેનારા માણસનું જૂઠ એક રોગની અધોસ્થિતિ પર પહોંચી ગયું છે. સાચા હોવાનો દાવો એ એક હિંદુસ્તાની બીમારી છે, ભૂલ કરવાની તૈયારી કે બહાદુરી કે નિશ્ચિતતા એ અમેરિકન ગુણ છે. અમેરિકામાં નોકરી માટેના બે ઉમેદવારો, એક જવાન અને એક મધ્યવયસ્ક હોય તો ત્યાં જવાનને તક આપવામાં આવે છે. કારણ? એનામાં ભૂલો કરવાની હિંમત છે, એ નવું કરવા તૈયાર છે. એ પ્રયોગ કરીને ભૂલ સ્વીકાર કરે એટલો ઈમાનદાર છે. જૂનો માણસ એની જડ કલ્પિત હોશિયાર અનુભવી સચ્ચાઈના વર્તુળમાં બેસીને એવો મુડદાલ થઈ ગયો છે કે એનામાં નવી ભૂલ કરવાની આગ રહી નથી. પાળેલા કૂતરાને જ બગાઈઓ કરડતી રહેતી હોય છે. શિકારી કૂતરાને બગાઈઓ થતી નથી. ભૂલ કરવી, પ્રયોગ કરતા રહેવું, જૂની ભૂલ સુધારતા રહેવું એ જ વિજ્ઞાનનો શ્વાસોચ્છવાસ છે. જોષી અને વૈજ્ઞાનિકનો મારી દ્રષ્ટિએ ફરજ એક જ છે. જોષી ક્યારેય ભૂલ કરતો નથી, વૈજ્ઞાનિક ભૂલો કરતો રહે છે અને આસમાનના ગ્રહોને સ્પર્શી આવે છે. જોષી કાગળ ઉપર ચોકડીઓ કરીને આકાશના ગ્રહો સાથે રમ્યા કરે છે! શૂન્ય ચોકડીની રમત કદાચ જન્મકુંડળીઓ પરથી જ આવી હશે, નવરા જોષીઓની સામે પડેલી જન્મકુંડળીઓમાંથી.


 
અજ્ઞાતના ક્ષેત્રમાં ચરણ મૂકનારે ભૂલા પડવું પડે છે અને ભૂલ પણ કરવી પડે છે. ક્યારેક આ ભૂલોએ જગતની પ્રગતિ અટકાવી દીધી છે. ક્યારેક ભૂલના અકસ્માતે જગતને શતકો આગળ ફેંકી દીધું છે. વૈજ્ઞાનિક પ્રગતિના બે માર્ગો છે. એક સ્ટીમ એન્જિનનો, જેમાં પ્રગતિ ધીરે ધીરે, કદમ-બ-કદમ, એક એક પગથિયું ચડીને, સંજોગો પ્રમાણે ફેરફારો કરતા રહીને થઈ છે. 1775માં જેમ્સ વૉટના આવવા સુધીમાં તો આગળ કેટલાય માણસો કામ કરી ગયા હતા. પશુશક્તિ, પાણીશક્તિ, પવનશક્તિ અને અંતે ડચ વૈજ્ઞાનિક ક્રિશ્ટીઅન હ્યુજેન્સે દારૂગોળાની શક્તિથી એન્જિન ચલાવવાની કોશિશ કરી હતી, પછી હ્યુજેન્સના સાથી ડેનિસ પેપીને પાણી ઉકાળીને, વરાળ ઠંડી કરીને એંજિન ચલાવવાનો યત્ન કર્યો હતો. આઠ વર્ષ પછી થોમસ સેવરીએ કોશિશ કરી, પછી થોમસ ન્યુકોમેન નામના પ્લમ્બરે પ્રયાસ કર્યો. ન્યુકોમેનના એન્જિનથી કોલસાની ખાણોમાં ભરાતું પાણી બહાર કાઢી શકાયું. પછી જોન સ્મીટને એન્જિન બનાવ્યું પણ એના એન્જિનમાંથી ઘણી ખરી વરાળ બહાર છૂટી જતી હતી. છેવટે જેમ્સ વૉટનું એન્જિન આવ્યું જે વરાળથી ચાલતું હતું. આપણી સ્કૂલોમાં એક બનાવટી વાર્તા શીખવવામાં આવે છે કે જેમ્સ વૉટ અંગ્રેજ સાહસિક હતો. એણે એની માતાના ચૂલા પર પડેલી કીટલીને વરાળથી હાલતી જોઈ અને એને વરાળ સંચાલિત એન્જિન બનાવવાનો વિચાર આવ્યો અને એણે એન્જિન બનાવ્યું. આ બકવાસ છે. જેમ્સ વૉટને કીટલી સાથે કોઈ સંબંધ ન હતો. 

સ્ટીમ એન્જિનની શોધ માટે મશક્કત કરનારા સંશોધકો: ડાબેથી અનુક્રમે ક્રિશ્ટીઅન હ્યુજેન્સ, ડેનિસ પેપીન, થોમસ સેવરી, થોમસ ન્યોકોમેન અને જૉન સ્મીટન... અંતે જેમ્સ વૉટ (છેલ્લે)ને સફળતા મળી.

વૈજ્ઞાનિક પ્રગતિનો બીજો માર્ગ છે: બ્રેક થ્રુ! અથવા એકાએક સિદ્ધિ, એક જ ધડાકે રહસ્ય ખૂલી જવું, કંઈક નવી સામગ્રી અનાયાસ હાથ આવી જવી. અકસ્માત, ભૂલ! ટ્રાન્ઝિસ્ટર એવી જ એક શોધ છે. શરૂમાં ટ્રાન્ઝિસ્ટરમાં મુખ્ય પદાર્થ તરીકે જીરેનિયમ વપરાતું હતું જે ઈલેક્ટ્રોનને ત્વરાથી ફરવા માટે સારું માધ્યમ હતું. એ સિલિકોન કરતાં વધારે યોગ્ય માધ્યમ પણ હતું. પણ સિલિકોનનો ઉપયોગ કરતાં એક ફાયદો એ જોવા મળ્યો કે એને કારણે મુખ્ય અંગ અથવા "ચીપ"ના ઉપર ઓક્સાઈડનો થર જામી જતો હતો, જેનાથી ચીપની રક્ષા થતી હતી! આજે સિલિકોનનું તંત્રજ્ઞાન વિશ્વભરમાં ફેલાઈ ગયું છે. કોમ્પ્યુટર ક્ષેત્રના બે પ્રસિદ્ધ નામો માઈક્રોપ્રોસેસર અને સુપર કન્ડક્ટર પણ આ જ રીતે બ્રેક થ્રુ દ્વારા એટલે કે પ્રેરણાગત, અકસ્માત ઉપલબ્ધ થયેલી સિદ્ધિઓ છે. જો કે ભૂલથી થઈ ગયેલા અકસ્માતો કે એ પ્રકારની સિદ્ધિઓ પ્રમાણમાં બહુ જ ઓછી હોય છે.

વિચિત્ર પરિસ્થિતિઓ સરજાવી કે વર્ષો સુધી ભૂલભરેલી માન્યતાઓ સ્વીકારાવી વિજ્ઞાનવિશ્વમાં સ્વાભાવિક છે અને ક્ષમ્ય પણ છે, કારણ કે વૈજ્ઞાનિક અજ્ઞાતભૂમિનો સંશોધક છે. મહાન ન્યુટને એના સમયમાં આગાહી કરી હતી કે સૂર્યમાં મનુષ્યવસતિ જરૂર છે! અને જગતે ન્યુટનને એની ભૂલ માટે ક્ષમા પણ આપી દીધી છે. ન્યુટન એના અમીટ યોગદાન માટે વિજ્ઞાનના ઈતિહાસમાં અમર છે. ઘણી વાર માણસ ખોટો પણ પડે છે. ભૂલ પણ કરે છે, ઘણીવાર એ એના દેશકાળ કરતા ઘણો આગળ નીકળી ગયેલો દ્રષ્ટા કે મનીષી હોય છે. એને ખોટો સમજનાર દુનિયા ખોટી હોય છે અને એના મરી ગયા પછી એની "ભૂલ" સત્ય બનીને મનુષ્યજાતિ માટે પથપ્રદર્શક બને છે. 

આઈઝેક ન્યૂટન, ટૉલેમી, નિકોલસ કોપરનિકસ અને યોહાનેસ કૅપલર

 ટોલેમીનું નામ સર્વકાલીન મહાન ખગોળશાસ્ત્રીઓમાં ગણાય છે. એણે કહ્યું હતું કે આ પૂરા બ્રહ્માંડનું કેન્દ્રબિંદુ પૃથ્વી છે અને આ ભૂલ જગતે 1500 વર્ષ સુધી સ્વીકારી ! જગતની પ્રગતિ 1500 વર્ષો સુધી ટોલેમીના આ એક વિધાને અટકાવી દીધી. પછી કોપરનિકસે આવીને કહ્યું કે એવું નથી, પણ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. સૂર્ય પૃથ્વીની આસપાસ ફરતો નથી. બ્રહ્માંડનું કેન્દ્રબિંદુ પૃથ્વી નથી. પણ સૂર્ય છે. ટોલેમીની "ભૂલ" સુધારવાનું પાપ કરવા માટે કોપરનિક્સને ભયંકર સહન કરવું પડ્યું. કેથલિક ચર્ચે કોપરનિક્સના પુસ્તકની સખત બદનામી કરી. માર્ટિન લ્યુથર જેવા ક્રાંતિકારી ધર્મપ્રવર્તકે કહ્યું: બેવકૂફ પોલ ! (પોલ એટલે પોલેન્ડનો નાગરિક એ અર્થમાં.) કેલ્વિન અને બેકન જેવા વિચારકોએ કોપરનિક્સની મજાક ઉડાવી. અંતે યોહાનેસ કેપલર અને ચાર્લ્સ ન્યુટને કોપરનિક્સના સિદ્ધાંતને અનુમોદન આપ્યું અને સત્ય સ્વીકારાયું. આજે કોપરનિકસ આધુનિક ખગોળશાસ્ત્રનો પિતા ગણાય છે.

કેપલરને પણ એ જ તકલીફ પડી. એ હાઈસ્કૂલમાં ગણિતનો શિક્ષક હતો. ઈશ્વર એને એક સજારૂપ લાગતો હતો. જ્ઞાન ભયથી પ્રાપ્ત થતું નથી. જિજ્ઞાસાથી પ્રાપ્ત થાય છે એ કેપલરનું સ્પષ્ટ મંતવ્ય હતું. આજથી બરાબર 400 વર્ષ પહેલાં કેપલરે 1589માં માલર્બન છોડ્યું. પહેલે વર્ષે સ્કૂલમાં એના વર્ગમાં થોડા વિદ્યાર્થીઓ હતા. બીજે વર્ષે એક પણ વિદ્યાર્થી આવ્યો નહીં. એ સારો શિક્ષક પણ ન હતો. કેપલરનો એ જમાનો હતો જ્યારે દૂરબીન હજી શોધાયું ન હતું અને જગત એમ જ માનતું હતું કે આકાશમાં છ ગ્રહો છે. કેપલરનું કહેવું હતું: શા માટે ફક્ત છ જ ગ્રહો? શા માટે, આઠ, દસ, પંદર, વીસ નહીં? આવા વિચારો માટે કેપલરને દેશનિકાલ કરવામાં આવ્યો. યોહાનેસ કેપલરે એક જ વાક્ય કહ્યું: હું દંભ ક્યારેય શીખી શક્યો નથી...

ભૂલ કોણ કરે છે, શોધક કે જગત? વૈજ્ઞાનિક પોતાની ભૂલ તરત જ સ્વીકારી શકે છે પણ જગત એટલું જલદી પોતાની ભૂલ પણ સ્વીકારી શકતું નથી. અને એટલું જલદી ભૂલી પણ શકતું નથી. સત્યમેવ જયતે નામનો મુદ્રાલેખ જગતને બહુ મોડો સમજાય છે પણ અન્ય દુનિયાઓની જેમ, વિજ્ઞાનની દુનિયામાં પણ સત્યનો જ જય થાય છે. જો કે પોતાના જીવનકાળ દરમિયાન જ માણસના સત્યનો જય થવો જરૂરી નથી. ઘણી વાર માણસનું સત્ય જગત એના મૃત્યુ પછી સ્વીકારતું હોય છે.

જ્યોર્જ સાઈમન ઓહ્મ એક જર્મન સ્કૂલ શિક્ષક હતો. વિદ્યુતના ક્ષેત્રમાં ઓહ્મ શબ્દ આજે એક માપ કે સંજ્ઞારૂપે વપરાય છે. ઓહ્મે કહ્યું કે વિદ્યુતનો પ્રવાહ વીજળીના તાર સાથેના આંતરિક ઘર્ષણ પર આધાર રાખે છે. આને ઓહ્મના નિયમ તરીકે વિદ્યુતશાસ્ત્રમાં સ્થાન મળ્યું છે: બૅટરીના વૉલ્ટેજ પ્રમાણે પ્રવાહની વધઘટ થાય છે અને તાર સાથેના આંતરિક ઘર્ષણ સાથે ઊંધા અનુપાતમાં એ પ્રવાહની વધઘટ થતી રહે છે. 1826માં ઓહ્મનો નિયમ પ્રકટ થયો અને એના માથા પર આસમાન તૂટી પડ્યું. એનો ઉપહાસ કરવામાં આવ્યો. જ્ઞાનીઓએ એના વિચારને તોડીફોડી નાખ્યા અને કોલોન નગરમાં ઓહ્મ જ્યાં નોકરી કરતો હતો ત્યાંથી એને રાજીનામું આપી દેવું પડ્યું. 

વર્ષો સુધી ઉપહાસ અને અવહેલના સહન કર્યા પછી ઓહ્મને પોતાનું સ્થાન પુન:પ્રાપ્ત થયું. એ સાચો હતો, એની ભૂલ જ સત્ય હતી, એને ઉતારી પાડનાર વિદ્વાનો ખોટા હતા. ઓહ્મ એટલો ખુશકિસ્મત હતો કે એના જીવનકાળ દરમિયાન જ, પણ વર્ષો પછી 1849માં એને ભૌતિકશાસ્ત્રનો પ્રોફેસર બનાવવામાં આવ્યો.

વિજ્ઞાન અને તંત્રજ્ઞાનમાં દરેક અન્વેષક જ્યૉર્જ ઓહ્મ જેટલો સૌભાગ્યવાન હોતો નથી. કેટલીય શોધો ઘણી પહેલાં થઈ ચૂકી હતી પણ તત્કાલીન સમાજ એ સ્વીકારવા તૈયાર ન હતો એવું મનાય છે કે આજનાં લેસર કિરણો જેવા જ કિરણો મેક્સિકોની આઝટેક પ્રજાએ વાપર્યાં હતાં. દિલ્હીમાં ઊભેલો લોહસ્તંભ સેંકડો વર્ષોથી વરસાદ અને તડકામાં ઊભો જ છે અને એને કાટ લાગ્યો નથી. લોખંડને શુદ્ધ કરવાની કોઈક કલા કારીગરી આપણી પાસે હતી જે કાલની ગર્તામાં ખોવાઈ ગઈ છે. પ્રાચીન ઈજિપ્તમાં જ્યારે ટોલેમીનું રાજ્ય હતું ત્યારે એક સ્ટીમ એન્જિન શોધાયું હતું અને એનું કામ હતું દીવાદાંડી પર પાણી ચડાવવાનું. બહુ જ આરંભિક યાંત્રિક પંપ એમાં જોડવામાં આવ્યો હતો અને આ દીવાદાંડી ફારોસના ટાપુ પર હતી. પણ એના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. રાજાને થયું કે જો પંપ હશે તો મજૂરો કામ નહીં કરે. મધ્યકાલીન બગદાદમાં એક ઈલેક્ટ્રિક બૅટરી બનાવવામાં આવી હતી પણે અમાં સંશોધન કરવા પર મનાઈ ફરમાવવામાં આવી. એવો ભય હતો કે હસ્તઉદ્યોગો આવી શયતાની શોધથી નાશ પામશે. પોપોવ નામના શોધકે પ્રથમ રેડિયો-સેટ બનાવ્યો ત્યારે લોકોને થયું કે આ એક મનહૂસ યંત્ર છે અને એમણે રોષમાં આવીને એ સેટ તોડી નાખ્યો. ઘઉં દળવા માટે રોમમાં એક પાણી દ્વારા ચાલતી મિલ બનાવવામાં આવી હતી. આ દ્રષ્ટાંતમાં પણ રાજાએ નિષેધ ફરમાવ્યો, કારણ કે એને લાગ્યું કે ગુલામો નકામા થઈ જશે. જો આવાં મશીનો કામ કરવા માંડશે તો માણસોનું શું કરીશું?

વિજ્ઞાન અને કલાનો એક ફરક છે. કલામાં મારા પૂર્વજ અને મારી વચ્ચે માત્ર એક ભાવનાત્મક સંબંધ છે, જે બિંદુ પર અટકે છે ત્યાંથી મારે શરૂ કરવાનું નથી. મારું આરંભબિંદુ અને મારું અંતબિંદુ મારા જીવનની જેમ મારાં પોતાનાં છે. વિજ્ઞાનની દુનિયામાં એક આઈનસ્ટાઈનની પાછળ એક ન્યુટન જરૂર રહેલો છે. ન્યુક્લીઅર પાવર કે સૌરઊર્જા કે વિદ્યુતની પાછળ કોલસો છે અને કોલસાના પહેલાં લાકડું ઊર્જાનો સ્ત્રોત હતું. વિજ્ઞાન એક પરંપરા છે, કલાઅંશત: એક પ્રણાલિકાનું ભંજન છે. કલામાં ભૂલ નામનો શબ્દ બાહ્ય છે, બહુ સાંદર્ભિક પણ નથી. વિજ્ઞાનમાં ભૂલ એ બુનિયાદ છે અને ગુંબજ છે. ભૂલ એક સહાયક શબ્દ છે.  

ક્લોઝ અપ:
દવા મારી ધર્મપત્ની છે, પણ સાહિત્ય મારી પ્રિયા છે. જ્યારે હું એકથી થાકી જઉં છું ત્યારે જઈને બીજી સાથે સૂઈ જઉં છું. 
- એન્ટન ચેખોવ
(મહાન રશિયન નાટ્યકાર-વાર્તાકાર, જે વ્યવસાયે ડૉક્ટર હતો).

"Medicine is my lawful wife and literature my mistress; when I get tired of one, I spend the night with the other."

(સમકાલીન : જૂન 11, 1989)
(પુસ્તક: યુવતા / વિજ્ઞાન વિશે/ચંદ્રકાંત બક્ષીના ઉત્કૃષ્ટ નિબંધો)

No comments:

Post a Comment