June 30, 2013

યુવા એટલે?

ક્યારેક અસ્પષ્ટ અને બેજવાબદાર રીતે વપરાતા શબ્દો છે : યુવાન, યુવક, યુવતી, જવાન, યુવા, યૌવન, યુવતા! યુવા એટલે શું? ખૂણામાં ઘૂસીને એક કિસ કરી લો એટલે યુવાવસ્થા? પાનવાળાની દુકાને એક સિગારેટ ખરીદીને આયનામાં જોઈને પીવા લાગો એટલે યુવાની? હું ધારું છું કે કેટલાક દમિત સેક્સગ્રંથિથી પીડિત ગુજરાતીઓની યુવતાની વ્યાખ્યા ક્રિકેટની રેડિયો કૉમેન્ટરીથી અનિલ કપૂરના ભુસ્કાથી ડ્રગની વાતોની નિર્વીર્ય બીભત્સ રમૂજો સુધી જ ફેલાયેલી હોય છે. યુવતાને સેક્સ સાથે કેટલો સંબંધ છે? અંગ્રેજીમાં એક સરસ વિધાન છે : ચર્ચા કરતાં પહેલાં વ્યાખ્યાઓ વિશે સ્પષ્ટ થઈ જાઓ ! યુવા એટલે શું...એ કરોડ રૂપિયાનો પ્રથમ પ્રશ્ન છે. યુવાવસ્થાની વ્યાખ્યા? 

આયુષ્ય એટલે જન્મથી મૃત્યુ સુધીનો કાળ, પણ અવસ્થા એટલે જન્મથી વર્તમાન સુધીનો કાળ. આયુષ્ય વિભિન્ન અવસ્થાઓમાં વિભાજિત છે. 

શૈશવ એટલે શિશુકાળ, જ્યારે બાળક ઊભું થઈને દોડતું નથી એ અવસ્થા. એ શૈશવાવસ્થા છે, અને શિશુનો પર્યાયવાચી અંગ્રેજી શબ્દ છે ઈન્ફન્ટ. એ કાળ છે ઈન્ફન્સી. પછી આવે છે બાલ્યાવસ્થા અથવા ચાઈલ્ડહૂડ. બાળક કે બચ્ચાનો નિકટતમ શબ્દ છે : ચાઈલ્ડ. આ પછીની એક અવસ્થા છે કિશોરાવસ્થા. કિશોર એ છે જેનો બુદ્ધિવિકાસ શરૂ થયો છે. કિશોર જુલે વર્ન વાંચે છે, પરાક્રમકથાઓ વાંચે છે. કિશોરી એનિડ બ્લિટનની રોમાંસકથાઓ તરફ ઝૂકે છે. કિશોર એ અંગ્રેજીમાં પ્રિ-ટિન્સ અને આરંભિક ટિન્સ છે. અંગ્રેજીમાં થર્ટીનથી નાઈન્ટીન (13થી 19) એ ટિનએજર કહેવાય છે. અમેરિકનો તો હવે 'ટિન' શબ્દ સીધો જ વાપરતા થયા છે. કિશોર પ્રેમ કરતો નથી. એ સ્કૂલના નવમા-દસમા ધોરણમાં છે, એને ખૂબ ભૂખ લાગે છે, મનના વિકાસ  કરતાં એના તનનો વિકાસ વધારે ઝડપી છે. પછી આવે છે કુમારાવસ્થા. છોકરીઓમાં કૌમાર્ય! કુંવારી શબ્દ આ કાળનો છે, પણ એ શબ્દ વધારે દૈહિક છે. હવે પેન્ટ છ મહિનામાં ટૂંકું પડે છે. હવે સ્કૂલની જુનિયર કૉલેજની પિકનિકમાં જવાની મમ્મી રજા આપે છે. શેવિંગ કરવું એ ગર્વની વાત છે. છોકરીઓ માટે આ પશ્ચાતકિશોરાવસ્થા અને આરંભ-કુમારાવસ્થા માટે બે સરસ, સૂચક સંસ્કૃત શબ્દો છે : કન્યા અને તરુણી ! કન્યા શબ્દની ધાતુ વિશે વિવિધતા છે. કન એટલે ઈચ્છા કરવી, જે ઈચ્છા કરે છે એ કન્યા છે. બીજો એક અર્થ છે: કેન ઈયમ નેયા ઈતિ ન નિશ્ચિતમ, કોણ એને સ્વીકારશે એ નિશ્ચિત નથી. એક ત્રીજો અર્થ પણ છે, કમનીયા ઈતિ કન્યા. જે કમનીય છે એ કન્યા છે. માટે કહેવાયું છે કે નિર્દોષન કન્યાદર્શન એટલે કે કન્યાનું દર્શન એક નિર્દોષ ક્રિયા છે. તરુણી શબ્દ તૃ પરથી આવે છે. જેના પરથી તરુ અથવા વૃક્ષ શબ્દ બન્યો છે. તૃ એટલે ઊગવું, વિસ્તરવું, ઓળંગવું. એ છોકરી જેણે બાલ્યાવસ્થા ઓળંગી લીધી છે એ તરુણી છે. 

આ યુવાવસ્થા નથી, કુમારી એ યુવતી નથી. પંદર વર્ષની છોકરી સત્તર વર્ષના છોકરાને 'પ્રેમ' કરે એ પ્રેમ નથી, એને અંગ્રેજીમાં 'કાફ લવ' (વાછરડાંઓનો પ્રેમ) કહેવાય છે. સોળ વર્ષની છોકરી કે સત્તર વર્ષનો છોકરો ભાગીને પકડાય તો એમને માટે 'જ્યુવેનાઈલ ડિલિક્વન્સી' (છોકરડાંની છોકરમસ્તી) શબ્દો વપરાય છે. એ એડલ્ટ કે વયસ્ક કે પુખ્ત કે સગીર કે બાલિગ નથી, એ ડિલિક્વન્ટ છે, એમણે ઍડલ્ટરી (વ્યભિચાર) કરી નથી. માત્ર ઍડલ્ટ જ ઍડલ્ટરી કરે છે; છોકરડાં નહીં. આ છોકરમસ્તી માટે એમને સુધારગૃહો અથવા કરેક્શનલ હોમ્સમાં મુકાય છે. અઢાર વર્ષનું કોઈ છોકરડું ('કિડ' એક સરસ અમેરિકન શબ્દ છે.) સેક્સના ઠેકડાઓની વાતો કૉલર ઊંચો કરીને કરવા માંડે તો એ ભયાનક કંટાળાજનક અને નિંદાપ્રેરક વિષય છે... આ બધા યુવાન નથી. 

કૉલેજનું છેલ્લું વર્ષ યુવતાનું પહેલું વર્ષ છે. 21, 22 કે પછી યુવતા શરૂ થાય છે. એમાં સિગારેટ દર ત્રણ સેકંડે એક  વાર ખંખેરવી પડતી નથી, રાખ એની મેળે જ પડી જાય છે. એ અવસ્થામાં મોટરસાઈકલને કિક માર્યા પછી સ્પીડોમીટર તરફ જોવાતું નથી. એ દિવસો જીવનની પ્રથમ ગંભીર ચિંતાના દિવસો છે. જે મૂર્ખ માણસો એમ સમજે છે કે જવાની એટલે 24 કલાક ઈશ્કબાજી કરવાની મૌસમ છે એ મૂર્ખ માણસો બાયોલૉજિકલી અથવા વંશવિજ્ઞાનની દ્રષ્ટિએ વ્યવસ્થિત નપુંસક માણસો હશે. યુવાવસ્થા એ સ્થિતિ છે જ્યારે દરેક વ્યક્તિ પુરુષ કે સ્ત્રી બને છે, અને જીવનના ત્રણ અત્યંત મહત્ત્વપૂર્ણ પ્રશ્નોથી સંઘર્ષ કરે છે:

(1) સાથીની પસંદગી, (2) કારકિર્દીની પસંદગી, (3) ધર્મ કે વિચારધારાની પસંદગી. જવાની, મારી દ્રષ્ટિએ, માત્ર ફિલ્મી નટનટીઓના ફોટાઓ જોઈને ખુશખુશાલ થઈ જવાની સીઝન નથી. યુવાવસથા એક કઠિન કાલખંડ છે, કારણ કે ગુજરાતીઓ (લેખકો અને પત્રકારો પણ) કુમારાવસ્થા અને કિશોરાવસ્થાને જ યુવાવસ્થા સમજીને વર્ત્યા કરે છે. અમેરિકન સ્લેંગમાં કહું તો : ધે આર ક્રેઝી મિક્ષ્ડ અપ કિડ્ઝ ! કાફ-લવ પાછળ રહી ગયો છે. સિગારેટ અને એક પૅગ વ્હીસ્કીનો ચાર્મ હવે જૂનો થઈ ગયો છે. હવે જે યુવતીને પરણવું છે, એની સાથે એક ઘર બનાવવું છે અને એ ઘર લેવા માટે જવાનીનાં પાંચ-દસ વર્ષોની કાળી મજૂરી, કાળો ઑવરટાઈમ, કાળો પસીનો બધું જ મોરગેજ મૂકી દેવું પડે છે! કારણ કે એ સ્ત્રી સાથે ચાંદનીમાં 'આઈ લવ યૂ!' કહેવાનું નથી, પંખા વિનાના રસોડામાં સ્ટવ જલાવી આપવાનો છે. જવાની નવું ઘર છે, પુરુષ માટે; અને જવાની નવું ઘર,, નવો વિસ્તાર, ક્યારેક નવું શહેર કે નવો દેશ છે, સ્ત્રી માટે. યુવાવસ્થા જ આ સાહસ આપે છે. 20 કલાકનો પરિશ્રમ અથવા દરિયાપાર પહેલી વાર જઈને એક અજનબી પુરુષ સાથે 20 વર્ષ જીવવાની શરૂઆત. જ્યારે હું યુવકો અને યુવતીઓનું અપરિચિતના વિશ્વમાં કૂદી પડવાનું સાહસ જોઉં છું ત્યારે માત્ર એમને સલામ કરી શકું છું. યુવાવસ્થા મર્દની મર્દાઈ અને ઔરતની સવાઈ-મર્દાઈનો વિષય છે. 

સાથીની પસંદગી એ પ્રથમ યુવા ચેલેન્જ છે. કારકિર્દી કે ધંધાની પસંદગી યુવતાની બીજી ચેલેન્જ છે. મજૂરી કરતા રહેવાનું છે, સાંજના તૂટીને ઘેર જઈને ઘરનો બૅલ વગાડીને હસતા રહેવાનું છે. તરક્કી કરવાની છે. એ સ્ત્રી તમારી સાથે છે, તમારા દુ:ખમાં, અને એ સ્ત્રી તમારી સાથે રહેશે તમારા સુખમાં. જો તમારામાં ખાનદાની હશે તો સ્ત્રી માટે પતિ અને સંતાનો એક તરફ, ઑફિસની બદગુમાં, બદનુમા, બદઝુમાં દુનિયા બીજી તરફ, અને એ યુવતીએ પૂરા ઘરની આધારશિલા બનીને ખડકની જેમ ઊભા રહેવાનું છે. હું  આને યુવાન સમજું છું. ત્રીજી પસંદગી છે રાજનીતિક, ધાર્મિક, આર્થિક, સામાજિક. તમે હિંદુ છો કે મુસ્લિમ, સ્વામિનારાયણ છો કે શિયા. એકાદશી કરો છો કે જુમ્માની નમાઝમાં જાઓ છો? તમે ભાજપપક્ષી છો કે કૉંગ્રેસી કે જનતાદલીય કે સામ્યવાદી? તમે મૂડીવાદી સમાજરચનામાં માનો છો કે સમાજવાદમાં? તમારું કોઈ દાયિત્વ છે તમારી અપરિણીત મામાની છોકરી માટે કે મિત્રની  વિધવા માટે કે દૂધ આપવા આવનારની સ્ત્રીની વિકલાંગ પુત્રી કે વૉચમૅનના આંધળા પિતા માટે? પશ્ચિમના સમાજશાસ્ત્રીઓ આ ત્રીજી પસંદગીને ફેઈથ અથવા શ્રદ્ધાની પસંદગી કહે છે. 

બસ, આ ત્રણ પ્રશ્નો જો તમારી સામે હોય... પતિ કે પત્નીની પસંદગી, નોકરી કે ધંધાની પસંદગી, શ્રદ્ધાની પસંદગી... તો તમે મારી આંખોમાં યુવાન કે યુવતી છો. આ જ યુવતા છે. બાકી હુસ્ન, ઈશ્ક, ઉલ્ફત, મુહબ્બત, મેરી જાન...ભૂક્ખડ ફાલતુઓની દુનિયાના શબ્દો છે. 

ક્લૉઝ અપ: 

જો તું એક મિનિટને સાઠ સેંકડોની દોડથી ભરી શકે તો આ પૃથ્વી અને એમાંનું બધું જ તારું છે. અને એથી પણ વધારે - તું માણસ બનશે, મારા પુત્ર ! 
                                                           - રુડયાર્ડ કિપ્લિંગની કવિતા 'જો'માંથી

                                                                                                    (દિવ્ય ભાસ્કર : જાન્યુઆરી 25, 2004) 

(શબ્દપર્વ)

જિંદગી, જિંદગી : શોખથી જીવવું, શાનથી મરવું

લંડનના 'ટાઈમ્સ'માં જૂન 2, 2013ના અંકમાં એક વિજ્ઞાપન હતું. એ લોકો માટે જે આંખોની રોશની ખોવાના હતા, જેમની આવતીકાલ અંધકારમાં ડૂબી જવાની હતી. પણ આજ તમારા અંકુશમાં છે, અને આજે જીવી શકાય છે. શું શું કરી શકાય છે? આજે લોંગ ડ્રાઈવ પર જાઓ. બાળકોને વાર્તા વાંચી સંભળાવો. ઈન્ટરનેટને સર્ફ કરો. બારમાં જઈને બારમેઈડને જોયા કરો. પતંગ ઉડાવો. સ્ટોરમાં જઈને ભાવતાલ કરો. રૂમ સજાવો. ટોળામાં ખોવાઈ જાઓ. સુપરમાર્કેટમાં ફરો. ઈલેક્ટ્રિકનો બલ્બ બદલો. પ્રદર્શનમાં જાઓ. રસ્તો ક્રોસ કરીને પાછા આવો. સાઈકલ ચલાવો. લોટરીની ટિકિટ ખરીદો. ટીવી જુઓ. ચા બનાવો. બગીચામાં ફરી આવો. તાશ રમો. વાળને જુદી રીતે ઓળો. ચેક લખો, અને ફાદી નાખો. લોકલ ટ્રેનમાં આંટો મારી આવો. સીધા સૂઈને એક પુસ્તક વાંચો. રૂમમાં વસ્તુઓ સાફ કરો. એમની જગ્યાઓ બદલો. કોઈ પણ અનજાન સ્ત્રીને ફોન કરો. ચહેરા પર હલકો મેક-અપ લગાવો. કોઈની કહો કે એ સરસ લાગે છે. હસો. આવતીકાલે કદાચ આંખોની રોશની ચાલી જશે ! આ પૂરી સૂચિ અંગ્રેજ જીવનની છે, પણ આમાં ભારતીય પરંપરા પ્રમાણે ફેરફાર કરી શકાય છે. પાન ખાઓ. છાશ પીઓ. ખરખરે જઈ આવો. સવારે મંદિરમાં જઈને આરસની ફર્શ પર ખૂણામાં બેસીને જે વિધિઓ થાય છે એ જુઓ, સાંભળો. પત્નીએ બનાવેલા બટાટાના શાકની તારીફ કરો. આ પત્યા પછી ઊંઘી જાઓ! ડાબી તરફ પડખું ફેરવીને. ઘસઘસાટ. 

ઘણા માણસો 85મે વર્ષે આવનારા મૃત્યુ સુધીનું પ્લાનિંગ કરતા હોય છે, ઘણાને 58મે વર્ષે નિવૃત્ત થયા પછી શું કરીશું એ ખબર હોતી નથી. રૂપિયા કમાઈ લીધા, હવે એમાંથી બહાદુરી અને કુનેહ અને હિમ્મતનાં તત્ત્વો પસાર થઈ ગયાં છે. હવે જે છોકરાને તમે 6ઠ્ઠે મહિને તકિયાઓ ગોઠવીને બેસતાં શીખવ્યું હતું એ હવામાં ઊડી રહ્યો છે. હવે લોકોના સ્મિતમાંથી તમને ઉપહાસ દેખાયા કરે છે. હવે ટેલિફોન અને ડૉરબૅલ ઓછા વાગે છે. હવે ગઈકાલનો પશ્ચાતાપ અર્થહીન છે, હવે આવતીકાલની ચિંતા અપ્રસ્તુત છે. હવે આજને પણ શોધતા રહેવું પડે છે. અને એક વર્ષના 365 દિવસો છે અને એક દિવસના 24 કલાકો છે અને એક વર્ષના 8760 કલાકો થાય છે. જર્મનીમાં વૈજ્ઞાનિક સંશોધન કરીને નિષ્કર્ષ કાઢવામાં આવ્યો કે એક જર્મન માણસ વર્ષના 8760 કલાકોમાંથી 2900 કલાકો સૂઈ રહે છે, એટલે જાગૃત અવસ્થાના એની પાસે 5860 કલાકો બાકી રહે છે. વૃદ્ધ અવસ્થાની કરુણતા એ છે કે આ એક કલાક પણ 120 મિનિટ જેટલો લાંબો હોય છે. વીસમી  સદીના શ્રેષ્ઠ વૈજ્ઞાનિક ડૉક્ટર આલ્બર્ટ આઈનસ્ટાઈનને અંતિમ ઑપરેશન કરવાનું હતું. એમણે કહ્યું: બનાવટી રીતે જિંદગી લંબાવ્યે રાખવી અર્થહીન છે. મેં મારું કર્મ કરી લીધું છે. હવે વિદાયનો સમય થઈ ગયો છે! મૃત્યુ સામાન્ય માણસને હલાવી નાખે છે. જીવતાં આવડવું એક વાત છે. મરતા આવડવું બીજી વાત છે. ઘણા એવા પણ હોય છે, જેમને શોખથી જીવતાં આવડે છે, અને શાનથી મરતાં આવડે છે... 

અને ઘણા એવા હોય છે જે જિંદગીના છેલ્લા કલાકો કે દિવસો સુધી ઈશ્વરે આપેલી બધી જ ઈંદ્રિયોની ભરપૂર મજા લૂંટતા હોય છે. ગર્દિશે-આસમાની ત્રાટકે ત્યારે બડી મહર્બાની, બડી મહર્બાની...નાં ગીતો ગાઈ શકનારા ખુશદિલ લોકો પણ હોય છે. શરીરમાં સેંકડો અંગો અને ઉપાંગો આપણી ઈચ્છા પ્રમાણે સક્રિય થવાનાં નથી, કે મરવાનાં નથી. જમણી આંખની ઉંમર 40 વર્ષની હશે, ડાબી આંખ 60ની થઈ હશે, જમણો કાન 30 ટકા સાંભળતો હશે, અને ડાબા કાનની શ્રવણશક્તિ હજી 80 ટકા ટકી રહી હશે. હિંદુ માણસે શુભ અને અશુભની જુદી જુદી જવાબદારીઓ જમણા અને ડાબા હાથને સોંપી દીધી છે. મૃત્યુની મજા એ છે કે ચિતા ઉપર નિશ્ચેતન દેહની સાથે સાથે બધાં જ વિશેષણો સળગી જાય છે. અને વિશેષણોની રાખ પડતી નથી, વિશેષણોમાંથી ધુમાડો ઊઠતો નથી... 

પ્રશ્ન એક જ છે ; જિંદગી, તારી નર્મ બાંહોમાં હું કેટલો બુઝાઈ શકું છું? જન્મની ક્ષણથી મૃત્યુનું કાઉન્ટ-ડાઉન શરૂ થઈ જાય છે! દરેક જિવાતી ક્ષણ માણસને મૃત્યુ તરફ ધકેલતી રહેતી હોય છે. કાળધર્મ પામ્યા અને દેહલીલા સમાપ્ત કરી અને અવસાન પામ્યા અને નિર્વાણ થયું જેવા શબ્દપ્રયોગો વાંચું કે સાંભળું છું ત્યારે કોઈ અરુચિકર વ્યંજન ઉપર આકર્ષિત કરવા માટે ગાર્નિશ કર્યું હોય એવી ફિલિંગ થયા કરે છે.

મૃત્યુ વિશેની મારી માન્યતા જુદી છે. જિંદગી ફાની છે, લા-ફાની નથી. બૅક્ટેરિયા અને વાયરસ જીવનશાસ્ત્રના શબ્દો નથી, એ જીવશાસ્ત્રના શબ્દો છે, અને મારો એવા શબ્દો સાથેનો સંબંધ અત્યંત સીમિત છે. જીવનને મૃત્યુના સંદર્ભમાં જોવું એ દર્શન છે. મારી 'સમકાલ' નામની નવલકથાના અંત તરફ નાયક રનીલ કથાની નાયિકા આશ્નાને કહે છે, એ મને જીવન અને મૃત્યુ વિશેના સૌથી વધારે પ્રામાણિક વિચારો લાગ્યા છે. આશ્ના ! સાથે સુખી થવા કરતાં સાથે દુ:ખી થવામાં વધારે આત્મીયતા છે... બે દુ:ખોનો સરવાળો સુખ બની જાય છે... કેટલાના તકદીરમાં સાથે દુ:ખી થનાર મળે છે? સાથે સાથે દુ:ખો જીવવાની ઉષ્મા કેટલાના ભાગ્યમાં હોય છે? આશ્ના ! ખુશીથી રડી લે! ખૂબ ખુશીથી રડી લે! આંસુઓ ભીંજવી શકે એવી છાતી મળતી નથી... અને એક દિવસ એકલા રડવું પડે છે, રડી લેવું પડે છે !... 

જીવન અને મૃત્યુ વિશેની મારી સમજ બહુ સરળ છે. વહેતું પાણી છે. પાણીમાં બરફનો ટુકડો તરી રહ્યો છે. બરફની અંદર બંધ પાણી છે. એક દિવસ બરફનું બંધન ઓગળશે કે તૂટશે. એક દિવસ બરફની કૈદમાંથી પાણી મુક્ત થશે. એક દિવસ અંદરનું બંધ પાણી બહારના વહેતા પાણીમાં ડૂબી જશે. કદાચ એને જ મૃત્યુ કહેતા હશે. મુક્તિનું બીજું નામ. 

મૃત્યુ આવે ત્યાં સુધી જીવતા રહ્યા કરવું એ ઘણાને માટે નિવૃત્તિની વ્યાખ્યા છે. નિવૃત્તિ એટલે, મારી દ્રષ્ટિએ, કોઈના આદેશ કે હુકમથી હું કામ કરું છું એ અંતિમ ક્ષણ પસાર થઈ ગયા પછીની પ્રવૃત્તિ, જેમાં હું જ માલિક છું અને હું જ નોકર છું. હું મનસ્વી રીતે, સ્વેચ્છાથી, મને ગમે એ કામ કરતો રહું. પહેલાં પાંચ કલાક કામ કરીને થાક લાગતો હતો, હવે દસ કલાક કામ કરીને સંતૃપ્તિ મળે છે. નિવૃત્તિ અને પ્રવૃત્તિની વ્યાખ્યાઓ દરેક વ્યક્તિએ પોતે નક્કી કરી લેવાની હોય છે. અને આંકડાઓનું યથાર્થ ધ્રુજાવે એવું છે. સન 2016 સુધીમાં દર 1000 ભારતીયોમાંથી 86ની ઉંમર 60 વર્ષની ઉપરની હશે. અને આજે ભારતની વયસ્ક વસતિમાંથી માત્ર 11 ટકા લોકોને જ વૃદ્ધાવસ્થા માટે સોશલ સિક્યુરિટી કે સામાજિક સલામતીનું કવર છે. નિવૃત્તિનું આયોજન એક એવો વિષય છે, જે હજી આપણને સ્પર્શ્યો નથી!

અને જીવતા માણસને મૃત્યુનો અનુભવ હોતો નથી પણ ઊંઘ એ મૃત્યુનો 'ડ્રાય રન' છે, રિહર્સલ છે. કદાચ માટે જ સંસ્કૃતમાં મૃત્યુ માટે 'ચિરનિદ્રા' જેવો શબ્દ અપાયો છે. 

(અભિયાન, ઑક્ટોબર 4, 2003)

(નેપથ્ય/શ્વાસની એકલતા) 

June 29, 2013

મૃત્યુ વિશે...

સાચો લેખક માત્ર બે જ વિષયો પર લખી શકે, સેક્સ અને મૃત્યુ; અને આ વિચાર કવિ ડબ્લ્યુ એચ. ઓડેનનો હતો. સેક્સ પર લખવું પ્રમાણમાં સરળ છે પણ એમાં લક્ષ્મણરેખા સાચવવી પ્રમાણમાં કઠિન છે. મૃત્યુ વિશે ઈમાનદારીથી જ લખી શકાય. જેણે પ્રિયજનના મૃત્યુને કરીબથી જોયું છે, જેણે નિશ્ચેષ્ટ શરીર પર આંગળીઓ ફેરવી છે અને એ મૃત શરીરમાં કોઈ સ્પંદન, કોઈ થર્રાહટ અનુભવી નથી એ માણસે મૃત્યુની વિભીષિકાને સ્પર્શ કર્યો છે. પગની બર્ફીલી ઠંડક. વધેલા નખ. ધ્રૂજતા હાથથી બંધ કરેલાં બંને આંખોનાં પોપચાં. અને એ જીભને સ્પર્શ કરતી વખતે ધ્રુજારી છૂટી જાય છે. એ જીભ પથ્થર જેવી સખ્ત અને સ્થિર બની ગઈ છે. હવે ફક્ત એક ફોટો રહી ગયો છે, સ્ટ્રોબેરી રંગની સાડી, સોનેરી કિનાર અને ફોટામાં થીજી ગયેલું અર્ધસ્મિત. અને ફોટામાંથી વિષાદી આંખો જોઈ રહી છે; એ આંખો, જે ફોટામાં હવે ક્યારેય બંધ થવાની નથી. નિષ્પલક આંખો. એક આંખ એક અંધને દ્રષ્ટિ આપશે, બીજી આંખ બીજી અંધ વ્યક્તિને દુનિયા બતાવશે, જે દુનિયા કદાચ એણે ક્યારેય જોઈ નથી. કોઈક બે અનામ ચહેરાઓમાં આ બે આંખો જીવતી રહેશે, અને એ બે ચહેરાઓ કોના છે એ ક્યારેય કહેવામાં આવતું નથી. પણ નિકટજન માટે હવે આ બે અપલક, જોઈ રહેલી આંખો ફોટામાં બિડાવાની નથી. અને નિકટજનની આંખો નમ થઈ જાય છે. છલકાવું, પણ ન રડવું. અને નિકટજનના નિકટજનોના ભાવુક આગ્રહથી ઈસીજી કઢાવી લેવો પડે છે. પેલ્પીટેશન છે. હાર્ટ-બીટ્સ જરા ઈરરેગ્યુલર છે. ડૉક્ટર એની ડૉક્ટરી ભાષામાં સાંત્વન આપે છે. બ્લડ પ્રેશર નોર્મલ છે. ટેઈક ઈટ ઈઝી... 

બધી જ આધ્યાત્મિક વાતો, બધો જ ધર્મ, બધું જ સ્પીરીચ્યુઆલીઝમ બકવાસ લાગે છે. મૃત્યુ એ સત્ય છે. ડેગ હેમરશોલ્ડે લખ્યું હતું : મૃત્યુ એ ફ્રેમ છે, ફક્ત તમારે એમાં જિંદગીનાં રંગો પૂરી લેવાના છે. જે ક્ષણે પ્રસવ થાય છે એ જ ક્ષણથી શિશુનું મૃત્યુ તરફનું કાઉન્ટડાઉન શરૂ થઈ જાય છે. હું માનું છું કે ગર્ભાધાનની ક્ષણથી મૃત્યુ તરફનું કાઉન્ટડાઉન શરૂ થઈ જાય છે. તમે જે જે વસ્તુઓ કે વ્યક્તિઓ જોઈ રહ્યા છો, પેન, ખુરશી, ગ્લાસ, ટીવી, બંગલો, નેહાબહેન, સલિલભાઈ, અટલ બિહારી બાજપેયી... એ બધા પર એક અદ્રશ્ય એક્સપાયરી-ડેટ લખેલી છે. જેનો જન્મ થઈ ગયો છે એનો અંત, એનું પૂર્ણવિરામ, એનું મૃત્યુ અવશ્યંભાવી છે. ૐ અર્થાય નમ:ની સાથે સાથે ૐ અનર્થાય નમ: પણ એટલું જ સત્ય છે. શબ્દોની શતરંજ, વિચારોની છિનાઝપટી, મંતવ્યોની ચોપાટ આપણે જીવનભર રમતા રહીએ છીએ. જાતસ્ય હિ ધ્રુવં મૃત્યુ. નિધન એટલે નિવૃત્તં ધનં યસ્માત. રઘુવંશમાં લખ્યું છે : મરણં પ્રકૃતિ: શરીરિણામ. જીવનની બદલાતી કૅમિસ્ટ્રી માટે ધર્મ પાસે કોઈ ચિકિત્સા નથી, અને ધર્મનું નિદાન પણ ભ્રામક છે. સાંત્વન એક અસહાય સમાધાન છે. માણસ 9 સેકંડમાં પણ મરી શકે છે, અને 9 વર્ષો પછી પણ મોત આવતું નથી. જન્મવું આપણા હાથમાં નથી, મરવું આપણા હાથમાં છે પણ ઈચ્છામૃત્યુ માટે ભીષ્મ પિતામહ બનવું પડે છે, મકરસંક્રાંતની રાહ જોતાં જોતાં શરશય્યા પર સૂતા રહેવાની હિમ્મત અને ધૈર્ય બહુ ઓછામાં હોય છે. એક જાપાનીઝ કહેવત છે: મૃત્યુ પીંછા કરતાં પણ હલકું છે, અને મૃત્યુ પહાડ કરતાં પણ વજનદાર છે ! પ્રિયજનના શરીરને અગ્નિની પાવક જ્વાલાઓને સોંપી દેવું, 'અગ્નિસંસ્કાર' કરવા, અને પછી સળગી ગયેલાં હાડકાંને પાણીથી અને દૂધથી ધોઈને અસ્થિ બનાવી દેવાં અને એ અસ્થિકુંભને વહેતા પાણીમાં વહાવી દેવો... આ વિધિવિધાન છે. ઈંગ્લંડમાં આને 'એશીઝ' કહેવાય છે, અમેરિકામાં 'ક્રિમેઈન્સ' કહે છે. અગ્નિ સર્વત્ર પૂજ્ય છે. અસ્થિ મરેલાની જીવતાને ભેટ છે.

ગુજરાતી ભાષામાં "મૃત્યુ પામ્યા" કહેવાય છે, જીવન પામ્યા એમ કહેવાતું નથી. મૃત્યુ ઉપલબ્ધિ છે, પ્રાપ્તિ છે, સિદ્ધિ છે. અંગ્રેજી શબ્દો "પાસ્ડ અવે" મને વધારે ગમે છે. એ પસાર થઈ ગયા, ગુજરી ગયા. રવીન્દ્રનાથ ટાગોરે કદાચ મ્રુત્યુના આ યથાર્થને બરાબર આત્મસાત કર્યું હતું. ટાગોરે લખ્યું : .... અને મૃત્યુમાં એ જ અજ્ઞાત પ્રકટ થશે જેને હું હંમેશ ઓળખતો રહ્યો છું. અને કારણકે મેં આ જીવનને પ્રેમ કર્યો છે, મને ખબર છે હું મૃત્યુને પણ એ જ રીતે પ્રેમ કરીશ...!

ઈશ્વર સિવાય સૃષ્ટિના દરેક જીવને મૃત્યુનો આશીર્વાદ છે. જે જીવે છે એને વધારે જીવવું છે, આપણે વધારે જિવાડવું છે, માટે મૃત્યુ સ્વીકાર્ય નથી. પણ મનુષ્યને મૃત્યુનો આશીર્વાદ છે, ઈશ્વરને નથી. ઈશ્વર મરતો નથી, મરી શકતો નથી. પ્રશ્ન બહુ દાર્શનિક બની જાય છે. જો અસ્તિત્વ છે તો એનું પૂર્ણવિરામ છે, એની સમાપ્તિ છે, એનો અંત છે. જો ઈશ્વરનું અસ્તિત્વ હોય તો એનું મૃત્યુ જરૂર થવું જોઈએ. અને અહીં પ્રશ્ન બહુ જ સરળ બની જાય છે જેનો ઉત્તર અત્યંત કઠિન છે : ઈશ્વર છે કે નથી? અને તર્ક-વિતર્ક-પ્રતિતર્કના ધુમ્મસમાં પ્રશ્ન અલોપ થઈ જાય છે. જો ઈશ્વરનું અસ્તિત્વ હોય તો એ અસ્તિત્વનો અંત જરૂર હોવો જોઈએ. અહીં તર્કને અટકવું પડે છે, અહીં શ્રદ્ધાએ જન્મવું પડે છે.

પણ ક્રૂર વાસ્તવ આંખોની સામે છે. એ ડેન્ચર રાખવાની ડબ્બી, એ વાંચવાનાં બાય-ફોકલ ચશ્મા. દુનિયા હવે સત્ય અને અસત્યની પર ચાલી ગઈ છે. સત્ય એ છે કે એ અવાજ જે લોબીમાંથી સંભળાતો હતો, હજી પણ વચ્ચે વચ્ચે સંભળાઈ જાય છે અથવા સંભળાઈ જવાનો આભાસ થઈ જાય છે. એ અવાજ નથી, એનો પડઘો નથી, એ નથી. જે ધૂન, જે ટ્યુન, જે લય સંભળાતી હતી એ ગીતનું ગણાગણાવું, એ ગીત ગાયબ છે. કબાટ ખોલો છો અને કપડાં ઝૂલી રહ્યાં છે, હાલ્યા વિના. ગડી કરેલાં વસ્ત્રો અકબંધ વ્યવસ્થિત પડ્યાં છે. સોફા પરના એ ખૂણામાં બેસીને ટીવી જોવાતો હતો. ડાઈનિંગ ટેબલ પરની એ જ ખુરશી, એ ખાલી ખુરશી જેમાં હવે તમે બેસો છો. પલંગની નીચેથી તમે તમારી સ્લીપર્સ કાઢાવા જાઓ છો અને એ સ્લીપર્સ બીજી છે, પહેરાયા વિનાની. એ રીસ્ટ-વૉચ, જે તમારી બેટીએ એની મમ્મીને છેલ્લાં જન્મદિવસ પર ભેટ આપી હતી...અને એક ક્સકની જેમ એક પ્રશ્ન ચૂભતો રહ્યો હતો, હવે કેટલાં જન્મદિવસો....?

મૃત્યુ પછી સમજાય છે કે આત્માની પણ એક ખૂબસૂરતી હોય છે, પારદર્શક અને સૌમ્ય, એ ખૂબસૂરતી જે આપણાને ક્યારેય સમજાઈ ન હતી. મૃત્યુ ઘણાં રહસ્યો ખોલી નાંખે છે. જિંદગી બધાં ક્ષેત્રોમાં પહેલાં આવવાની એક જીવલેણ દોડ હતી, અને ડાયાબિટીસ અને હાયપર-ટેન્શનનાં ઈનામો જીતવાનાં હતાં. મૃત્યુ ગતિરોધ નહીં, પણ સ્વપ્નભંગની અવસ્થા હતી. અમરત્વનો હેંગઅપ આપણને છેલ્લા કલાકો સુધી રહ્યા કરે છે. ગ્રીસમાં કહેવાય છે કે વૃક્ષ એના પગ પર ઊભું ઊભું જ મરી શકે છે. માણસ તૂટી પડે છે ત્યારે મરે છે. અથવા પ્રિયજનના મૃત્યુની સાથે સાથે આપણી જિંદગી પણ થોડી થોડી મરી જાય છે. એ મૃત્યુ તમારું થોડું જીવન પણ ઈલેક્ટ્રિક ક્રિમેટોરીઅમમાં સળગાવી નાંખે છે. હવે દિશા ડાર્ક ખમોશીની છે, જ્યાં આવતીકાલ નથી. ઈતિ.

ક્લૉઝ અપ :

હમ કા ઓઢાવે ચદરિયા, ચલતી બિરિયા.                                                     - કબીરદાસ

(અર્થ: વિદાયના સમયે મને આમ ચાદર શા માટે ઓઢાડો છો?)

(અભિયાન: ફેબ્રુઆરી 28, 2004)

(લવ... અને મૃત્યુ/શ્વાસની એકલતા)

લવ અને સેક્સ : શબ્દકોશની બહાર નીકળી ગયેલા શબ્દો

લવ અને સેક્સ શબ્દો સ્વદેશી નથી, પણ આપણે દિલ મોટું રાખીને ગુજરાતીમાં સ્વીકારી લીધા છે. લવ એટલે પ્રેમ, અને સેક્સ એટલે સેક્સ ! કરોડો શબ્દો લખાયા છે આ બે વિષયો પર, અને હજી કરોડો શબ્દો લખાશે, પણ બે પગ પર ચાલતા દરેક પુરુષ કે સ્ત્રીનો આ બે શબ્દોનો અનુભવ વિશેષ નહીં પણ સવિશેષ હોય છે, માટે અભિવ્યક્તિ પણ સવિશેષ હોય છે. ફ્રેંચ પ્રજા આ બંને શબ્દોની માહિર ગણાય છે, કારણ કે રોમાન્સ શબ્દ મૂળ ફ્રેંચમાંથી આવ્યો છે. ફ્રેંચ ભાષામાં આમુર (Amour) એટલે પ્રેમ! પણ જો એ એકવચનમાં હોય તો નરજાતિ ગણાય, અને બહુવચનમાં હોય તો શબ્દ નારીજાતિનો બની જાય છે! એ જ રીતે "ઝેન્સ" શબ્દનો અર્થ થાય છે : લોકો! જો આ શબ્દની આગળ વિશેષણ હોય તો એ નારીજાતિનો શબ્દ છે, અને જો આ શબ્દની પછી વિશેષણ લાગે તો એ નરજાતિનો શબ્દ બની જાય છે! ફ્રેંચોમાં નર અને નારીને સમાન હક્કો છે.... અને લવ માટે વપરાતાં વિશેષણો સામાન્ય નહીં હોય, એ માટે આપણે જો એક નવો શબ્દ બનાવીએ તો એ "સવિશેષણો" હશે!

દુનિયામાં જેટલી સ્ત્રીઓ છે એટલી લવની થિયરીઓ છે, અને જેટલા પુરુષો છે એટલી સેક્સની થિયરીઓ છે. નિષ્ફળ નવલકથાકારો અને સફળ નવલકથાકારોમાં એક બુનિયાદી ફર્ક એ છે કે નવલકથાની વાચકો અધિકાંશ સ્ત્રીઓ હોય છે અને લેખકો પુરુષો હોય છે અને સ્ત્રી-વાચકોને સેક્સમાં નહીં પણ રોમાન્સ કે લવ વિષે વાંચવામાં રસ હોય છે. જ્યારે પુરુષ નવલકથાકારો સેક્સમાં સરકી જતાં બહુ વાર લગાડતા નથી. સ્ત્રીને સેક્સની જુગુપ્સામાં રુચિ નથી, સ્ત્રીને રેશમી રોમાંસની મદ્ધિમ રોશનીમાં ખોવાતા રહેવાનું ગમે છે. ઘણાખરા પ્રસિદ્ધ ગુજરાતી નવલકથાકારોનો સ્ત્રીનો અનુભવ 13 વર્ષના છોકરાનો અનુભવ છે, અને એમનાં સ્ત્રીવર્ણનોમાં 13 વર્ષના છોકરાના હોઠ પર ફરતી જીભ જોઈ શકાય છે. પ્રસિદ્ધ થવું સહેલું છે, સિદ્ધ થવું જરા અઘરું છે.

પ્રેમ અને સેક્સની વચ્ચેની સ્થિતિઓ વિષે હિંદુ અને ગ્રીક, બંને પ્રાચીન પૌર્વાત્ય અને પાશ્ચાત્ય સંસ્કૃતિઓમાં ઉલ્લેખો, અને પ્રસંગો છે. હિન્દુ સંસ્કૃતિમાં ધર્મના 3 પુત્રોમાંથી એકનું નામ "કામ" હતું અને કામની પત્ની રતિ હતી. કામક્રીડા અને રતિક્રીડા આપણી ભાષાના શબ્દો છે, પણ એ બંને શબ્દો વચ્ચે શું તાત્વિક ફર્ક છે એ ગુજરાતી પ્રજાના આધુનિક વાત્સ્યાયન સેક્સવિશારદ ડૉક્ટર પ્રકાશ કોઠારી જ કદાચ સમજાવી શકશે!

આપણા કામદેવના સહોદર જેવો ક્યૂપિડ પશ્ચિમમાં છે. ક્યૂપિડ અથવા ઇરૉસ એ પ્રેમનો દેવતા હતો. પિતા જ્યૂપિટર હતો, અને માતા સૌંદર્યદેવી વિનસ હતી. સૂચક વાત એ છે કે ક્યૂપિડની પત્ની અપ્સરા સાઇકી હતી, જેના પરથી માનસશાસ્ત્રના શબ્દો આવ્યા છે. આપણી રતિ સાથે દૈહિક કે લૈંગિક સંબંધો જોડાયેલા છે, વિદેશી સાઇકી સાથે માનસિક ધારાઓ જોડાયેલી છે ! ગ્રીકોએ ઇરોસને સ્થાને એગેપ જેવો એક શબ્દ પણ વાપર્યો છે.

ડૉ. કિનસે વિશ્વના સર્વકાલીન સેક્સ-સંશોધકોમાં સ્થાન પામે છે, એમણે સેક્સ વિષે એક વિરાટ કિનસે-રિપૉર્ટ પ્રકટ કર્યો હતો. પણ એ રિપૉર્ટમાં "લવ" શબ્દ ક્યાંય નથી! સમાજશાસ્ત્રી પીટીરીમ સોરોકીનના પ્રતિષ્ઠિત અભ્યાસગ્રંથ "ધ વેઝ ઍન્ડ પાવર ઑફ લવ"ની અનુક્રમણિકામાં "સેક્સ" શબ્દ માત્ર બે વખત જ આવે છે. ઇતિહાસકાર વિલ દુરાન્તે એક વેધક વાત કહી હતી : લગ્ન માત્ર બાળકો અને સંપત્તિ માટે જ શોધાયું ન હતું, પણ લગ્નનો આશય સેક્સના અસહ્ય તનાવમાંથી મુક્તિ આપવાનો પણ હતો. એટલે કે લગ્ન મનુષ્યના મનને સેક્સમુક્ત કરે છે! લગ્ન સેક્સને હોલવી નાખનારો અગ્નિ છે...? 

પ્રેમ શબ્દ આપણો નથી, સંસ્કૃત નાટકોમાં નથી, પ્રાચીન શાસ્ત્રોમાં નથી, પ્રેમ શબ્દ કવિ ઉમાશંકર જોષીના મત પ્રમાણે ઇમ્પોર્ટેડ છે, એ આપણી વિભાવના નથી. આપણે ત્યાં "લવ" શબ્દ આવ્યો અને કોઈ મહાન જ્ઞાનીએ એના પર્યાયરૂપ "પ્રેમ" શબ્દ આપણને બનાવી આપ્યો હોય એ બિલકુલ સંભવ છે. આપણે ત્યાં એ માનસિકતાની જુદી જુદી કક્ષાઓ માટે વાત્સલ્યથી અભિસાર સુધી અનેક શબ્દો આપણા પ્રાચીન અને મધ્યકાલીન કવિઓ અને નાટ્યકારોએ પ્રયોજ્યા છે. અભિસાર એક સરસ શબ્દ છે, જેમાં સુખ અને દુ:ખના બંને વિપરીત ભાવો એકસાથે આવી જાય છે. આવો અદભુત શબ્દ સંસ્કૃત ભાષા અને હિંદુ બુદ્ધિ જ આપી શકે...

પ્રાણીશાસ્ત્રીઓએ અભ્યાસ કરીને સુમાત્રાના ઉરાંગઉટાંગ બંદરો વિષે એક નિષ્કર્ષ કાઢ્યો છે. ઉરાંગઉટાંગનો અર્થ મલય ભાષામાં "જંગલનો માણસ" થાય છે, અને સંસ્કૃત "વાનર" શબ્દની પાછળ પણ વન+નરની વ્યુત્પત્તિ છે. આ ઉરાંગઉટાંગ નર અને માદા સાથે રહે છે, પણ માદા જેવી ગર્ભવતી થાય છે કે ઉરાંગઉટાંગ નર એને છોડીને ભાગી જાય છે. બચ્ચાં ઉછેરવાનું કામ માદા એકલી જ કરે છે. આ ઉરાંગઉટાંગવૃત્તિ પશ્ચિમના મનુષ્ય એટલે કે પુરુષના મનમાં આજે પણ તરત સપાટી પર આવી જાય છે!

(અભિયાન મે 17, 2003)

(64 લેખો)

પશ્ચિમ અને સૌંદર્ય

પશ્ચિમની ધારા શરીરકેન્દ્રી છે, આપણે આત્માને પકડવામાં એક આખી જિંદગી આપણા જ શરીરનું લોહી પી જઈએ છીએ! સેક્સી બનવા માટે પશ્ચિમની સ્ત્રી એના પૂરા શરીર સાથે શું કરી શકે છે? આંખોની આસપાસની સૂજન અને કૂંડાળા કાઢવા માટે એ બ્લેફેરોપ્લાસ્ટી કરાવે છે. અથવા લેસર દ્વારા કરચલીઓ ઓછી કરાવે છે. નાકને સરસ આકાર આપવા, અને નસકોરાનાં "કરેક્શન" માટે એ રાઈનોપ્લાસ્ટી કરાવે છે. પૂરા ચહેરાને ફેસ-લિફ્ટ કરાવે છે. જો સ્તન વધારે ભરાવદાર હોય તો સપ્રમાણ કરવાનું ઑપરેશન થાય છે, અને સ્તનોને પુષ્ટ અને મસ્ત કરવા હોય તો સેલાઇનના ઇમ્પ્લાન્ટ મુકાવવામાં આવે છે. પેટ અંદર કરવા માટે "ટમી-ટક" થાય છે જે પેટને આકાર આપે છે. સાથળો અને નિતંબોમાં જામી ગયેલી વધારાની ચરબી ખેંચી લેવા માટે લિપોસક્શન કરવામાં આવે છે. સ્ત્રીના શરીરને સેક્સી બનાવવા એક વિરાટ સેક્સ-ઉદ્યોગ પૂરબહારમાં છે. સ્ત્રીનું શરીર બનાવનાર ભગવાનની ભૂલો સુધારવા માટે બ્યુટિશિયનોની પૂરી ફોજ ખડેપગે તૈયાર છે!

પશ્ચિમ પશ્ચિમ છે. પહેલાં શરીર, પછી આત્મા! સૌષ્ઠવથી માર્દવ સુધીના અનગિનત શબ્દો વિષે કોઈ દોષભાવ નથી. સપ્રમાણ, સુરેખ, સેક્સી શરીર એ લપેટેલી સાડીમાં ઢાંકવાની વસ્તુ નથી, શરીરનાં અંગો મજા કરવાનાં સૂત્રો અને કેન્દ્રો છે. પશ્ચિમમાં જાહેરખબરો આવતી રહે છે જેનું લક્ષ્ય પૈસા ખર્ચનારી સ્ત્રીઓ છે : તમારા ચિકનના ઈંડાં જેવા સ્તનોને શાહમૃગનાં ઈંડા જેવાં બનાવો! સેક્સ એ જબરદસ્ત મોટો ઉદ્યોગ છે.

(અભિયાન : મે 17, 2003)

(64 લેખો)

અમેરિકનોનો શોખ : આઈ વિલ સ્યૂ યૂ !

અમેરિકા જનારા ભણેલા ગુજરાતીઓ એક વાક્ય વારંવાર સાંભળતા રહેતા હોય છે : આઇ વિલ સ્યૂ યૂ! હું તારા પર કેસ કરી દઈશ! વાત વાતમાં કેસ કરી દેવાની ધમકી અમેરિકન જીવનની એક વિશેષતા છે. અને વકીલાતનો ધંધો અમેરિકામાં એક અત્યંત સમૃદ્ધ ધંધો છે. અને વકીલોની સંખ્યામાં પણ અમેરિકા વિશ્વના પ્રથમ દેશોની કક્ષામાં આવે છે. એક વાર એક વયસ્ક મહિલા પર મેકડોનલ્ડની કૉફી પડી ગઈ, એણે કેસ કરી દીધો, 29 લાખ ડૉલર આ મહિલાને આપવાનું કૉર્ટે નક્કી કર્યું, છેવટે 6,40,000 ડૉલર આપવાનું નક્કી થયું! પછી મેકડોનલ્ડના દરેક કૉફી કપ પર લખેલું હોય છે : ચેતવણી... આ કપમાં અત્યંત ગરમ પીણું છે!

અમેરિકામાં વ્યક્તિગત અધિકારો એક પાગલપણાની હદ સુધી આગળ વધી ગયા છે. રાષ્ટ્રપતિ બુશે ઑગસ્ટ 2001માં દર્દીઓના "બિલ ઑફ રાઇટ્સ"ને હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્ઝમાં મૂકી દીધું છે અને આ બિલ દ્વારા દર્દી પોતાનો વીમો ઉતારનારને પણ "સ્યૂ" કરી શકે છે ! અમેરિકામાં મહાવિચિત્ર કાયદાઓ છે. જો મારા ઘરની બહાર બરફમાં કોઈ લપસી પડે તો એ મારા પર કેસ કરી શકે છે અને નુકસાની વસૂલ કરી શકે છે! મીશીગન રાજ્યમાં શિક્ષક જો કોઈ કારણસર વિદ્યાર્થીને અડી જાય તો એ ગેરકાયદેસર છે. એક પ્રાથમિક વિદ્યાર્થિનીને એની ફ્લ્યૂટ કે બંસીમાં આંગળીઓ બરાબર ગોઠવવામાં મદદ કરનાર સંગીતશિક્ષક પર "પેડોફીલીક સેક્સ્યુઅલ એસોલ્ટ"નો કેસ થઈ ગયો હતો. કેસ થઈ જવાનો જબરદસ્ત ડર છે. હૉસ્પિટલના દરવાજાથી 30 ફૂટ દૂર એક 15 વર્ષના છોકરાનું રક્તસ્ત્રાવને લીધે મૃત્યુ થઈ ગયું, પણ ઇમર્જન્સીના સ્ટાફને ચિંતા હતી કે જો બહાર જઈને ઘાયલ દર્દીને અંદર લાવીએ તો એ ગેરકાનૂની ગણાઈ શકે અને કેસ થઈ શકે. અમેરિકામાં જો જરાક પણ બીમારી આવે કે ઘાવ પડી જાય તો ડૉક્ટરો જાતજાતના પેથલૉજિકલ ટેસ્ટ કરાવી નાંખે છે કે જેથી ભવિષ્યમાં દર્દી કેસ કરે તો બચાવ થઈ શકે. દર્દીને ખર્ચ થાય છે કે બહુ ગૌણ વાત છે. અને ઇન્શ્યોરન્સનો ધંધો પરાકાષ્ઠા પર છે...! ઉત્પાદક કંપનીઓ આ "આઇ વિલ સ્યૂ યૂ"થી એટલી બધી ડરે છે કે બાળકોનાં રમકડાઓ ઉપર પણ લખ્યું હોય છે કે આ રમકડું મોઢામાં મૂકવું નહીં! બાળકને આ વાંચતાં આવડતું નથી એ બીજી વાત છે...

લૉ-કૉલેજમાં ભણતો હતો ત્યારે અમારે એક પેપર "ટોર્ટ"નો હતો. કાનૂનથી પર, પણ એક નૈતિક કાનૂન, સામાન્ય જિવાતા જીવન પર અસર કરતી બાબતો વિશે ન્યાય, એ "ટોર્ટ"નો વિષય હતો. ઈંગ્લંડમાં ટ્રામ કંપનીની એક ટ્રામ બરાબર ન હતી, એક ગર્ભવતી સ્ત્રી ઊતરી રહી હતી. કંપનીની બેદરકારીને કારણે અને મરમ્મત કરવી જોઈએ પણ કંપનીએ ન કરી હોવાથી, ટ્રામને એક ધમાકા સાથે અકસ્માત થયો, ફલત: એ ગર્ભવતી સ્ત્રીને ગર્ભસ્ત્રાવ થઈ ગયો. સ્ત્રીએ કંપની પર કેસ કરી દીધો, "ઇક્વિટી"ની દુનિયા હતી અને કાયદાની ભાષામાં "ઇન લૉ, ઍન્ડ લૉ ઇક્વિટી" એવો શબ્દપ્રયોગ વપરાવા લાગ્યો. "ટોર્ટ" આ દુનિયાની વાત છે અને અમેરિકામાં આવા ક્લેઇમ કરવાની એક "માસ-ટોર્ટ ઇન્ડસ્ટ્રી" ફાટી નીકળી છે, જેમાં એક જ વસ્તુ માટે સમાંતર ડઝનો ટોર્ટ-ક્લેઇમ આખા દેશમાંથી કરી નંખાય છે. ઘણીવાર નુકસાની ન આપનારી કંપનીઓ દેવાળું ફૂંકીને આ અદાલતી કારવાઈઓનો અંત લાવે છે.

અમેરિકામાં સ્તનો ભરેલાં અને પુષ્ટ કરવા માટે સ્ત્રીઓ "સિલિકોન બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ" કરાવે છે, અને આમાં "સિલિકોન જેલ" સ્તનોમાં ભરીને સ્તનોના ઉભારને ઇચ્છા પ્રમાણે સુરેખ અને ગુદાઝ બનાવી શકાય છે. લાખો સ્ત્રીઓએ આ સિલિકોન ઇમ્પ્લાન્ટ કરાવ્યું છે. આજથી 24 વર્ષ પહેલાં એક મહિલાનું સ્તન ઇમ્પ્લાન્ટ ફાટી ગયું અને એના વકીલ રીચર્ડ મિથોફે કોર્ટને કહ્યું કે મારી અસીલને અત્યંત વેદના અને માનસિક ત્રાસ પડ્યો છે. કોર્ટમાં જ્યુરીએ આ સ્ત્રીને 1 લાખ 77 હજાર ડૉલર અપાવ્યા જે 1977માં બહુ મોટો આંકડો હતો !

અગિયાર વર્ષ પછી આ ટ્રાન્સપ્લાન્ટના ઉત્પાદક સામે એક સ્ત્રીએ કેસ કરી દીધો અને એના વકીલ રીક લેમીનેકે તર્ક કર્યો કે આ રીતે બ્રેસ્ટ-ટ્રાન્સપ્લાન્ટ જો સ્તનની અંદર જ ફાટી જાય તો "ઓટો ઇમ્યુન" રોગ થઈ શકે છે. એ વખતે કોર્નિંગના કાચનાં વાસણો બનાવનારી કોર્નિંગ કંપની "ડાઉ કોર્નિંગ" લેબલ નીચે સ્તન-ઇમ્પ્લાન્ટ બનાવતી હતી જે હજારો-લાખો મહિલાઓ વાપરતી હતી. કંપની પર હજારો કેસ થઈ ગયા અને કંપનીએ દેવાળું જાહેર કર્યું. આ હજારો કેસોથી "માસ-ટોર્ટ" ઉદ્યોગ અસ્તિત્વમાં આવ્યો. સ્તનમાં સિલિકોન ઇમ્પ્લાન્ટ જો ફાટે તો રોગ થઈ શકે છે એવી માન્યતાએ અમેરિકાની લાખો સ્ત્રીઓને ચોંકાવી દીધી, કંપનીઓ ઊઠવા માંડી અને વકીલો સમૃદ્ધ થતા ગયા. 1992માં પ્રથમ કેસ થયો હતો, બે વર્ષમાં કંપનીની સામે 20,000 કેસો ફાઇલ થઈ ચૂક્યા હતા. એક સ્થિતિ એવી આવી ગઈ કે 4,80,000 સ્ત્રી-અસીલોને સવાચાર બિલીઅન ડૉલર આપવાનું નક્કી થયું હતું. પછી કંપનીઓને લાગ્યું કે દેવાળું ફૂંકવું એ વધારે સારો માર્ગ છે!

અમેરિકામાં "આઇ વિલ સ્યૂ યૂ" પ્રવૃત્તિ કેમ આટલી રાક્ષસી ગતિથી વધી ગઈ છે અને ખાસ કરીને સ્તનોમાં ઇમ્પ્લાન્ટ વિષયક કેસો ફાટી નીકળ્યા છે એની પાછળ એક કારણ છે. પમેલા જૉન્સન નામની 45 વર્ષીય એક સ્ત્રીએ 29મે વર્ષે સ્તનોને પુષ્ટ કરવા માટે સિલિકોન ઇમ્પ્લાન્ટ કરાવ્યું હતું અને 40 પાર કર્યાં ત્યાં સુધી એને કોઈ તકલીફ ન હતી. પછી એનાં ઇમ્પ્લાન્ટ શરીરની અંદર જ ફાટી ગયાં, લીકેજને લીધે થકાવટ અને સાંધાના દુ:ખાવા થવા લાગ્યા. એ દિવસની 20 સિગારેટો પીતી હતી. 1992માં ટેક્ષાસમાં કેસ ચાલ્યો અને જ્યુરીએ પમેલાને 25 મિલીઅન ડૉલરની નુકસાની આપવાનું ઠરાવ્યું (પાછળથી આ સમજૂતી બહુ ઓછામાં થઈ હતી.), પણ આ 25 મિલીઅન ડૉલરનો આંકડો એવી હવા ઊભી કરી ગયો કે હજારો સ્ત્રીઓએ કેસ કરી દીધા. પછી તો ગર્ભનિરોધનાં ઉપકરણો બનાવનાર કંપનીઓ, પ્રસાધન કંપનીઓ બધા પર "ટોર્ટ"ના કેસ ફટકારી દેવાનો ઉદ્યોગ બહુ વિકસ્યો. ધીરેધીરે કંપનીઓ પણ આવી શક્યતાઓ વિશે સતર્ક થઈ ગઈ અને સંરક્ષણાત્મક પગલાં લેવા માંડી. એક સ્ત્રીએ તો પોતાના હાથે જ પોતાનું સ્તન-ટ્રાન્સપ્લાન્ટ ફાડીને કેસ કરી દીધો હતો, પણ પાછળથી સત્ય પ્રકાશમાં આવ્યું હતું. 

અમેરિકાએ પોતાની એક વિચિત્ર સંસ્કૃતિને જન્મ આપ્યો છે. એક તરવાના હોજમાં પડેલી સ્ત્રીને એ પાણી વિશે ભરપૂર શિકાયત હતી. પાણી અત્યંત સ્વચ્છ, ઉષ્ણતામાન બિલકુલ વ્યવસ્થિત, આસપાસનું બધું જ સાફ હતું. પાણી નિયમિત બદલાતું રહેતું હતું અને સ્વિમિંગ-પુલનું આયોજન કરનારી સંસ્થા પૂર્ણત: વ્યાવસાયિક હતી. પણ સ્ત્રીને શિકાયત હતી અને શિકાયત ઉચિત હતી : આ પાણીમાં મારી આંખો બળતી કેમ નથી? ક્લોરીન જરૂર ઓછું નાંખ્યું છે! 

(અભિયાન : ઑક્ટોબર 6, 2001) 

(રાજનીતિ અને અનીતિકારણ)

June 20, 2013

ઈન્ટરનેટ : તમારું સત્ય મારા સત્ય કરતાં વધારે સફેદ છે?

આઝાદીના પૂર્વ દિવસોમાં સત્યને એક જ સર્ટિફિકેટની જરૂર હતી : "મેં છાપામાં વાંચ્યું છે!" એ દિવસોમાં છાપાં પ્રતિબદ્ધ હતાં, અંગ્રેજી હુકૂમતની સામે સંઘર્ષરત હતાં, ગાંધીજી અને કૉંગ્રેસના સમર્થક હતાં, જંગે-આઝાદીના અલમબરદાર હતાં. અને નિરક્ષરતાનું પ્રમાણ બહુ ઊંચું હતું એટલે છાપાં વાંચનારા અને પોસ્ટકાર્ડ પર અંગ્રેજીમાં એડ્રેસ લખી આપનારા ઓછા હતા (પોસ્ટકાર્ડ પર એડ્રેસ અંગ્રેજીમાં કરવાથી ટપાલી પત્ર જલ્દી પહોંચાડતો હતો.). 

પછી કહેવાવા માંડ્યું : "કાલે રાત્રે રેડિયો પર સાંભળ્યું છે. પંડિતજી(નેહરુ)એ સાફ કહી દીધું છે!" રેડિયોની વિશ્વસનીયતા હતી. દીવાલ પર લાકડાના સ્ટેન્ડ પર ગોઠવેલા મેઇન્સના રેડિયોમાંથી સત્ય વિસ્તરતું હતું. અને "બી.બી.સી. પર આવી ગયું"...વાક્ય અંતિમસત્ય હતું, જે ચેલેન્જ થતું ન હતું. પછી ટેલિવિઝન આવ્યું. "ટી.વી.માં બધું બતાવી દીધું છે." વાક્યમાં જોવું, સાંભળવું અને સ્વીકારી લેવું એ થ્રી-ઇન-વન પ્રક્રિયાનો સમાવેશ થઈ જતો હતો. ટી.વી.નું બ્લેક-ઍન્ડ-વ્હાઈટ સત્ય હવે કલરમાં જોઈ શકાતું હતું. હવે સત્ય એ જોવા કે વાંચવા કે સાંભળવા કે સમજવાથી પર થઈ ગયું હતું, સત્ય એ ચાટી જવાની વસ્તુ હતી. સત્ય સ્વીકારવામાં માથાનો ઉપયોગ જરૂરી ન હતો. 

હવે સત્ય ઇન્ટરનેટ પર છે, વેબ પર આંખોથી પી જવાનું છે, અને તમે દર્શક રહ્યા નથી, તમે ક્લોન છો, ઝોમ્બી છો. તમે હવે "નેટર" છો, વેબસાઇટ એ સત્યનું સર્ટિફિકેટ છે. અસત્ય, અર્ધ-સત્ય, જૂઠનું એક આકર્ષક પેકેજ તમારે માટે ચોવીસે કલાક હાજરાહજૂર છે, હવે વિરોધ કે વિચારભેદનો પ્રશ્ન જ રહ્યો નથી, "ઇન્ટરનેટ પર આવી ગયું છે" એટલે બ્રહ્યસત્યથી પણ ઉપરથી સ્થિતિનું સત્ય તમને પ્રાપ્ત થઈ ગયું છે. અફવાથી, જૂઠથી, બ્રેઇનવૉશિંગથી હિયરસે સુધી ઇન્ટરનેટની ભયાજન રેન્જ છે, એનો વ્યાપ રાક્ષસી છે અને વ્યૂહ દાનવી છે. માટે મલેશિયાની સરકારે લોકોને ચેતવવા પડ્યા હતા કે વેબ પર જે વાંચો એ બધું માની લેવામાં જબરદસ્ત ખતરો છે! પણ હવે પસંદગી રહી નથી. 

ઝોમ્બી ગુજ્જુ પત્રકારો વેબસાઇટ પર ચોંટી પડ્યા છે, ઇન્ટરનેટે કહ્યું એ બધું જ માની લેવાનું છે, રોજરોજ, પ્રતિ કલાક...! ગલ્ફનું યુદ્ધ પ્રથમ ટી.વી. યુદ્ધ હતું. સર્બિયાનું નાટો-આક્રમણ પ્રથમ નેટ-યુદ્ધ છે. મોળા, સ્વાદહીન સત્ય પર ચટપટીદાર ગરમાગરમ જૂઠનો વિજય થઈ રહ્યો છે. ઇન્ટરનેટ એ સત્યને ખોલવાનું "ઓપન સિસેમ" છે, જે અલાદ્દીન બંધ દરવાજાઓ ખોલવા માટે બોલતો હતો એવું અરેબિયન નાઇટ્સમાં લખ્યું છે. તમારું સત્ય મારા સત્ય કરતાં વધારે સફેદ છે? તમારી પાસે ઇન્ટરનેટ છે અને મારી પાસે નથી, માટે?

(અભિયાન : જૂન 19, 1999) 

(મિડિયા, કાવ્ય, સાહિત્ય)

અગ્નિ

શ્રીમતી ઇન્દિરા ગાંધીની હત્યા થઈ ગઈ અને એમનું શરીર ચિતા પર મુકાઈ ચૂક્યું હતું. વિશ્વભરમાંથી રાષ્ટ્રપતિઓ, પ્રધાનમંત્રીઓ, ઉપરાષ્ટ્રપતિઓ, રાજાઓ ઉપસ્થિત થયા હતા. પછી એ ક્ષણ આવી, અગ્નિદાહની અને અગ્નિસંસ્કારની, જે વિશ્વના ઘણા દેશોના અધ્યક્ષો પ્રથમ વખત જ જોઈ રહ્યા હતા. સામે ચિતા પર એ શ્રીમતી ઇન્દિરા ગાંધીનું નિશ્ચેસ્ટ શરીર મૂક્યું હતું, જે શ્રીમતી ગાંધીને આમાંના ઘણા મળ્યા હતા. ઘણાએ ચર્ચાઓ કરી હતી. પછી એમના સુપુત્રે ચંદનના લાકડાની ચિત્તાની પરિક્રમા કરી - હાથમાં એક સળગતું લાકડું લઈને, બ્રાહ્મણોના ગગનભેદી મંત્રોચ્ચારોની વચ્ચે, અને પૂરું હવામાન સ્તબ્ધ થઈ ગયું. પછી અગ્નિ પેટાવ્યો, ભડભડ જલતી ચિતાની શિખાઓ અને ધુમાડાઓમાં શ્રીમતી ગાંધીનું શરીર અદ્રશ્ય થતું ગયું. કેટલાક વિદેશી સર્વેસર્વાઓને આવા 'ક્રૂર' સિનારીઓની કલ્પના ન હતી! કેટલાકનું માથું ફરવા લાગ્યું, કેટલાકને ચક્કર આવી ગયા ! હિન્દુઓમાં સગો પુત્ર માતાના શરીરને આ રીતે જલાવી નાખે છે?

અગ્નિ હિન્દુત્વનો અગ્રિમ અને અંતરંગ હિસ્સો છે. હિન્દુ અગ્નિથી ક્યારેય ગભરાતો નથી, કારણ કે એના ધાર્મિક-આધ્યાત્મિક જીવનનો અંશ છે. પૃથ્વી પર દરેક વસ્તુ ગુરુત્વાકર્ષણના નિયમને અનુસરે છે, ફળ હોય કે ફેંકાયેલો બૉલ હોય કે વીર્ય હોય, દરેકની અધોગતિ છે, એ ઉપરથી નીચે પડે છે. ઉપર ફેંકાયેલી દરેક વસ્તુએ નીચે પૃથ્વી પર પટકાવું પડે છે. એક જ વસ્તુ છે જેને તમે નીચે ફેંકી કે ધરો કે દબાવો અને એ ઉપર જાય છે, એનો ધર્મ ઊર્ધ્વગતિ છે અને એ અગ્નિ છે. અંગતિ ઊર્ધ્વગચ્છતિ, જે ઉપર તરફ જાય છે એ અગ્નિ છે. અગ્નિ ત્રણ પ્રકારે વ્યાપ્ત છે : આકાશમાં સૂર્ય, અંતરિક્ષમાં વિદ્યુત, પૃથ્વી પર સાધારણ અગ્નિ ! ઋગ્વેદ કહે છે કે અગ્નિની 100 અથવા 1000 આંખો છે જે મનુષ્યનાં બધાં જ કર્મોને જુએ છે. ધર્મની એક પત્ની હતી વસુ અને એના દ્વારા અગ્નિનો જન્મ થયો. અગ્નિની પત્ની સ્વાહાથી એને ત્રણ પુત્રો થયા હતા અને પ્રથમનું નામ પાવક હતું. મુણ્ડકોપનિષદના વિધાન પ્રમાણે અગ્નિની સાત જીભો છે અને આ 7 જીભોનાં નામો છે : કાલી, કરાલી, મનોજવા, સુલોહિતા, સુધૂમ્રવર્ણા, સ્ફુલિંગીની અને વિશ્વરુચિદેવી ! પુરુષસુક્ત ગ્રંથમાં 17મા મંત્રમાં જણાવ્યું છે કે પરમેશ્વરે અગ્નિના પરમાણુ સાથે જલના પરમાણુઓને મેળવીને પાણીનું સર્જન કર્યું ! જલ કે પાણી માટેનો એક સંસ્કૃત શબ્દ છે : અગ્નિભૂ ! એટલે અગ્નિમાંથી પાણીનો જન્મ થયો છે?

અગ્નિ શબ્દના આરંભમાં આવી શકે છે, શબ્દના અંતમાં પણ આવી શકે છે. જઠરાગ્નિની જેમ અગ્ન્યાસ્ત્ર શબ્દ સ્વીકાર્ય છે. લગ્નની ચોરીનો અગ્નિ અને સ્મશાનની ચિતાનો અગ્નિ બે જુદા અગ્નિઓ છે. હિન્દુઓમાં પાણિગ્રહણ અગ્નિની સાક્ષીએ થાય છે અને અગ્નિ ઉચ્ચતમ પવિત્રતા છે. ખ્રિસ્તી લગ્નોમાં અગ્નિ લગભગ નથી. ઇસ્લામમાં અગ્નિ ક્યાં છે? મૌલાના સૈયદ અથરહુસેન દેહલવી સમજાવે છે : પયગમ્બર કહે છે કે એક કીડીને પણ જીવતી બાળી નાખવી એ પાપ છે, કારણ કે અગ્નિ પર માત્ર અલ્લાહનો જ સંપૂર્ણ અંકુશ છે માટે અલ્લાહે અગ્નિને દોજખમાં પૂરી દીધો છે કે જેથી એ અન્ય કોઈને ક્ષતિ ન કરી શકે ! અગ્નિ લઈને ઈરાનથી ગુજરાતના તટ પર ઊતરેલા પારસીઓ માટે અગ્નિ એ આતશ પાદશાહ સાહેબ છે, અગ્નિ દેવતા છે. ઉમરગામ સ્ટેશનથી પાંચેક કિલોમીટર દૂર આવેલા દવિયેર (દહેરી) ગામમાં સન 1855માં સ્થાપવામાં આવેલી એક અગિયારી છે. હમણાં આ પવિત્ર સ્થાનની 147મી વર્ષગાંઠ હતી. અહીં 147 વર્ષોથી અખંડ અગ્નિ પ્રજ્વલિત છે...! અગ્નિ પારસીઓ માટે સર્વાધિક પૂજનીય તત્ત્વ છે.

પારસીઓની જેમ હિન્દુઓ માટે પણ અગ્નિ એક અતિપવિત્ર તત્ત્વ છે. લગ્ન અગ્નિની સાક્ષીએ થાય છે. મૃત્યુ પછી મૃતકના મોઢા પર નિકટતમ આત્મીય આગ મૂકે છે, પ્રદક્ષિણા કરે છે અને અગ્નિદાહ આપે છે અને આ પૂરી વિધિ અગ્નિસંસ્કાર કહેવાય છે. અગ્નિ અને આગ વિષે કહેવતો છે. એક જાપાનીઝ કહેવત છે : અગ્નિને કાગળના પડીકામાં ન બંધાય ! ગુજરાતી કહેવતો બેશુમાર છે. અગ્નિ આગળથી ઓગળ્યા વિના રહે નહીં. લોકપ્રિય ગુજરાતી કહેવતોમાં આગનો ઉપયોગ થયો છે. આગ લાગે ત્યારે કૂવો ખોદે અથવા આગ વિના ધુમાડો ન હોય જેવી કહેવતો રોજ વપરાતી હોય છે. ચાઇનીઝ કહેવતમાં આ જ ભાવ આવે છે : તરસ લાગે ત્યારે કૂવો ખોદે અને ભૂખ લાગે ત્યારે વાવવા દોડે ! આગ વિષેની કોઈ કહેવત અત્યંત વેધક પણ હોય છે. એક ગુજરાતી કહેવત છે : આગ ખાય એને અંગાર ઓકવા પડે... ! 

(સંદેશ જૂન 9, 2002)

(દૂધમાં લોહીનાં ટીપાં)

June 17, 2013

ગાર્ડિયનની જેમ : થોડા પ્રશ્નો, થોડા ઉત્તરો

ઈંગ્લન્ડનું એક સમાચારપત્ર "ગાર્ડિયન" એક વિચિત્ર કૉલમ ચલાવે છે જેમાં લેખક કે કલાકાર પોતે જ પોતાની જાતને પ્રશ્નો પૂછે છે અને ઉત્તરો આપે છે.

લેખક સ્વયં પોતાને પ્રશ્ન પૂછે, ઉત્તરો આપે, એ આત્માનો એક્સ-રે લેવા જેવું શુદ્ધ કામ છે. અથવા ખડખડાટ હસતા માણસનો એક્સ-રે લેવા જેવું ક્રૂર કામ છે. હસ્તા માણસના એક્સ-રેમાં કંકાલની ખોપરી અને એક એક દાંત છૂટો દેખાય છે, એ અત્યંત ભયંકર અને બીભત્સ દ્રશ્ય છે. ફક્ત કલાકાર જ સ્વયંના બે વિરોધી ટુકડા કરીને બંને ટુકડાઓને ઈમાનદાર રહી શકે છે. સત્ય અને જૂઠનો ફર્ક બહુ સ્પષ્ટ છે. સત્ય બોલવું સહેલામાં સહેલું કામ છે, જૂઠું બોલવામાં બહુ હોશિયારી જોઈએ, બહુ યાદ રાખવું પડે, પરિણામ વિશે આગાહ રહેવું પડે, દાવપેચ લડાવતાં આવડવા જોઈએ. કલાકારનો પ્રશ્ન અને કલાકારનો ઉત્તર, બંને પ્રામાણિક હોઈ શકે છે. બહરહાલ, થોડી પ્રશ્નોત્તરી :

પ્રશ્ન: અત્યારે શું વાંચો છો?
ઉત્તર : હું એકસાથે બેત્રણ પુસ્તકો વાંચતો હોઉં છું. અત્યારે સમરસેટ મોમની "ટેન નોવેલ્સ ઍન્ડ ધેર ઑથર્સ" વાંચું છું. બીજી મેક્સિકન-અમેરિકન કથાકાર સાન્ડ્રા સિસ્નેરોસની "ધ હાઉસ ઑન મેંગો સ્ટ્રીટ" નામની નુવેલા છે. ત્રીજું પુસ્તક ગાંધીજીનું છે. સંપાદન છે. પુસ્તકનું નામ છે "હિંદુ ધર્મનું હાર્દ".

પ્રશ્ન : અત્યારે કંઈ નવું લખવાનું આયોજન છે? 

ઉત્તર : હા, એક ફૅન્ટેસી પ્રકારની નવલકથા લખવાનું વિચારું છું. ત્રણ પુસ્તકો મારી નજરમાં છે : સર્વેન્ટિસની "ડોન કિહોટે", જોનાથન સ્વિફ્ટની "ગલિવર્સ ટ્રાવેલ્સ" અને લુઈ કેરોલની "એલિસ ઇન વન્ડરલેન્ડ". સાથે મારો અનુભવ, મુંબઈની હાઈ-સોસાયટીનો, મુંબઈના શેરીફ તરીકેનો, અને હૉસ્પિટલના ઑપરેશન ટેબલ પર એન્જ્યોગ્રાફી વખતે ટીવી સ્ક્રીન પર મારું પોતાનું હૃદય ધબકતું જોવાનો. શું આવશે એ ખબર નથી, પણ કંઈક ચોક્કસ આવશે એ ખબર છે.

પ્રશ્ન: તમારે માટે પૈસાનું કેટલું મહત્ત્વ છે?

ઉત્તર : પૈસા ઘણું છે, બધું નથી. પૈસાથી મજા, મસ્તી, મૌજ ખરીદી શકાય છે, કદાચ થોડો આનંદ પણ મેળવી શકાય છે, પણ સુખ માટે પૈસા ગૌણ છે. સુખ મનની સ્થિતિ છે. પણ પૈસા હોય તો આંખો ઝૂકતી નથી, ગરદન ટટાર રહે છે, આકાશ ઉપર ચાલ્યું જાય છે. સિંધીમાં કહેવત છે : ઊંટ એક પૈસે મળતો હતો ત્યારે મોંઘો હતો, અને સો રૂપિયે મળે છે ત્યારે સસ્તો છે ! કારણ કે, એ વખતે ખિસામાં એક પૈસો ન હતો, આજે સો રૂપિયા છે ! પૈસાથી ખરીદી કરનાર જો વસ્તુની કિંમત જ જુએ અને વસ્તુનું મૂલ્ય ન સમજે તો એની દયા ખાવી જોઈએ.

પ્રશ્ન : મજાની ક્ષણ?

ઉત્તર: વરસાદી સાંજ, વ્હિસ્કીનો ગ્લાસ, ફરીદા ખાનમનો અવાજ, ઉપર ઝૂલતું કટલેસનું ઝુમ્મર, રેશમી કબાબ અને ખામોશ બેઠેલી સ્ત્રી.

પ્રશ્ન : આદર્શ દિવસની તમારી કલ્પના?

ઉત્તર : પથારીની બહાર ન નીકળવું, વાંચવું, ખાવું, સૂવું. ફરીથી વાંચવું, ખાવું, સૂવું અને ટેલિફોનનું ન વાગવું. અને મરી ગયેલા એકાદ દોસ્ત સાથે ઊંઘમાં વાતો કરવી.

પ્રશ્ન: મૃત્યુનો ડર લાગે છે? 

ઉત્તર : દોસ્તોને ચિતાઓ પર જલાવી દીધા પછી 70મા વર્ષમાં પ્રવેશ કર્યા પછી, મૃત્યુ પાંચસાત વર્ષ દૂર ઊભું રહેલું દેખાઈ રહ્યું છે. કોઈ લાંબા દર્દમાં શરીર ફસાઈ જાય, અથવા શરીર અપંગ થઈ જાય અથવા જલ્દી મરી ન શકાય એવી શક્યતાઓ ક્યારેક ધ્રુજાવી જાય છે. પણ આવતી કાલના કલ્પિત ભયના પડછાયામાં આજની રોશન જિંદગી બુઝાવીને ખૂણામાં ઘૂસી જવું એ મારી પ્રકૃતિ નથી. ઝીરો-ઝીરો-સેવનના સર્જક ઇયાન ફ્લેમિંગે મરતી વખતે કહ્યું હતું : "ઇટ્સ અ લાર્ક!" (જીવવાની) બહુ મજા પડી ગઈ ! ઈચ્છું છું મને પણ એ અંતિમ ક્ષણે એવી જ કોઈ ફિલિંગ થાય !

પ્રશ્ન: ઈશ્વરમાં માનો છો? 

ઉત્તર : ના અને હા. ઈશ્વર એ માણસે કલ્પના કરેલું એક કલ્પન છે, માણસે સર્જેલું એક સર્જન છે. હું ઈશ્વરમાં માનતો નથી. પણ નિયતિ, પ્રોવિડન્સ, કિસ્મત, પ્રાક્તન, ભવિતવ્ય, ભાગ્ય, નસીબ, ફેટ... મનુષ્યનો જેના પર અંકુશ નથી એવું કંઈક ચોક્કસ છે. ગ્રીક નાયકની જેમ તમારો વિનાશ નિશ્ચિત છે, પણ તમે મૃત્યુ સાથે શતરંજ રમો છો, તમારું એકેએક મહોરું કતલ થતાં પહેલાં લડી લે છે, અને એ શતરંજના નિયમ પ્રમાણે તમે મૃત્યુથી મુકાબિલ થાઓ છો. પછી રંજ નથી રહેતો પરાજયનો. લૉસ એંજેલિસ ઓલિમ્પિક્સ વખતે જબરદસ્ત પ્રયત્ન કરવા છતાં એક સેકંડના ત્રણ અંશથી પી.ટી. ઉષા ચોથી આવી અને એને એક પણ ચંદ્રક મળ્યો નહીં ત્યારે શ્રીમતી ઇન્દિરા ગાંધીએ ઉષાને કહ્યું હતું : ઉષા ! તું જીતી ગઈ છે, દેશ હારી ગયો છે ! જિંદગી સમેટી લેવાનો દિવસ આવશે ત્યારે હું પણ કહી શકીશ : હું જીતી ગયો છું, જિંદગી હારી ગઈ છે...

પ્રશ્ન : તમારા વ્યક્તિત્વની સૌથી મોટી ખામી ?

ઉત્તર : બધા પર વિશ્વાસ કરવો ! 

પ્રશ્ન : તમારો સૌથી મોટો ગુણ ? અને સૌથી મોટો અવગુણ ? 

ઉત્તર : જિદ એ મારો સૌથી મોટો ગુણ છે, અને જિદ એ મારો સૌથી મોટો અવગુણ છે.

પ્રશ્ન : ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વમાં તમે કંઈ નવીનતા લાવ્યા હો એવું તમને લાગે છે? 

ઉત્તર : મારાં પુસ્તકોમાં હું પ્રસ્તાવનાઓ લખતો નથી (152 પુસ્તકોમાંથી ચારપાંચ પુસ્તકોમાં જ પ્રસ્તાવના છે.) અર્પણ કરતી વખતે હું કોઈ વિશેષણ એ વ્યક્તિ માટે વાપરતો નથી. માત્ર નામ જ લખું છું. દરેક પુસ્તકમાં મારા દરેક પૂર્વ-પ્રકાશિત પુસ્તકનું નામ અને પ્રકાશનવર્ષ લખું છું. પુસ્તકના જૅકેટ પર મારી સહી એક "લોગો" બની ચૂકી છે. છેલ્લા પૂંઠા પર ફોટો મૂકવાનું મેં શરૂ કર્યું હતું જે હવે ઘણા બધા લેખકો પણ કરવા લાગ્યા છે. હું ક્યારેય જૂનો જવાનીનો ફોટો મૂકતો નથી. મારો લેટેસ્ટ સફેદ વાળ અને ચહેરા પર ઝુર્રીઓવાળો ફોટો છપાય એનો આગ્રહ રાખું છું. નવલકથાના દરેક પ્રકરણ અથવા કૉલમના દરેક લેખની એક શિસ્તબદ્ધ, વ્યવસ્થિત સાઈઝ હોય છે. દરેક તંત્રીને મારી સાનુરોધ વિનંતી હોય છે કે મારા વિશે એક પણ પત્ર, પુરસ્કારનો કે તિરસ્કારનો, "વાંચકોના પત્રો"માં ન છાપે. એક કૉલમના લેખ સાથે ફોટો (જે આંતરરાષ્ટ્રીય નિયમ છે), અંતે "ક્લોઝ અપ," શીર્ષકમાં એક મુખ્ય અને વિસર્ગ પછી બીજું પેટાશીર્ષક (જે અમેરિકન પ્રથા છે) છાપવાનું ગુજરાતીમાં મેં શરૂ કર્યું હતું.

પ્રશ્ન : અંતે....?

ઉત્તર : લગભગ 60 વર્ષ પહેલાં પંકજ મલ્લિકે એક ફિલ્મમાં ગાયેલા એક ગીતની લીટી હજી યાદ છે :

યહ ન પૂછો ક્યા ન પાયા
યહ પૂછો ક્યા મિલ ગયા

ક્લોઝ અપ: 

યુદ્ધસ્વ વિગતજ્વર-શ્રીકૃષ્ણ (ભગવદગીતામાં) 
(અર્થ : જ્વરા-ચિંતા છોડીને તું લડાઈ કર!) 

(અભિયાન : સપ્ટેમ્બર 22, 2001)

(મૌજ અને શોખ)

June 16, 2013

રૂપા નામની એક કાળી છોકરી....

વિકલ્પ કૉલમ લગભગ 1000 શબ્દોની, એક પાનાની કૉલમ છે અને એના ફોર્મેટ વિશે મારા મનમાં સ્પષ્ટતા છે. એમાં વ્યક્તિગત વાતો ન આવવી જોઈએ, માહિતી અને મૌલિક તર્ક પ્રધાન હોવા જોઈએ. વાચકોના પત્રો બેશુમાર આવતા રહેતા હોય છે, લગભગ દરરોજ, અને એ વાંચીને ઉત્તરો આપવાનું વર્ષોથી અશક્ય થઈ ગયું છે. અને મારા લક્ષ્ય વાચકવૃન્દ કે ટાર્ગેટ-ઑડિયન્સ વિષે પણ હું સ્પષ્ટ છું : મધ્યવર્ગીય, શિક્ષિત, નાગરિક, યુવા સ્ત્રીપુરુષો. અને એ વાચકોમાં પણ સ્ત્રીઓ વિશેષ. અને એમાં પણ બૌદ્ધિક, વિદુષી સ્ત્રીઓ સવિશેષ.

આજે વિકલ્પની એક સ્ત્રી-વાચકના પત્ર વિષે જ વાત કરવી છે. નામ રૂપા, ગામ અમદાવાદ. અને આ બંને સાચાં નથી. પત્રકારિતાની એક ભદ્રતા એ હોય છે કે નામો અને સરનામાં ગુપ્ત રાખવાં જોઈએ. નામ સંચિતા કે અલકનંદા, અને ગામ વડોદરા કે સુરેન્દ્રનગર પણ હોઈ શકે છે. એ બિલકુલ મહત્ત્વનું નથી, જે મહત્ત્વનું છે એ કથ્ય છે. રૂપાએ વિજ્ઞાનમાં ડબલ ગ્રૅજ્યુએશન કર્યું છે, પરિવાર સંપન્ન છે, પિતા અને ભાઈ છે, નાની બહેન છે અને સ્વરૂપવાન છે. મોટા ભાઈ પરિણીત છે, નાની બહેન અભ્યાસ કરે છે. રૂપા લખે છે : છેલ્લા ત્રણ વર્ષથી હું કેટલાય મુરતિયાઓ આગળ શણગાર સજીને પેશ થઈ... પરિણામ છોકરી કાળી છે ! ભગવાને માત્ર શ્યામ વર્ણથી જ વેર વાળ્યું હોત તો વાંધો ન હ્તો પણ મને ભગવાને બોનસ પૉઇંટમાં ચશ્માના નંબર પણ આપ્યા છે, માઈનસ 4 અને માઈનસ 3.5! આ બે કારણોસર હું દુનિયાની સૌથી દુ:ખી વ્યક્તિ હોઉં એવું મને લાગે છે!... રૂપા લખે છે:... શ્યામવર્ણી યુવતી 1998માં મિસ યુનિવર્સ બની શકે છે પણ ગુજરાતની... ચશ્માંવાળી કાળી છોકરી મનપસંદ યુવક સાથે લગ્ન નથી કરી શકતી. (ભાષા પત્રની જ રાખી છે.)

રૂપા ફર્સ્ટ ક્લાસમાં સતત પાસ થતી રહી છે, જુદા જુદા કોર્સ કર્યા છે, રસોઈ, ઘરકામમાં લાજવાબ છે, પ્રકૃતિ સૌમ્ય છે, ડ્રાઇવિંગ કરે છે... (અનુભવી ડ્રાઇવરને પણ શાબાશ કહેવાનું મન થાય એવું..., પ્લેટોથી પન્નાલાલ પટેલ સુધીના લેખકો-કવિઓની કૃતિઓની ઊંડા રસથી વાંચી છે. પણ સગાઈ થતી નથી. બે મુખ્ય કારણો : હું કાળી છું. મારે ચશ્માં છે.

રૂપાએ સ્પર્ધાત્મક પરીક્ષા આપી છે, એક વાર નિષ્ફળ ગઈ છે, ફરીથી આપી છે, એને પરિણામનો ઇન્તજાર છે. ખૂબ જ મહેનત કરી છે. જો સફળ થઈ જશે તો આ સમાજથી બહુ દૂર જતી રહેશે, અને જો અસફળ જશે તો... હું આત્મહત્યા કરી લઈશ. રૂપા લખે છે : ...મેં મારા મોતનો પ્લાન અને સામાન તૈયાર રાખ્યા છે. મને ખબર  છે કે કેટલી ઊંઘની ગોળીઓ લેવાથી કેટલા કલાક પછી અસર ચાલુ થઈ જાય. હું ગોળીઓ ગળી મારી કાર લઈને નીકળી પડીશ. લોકો માનશે કે રૂપાનું અકસ્માતમાં મોત થયું... જ્ઞાતિવાળા કેવા છે? શાંતિથી જીવવા તો નથી દેતા પણ મરવાય નથી દેતા. વાતો કરશે જુવાન દીકરી મરી ગઈ.

અંતે, રૂપા લખે છે : હું અપેક્ષા રાખું છું કે તમે મારા વિચારો કે વાત લોકોને કરો, તમને પત્ર મળશે ત્યારે હયાત હોઈશ કે નહીં, ખબર નથી. અને છેલ્લે લખ્યું છે :

                                                                                                                             લિ : રૂપાના વંદન !

રૂપા 25ની છે કે 30ની છે કે 35ની છે, એ પણ ગૌણ છે. પણ રૂપાનો પ્રશ્ન આપણા દોગલા સમાજની વિષમ કરુણતાની ઊપજ છે. પણ એક તેજસ્વી સ્ત્રીને માત્ર શ્યામવર્ણ અને ચશ્માંને લીધે, તથા કથિત કુરૂપતા માટે, આત્મહત્યાનો વિચાર પણ કરવો પડે એ વાત જ અફસોસનાક છે. સલાહ આપવાની મારી ક્યારેય કોઈ યોગ્યતા હોય એવા ભ્રમમાં હું જીવતો નથી. પણ રૂપાબહેન, આ ચિંતાઓ એટલી દુશ્વાર નથી. ચશ્માંને સ્થાને કૉન્ટેક્ટ લેન્સ (સૉફ્ટ અથવા હાર્ડ) વાપરી શકાય છે. હવે તો રંગીન ઝાંયવાળા કોઝમેટિક લેન્સ પણ મળે છે. ડૉક્ટરની સલાહ લઈને એ વાપરવા શરૂ કરવા. બીજી વાત, જે બંદર માત્ર તમારી ચામડીનો રંગ જોઈને તમને પસંદ કરવા નીકળ્યો છે, એને પરણવાનો મતલબ પણ શું છે? એણે તમારા દાંત ગણી લીધા નથી? (ગુલામો એ રીતે ખરીદાતા હતા) જરૂર છે આત્મવિશ્વાસની ! તમારી જિંદગીને 25 કે 30 કે 35ના આયુષ્ય સુધી લઈ જવામાં કેટલા માણસોનો પ્યાર અને પસીનો તમારે માટે કુરબાન થયો છે? તમારું જીવતા રહેવું એ તમારું એમના માટેનું એક દાયિત્વ બની જાય છે ! લાખો છોકરીઓ (કાળીથી ગોરી સુધીની હજારો રંગછાયાઓવાળી) આજીવન લગ્ન કરતી નથી, અથવા લગ્ન પછી નિસ્સંતાન કે સસંતાન, પતિથી અલિપ્ત કે મુક્ત થઈ જાય છે. આપઘાત કરતી નથી. આપઘાતમાંથી વીરત્વનો આયામ કાઢી નાંખો પછી આપઘાતમાં તમારે માટે શું રહી જાય છે? ફયઝ અહમદ ફયઝનો એક શેર મને હંમેશા ગમ્યો છે, લખું છું, ક્ષમા સાથે : 

દિલ ના-ઉમ્મીદ હી સહી, નાકામ તો નહીં 
લંબી હૈ ગમ કી શામ, મગર શામ હી તો હૈ !

હતાશાની સાંજ  લાંબી છે, પણ આખિરકાર એ સાંજ જ છે. ઢળી જશે. સાંજને ઢળવું જ પડે છે.

હું કાળી અને તેજસ્વી છોકરીઓનો તરફદાર રહ્યો છું, 1955માં મારી પ્રથમ નવલકથા 'પડઘા ડૂબી ગયા' લખતો હતો ત્યારથી 1998માં પ્રકટ થયેલી છેલ્લી નવલકથા 'સમકાલ' સુધી, (આમાં માત્ર એક જ નવલકથા 'રોમા' અપવાદ છે). સફેદ છોકરી માટે મેં ધોવાયેલી લાશ અને કોલ્ડ સ્ટોરેજ જેવા શબ્દો વાપર્યા છે, કાળી છોકરી ડાઇનેમો છે. લંગૂરછાપ મુરતિયાઓને ભૂલી જાઓ, એમની હૂપાહૂપને લીધે તમારી જિંદગી અસ્થિર નહીં કરો. કાળી છોકરીઓના પક્ષમાં, સમર્થનમાં મેં ઘણું અને વારંવાર લખ્યું છે. મારી સર્વકાલીન હીરોઇન...દ્રોપદી, કાળી હતી. મારા સર્વકાલીન મહાન આદર્શ લેખકો વાલ્મીકિ, વ્યાસ, કાલિદાસ કાળા હતા. મારી આદર્શ દેવીમાતાઓ દુર્ગા (ધૂસર, રાખોડી), અને કાલિ ગોરી નથી. હિંદુઓનાં સર્વમાન્ય મહાનતમ આદર્શ પાત્રો કૃષ્ણ, રામ, લક્ષ્મણ, અર્જુન કાળા હતા અને પુરાતત્ત્વવિદ હસમુખ સાંકળિયા રાવણને પણ કાળો માનતા હતા. ખૂબસૂરત સ્ત્રી માટે કાલિદાસની વ્યાખ્યા હતી 'તન્વી શ્યામા', એટલે કે પાતળી અને કાળી, અને મલ્લિનાથે આ શબ્દ પર ભાષ્ય કરતાં શ્યામા શબ્દની વ્યાખ્યા આપી હતી : શ્યામા એટલે એ સ્ત્રી જે ઉનાળામાં ઠંડક અને શિયાળામાં ગરમી આપે! ફારસીમાં હિંદુનો અર્થ 'કાળો' થાય છે. 

સર્જનહારે આ પૃથ્વી પર કોઈ જ વસ્તુ નિરાશય કે નકામી બનાવી નથી એવું મારું માનવું છે. ચામાચીડિયાથી સાપ સુધી, તમાકુથી પેટ્રોલિયમ સુધી, રેતીના કણથી ફાટતા જ્વાલામુખી સુધી, ચિમ્પાન્ઝી જેવા ગુજરાતી મુરતિયાઓથી કેશુભાઈ પટેલ સુધી અને સફેદ વાળથી કાળી ચામડી સુધી દરેકની કોઈક જરૂર છે, દરેકની કોઈક ભૂમિકા છે, દરેકનો એક સ્લોટ છે જેમાં એણે ફિટ થવાનું છે. જીવનનો નાનામાં નાનો અનુભવ પણ મને જરૂર કંઈક શીખવી જાય છે. મારામાં કદાચ એક બાહ્ય 'અશક્તિ' એટલા માટે મૂકવામાં આવી છે કે બે ગુહ્ય 'શક્તિઓ' પ્રકટ થાય, અને આ સર્જનહારનું રહસ્ય છે, એવી મારી સમજ છે.

હું કાળો છું, ઠીંગણો છું, ચહેરા પર શિતળાના ડાઘ છે, નાનપણમાં માર ખાતા રહેવામાં મારો પહેલો નંબર હતો. પછી ગ્રંથિઓ તોડી નાંખી, ખૂબ કસરત કરીને પત્થર જેવું શરીર બનાવ્યું, એક વાર મારાથી મોટા અને તગડા છોકરાને પીટી નાંખ્યો, પછી મારાથી મોટા અને તગડા છોકરાઓને પીટતા રહેવાની મજા પડી ગઈ ! ઊણપો અને કમીઓને લીધે ક્રૂરતા અને ઝનૂનના 'ગુણો' વિકસતા ગયા. આજે ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વમાં પણ મને એ જ ગુણો કામ આવી રહ્યા છે ! મુડદાલ છોકરાઓ મોટા થઈને મિસ્ટર યુનિવર્સ બને છે એની પાછળ આ કિલર-ગ્રંથિ જ કામ કરતી હોય છે.

એક સ્ત્રી બૅંક મેનેજર તરીકે કૅબિનમાં બેઠી હશે અને બહાર 'ઉદ્યોગપતિ'ઓ લાળ ટપકાવતા, લોન માટેની અરજીઓ હાથમાં પકડીને લાઇનમાં બેઠા હશે, અને અડધો કલાક પછી એમને કૅબિનમાં પ્રવેશ અપાશે, ત્યારે ટેબલથી દોઢ ફીટ દૂરથી એમને મૅડમ 'ગોરી' દેખાશે! કારણ કે, એની સહીથી પાંચદસ લાખ રૂપિયા મળવાના છે. હાથમાં સૅલ્યુલર ફોન, બહાર દરવાજો ખોલીને ઊભેલો યુનિફૉર્મ પહેરેલો શૉફર, કપાળની ઉપર વાળ પર ચડાવેલા સનગ્લાસીસ... એ સ્ત્રી કાળી છે? રૂપાબહેન, જિંદગી બહુ રંગીન છે...

ક્લોઝ-અપ: 

ભય સામાન્ય અંધકારને પણ રાક્ષસોથી ભરી દે છે. 
                                                                           - જૂની જાપાનીઝ કહેવત
(જાપાનીઝ ફિલ્મ દિગ્દર્શક અકીરા કુરોસાવાની આત્મકથા 'સમથિંગ લાઈક ઍન ઑટોબાયૉગ્રાફી'માંથી : પૃષ્ઠ 51) 

(અભિયાન : ડિસેમ્બર 19, 1998)

(સ્ત્રી અને કવિતા)

June 13, 2013

સલાહો, સલાહો, સલાહો ન આપવા વિષે થોડુંક...

ગુજરાતી ભાષામાં કોલમ લખવી હોય તો સૌથી સહેલો વિષય કયો? ગુજરાતી શ્રોતાઓ સામે પ્રવચન આપવું હોય તો સરળતમ વિષય કયો? લેખન હોય કે વ્યાખ્યાન, ઉત્તર એક જ છે : અધ્યાત્મ ! આધ્યાત્મિક લખવું સૌથી સહેલું છે. રામાયણનું ગમે તે પાનું ખોલીને જુઓ, મહાભારતના ગમે તે પૃષ્ઠને ખોલીને વાંચો, બાલકાંડ હોય કે અનુશાસન પર્વ હોય, તમારી કૉલમમાં ગમે તે બકવાસ કરી નાખો, લોકો ચાટી જશે. પ્રવચનમાં ધર્મની વાત કરી નાંખો, બહુ અભ્યાસની જરૂર નથી. જીવનને પવિત્ર બનાવો ! એટલે? શું અર્થ આ વાક્યનો? આધ્યાત્મિકની આ મજા છે. આધ્યાત્મિકમાં બંધાયા વિના ગોળ ગોળ, સુષ્ટુ સુષ્ટુ તર્કહીન વાતો કરી શકાય છે.

અધ્યાત્મની વાતો કરવી અને રોજ સવારે કટાર ભરી નાંખવી, માત્ર સલાહો ચરક્યા કરવી, એ કોના લાભાર્થે થઈ રહ્યું છે? કોઈ વિદ્વાન કે મુરબ્બી, જે વયસ્ક છે અને અનુભવદગ્ધ છે, જેણે અધ્યયન કર્યું છે અને આચારમાં પ્રમાણિત કર્યું છે, એ જો સલાહો કે માર્ગદર્શન આપે છે તો સમાજ માટે આશીર્વાદરૂપ છે, પણ દશકોથી સંગીન ઊભા રહેલા લીમડાના વૃક્ષ અને વરસાદમાં ફૂટી નીકળેલા બિલાડીના ટોપ વચ્ચેનો તાત્ત્વિક ફર્ક સ્પષ્ટ સમજી લેવો પડશે. બાવાસાધુઓના પ્રવચનોમાં યહૂદી તોરાહ કે ઓલ્ડ ટેસ્ટામેન્ટ, બૌદ્ધ ધમ્મપદ, શિન્ટો ધર્મ, કૉન્ફ્યૂશિયસ કે લાઓ ત્ઝુની બોધકથાઓ, કુર્રાન કે ક્રિસ્ટીઅન બાઇબલ એટલે કે ઓલ્ડ અને ન્યૂ ટેસ્ટામેન્ટની વાતો ભાગ્યે જ આવે છે. ઉપનિષદ કે ગીતા કે ગુરુ ગ્રંથસાહેબ કે અત્યંત કુશાગ્ર જૈન તર્કવિતર્ક પણ ભાગ્યે જ હોય છે. અધ્યાત્મની બાબતમાં કોઈની સલાહ કે ધર્મની બાબતમાં કોઈનો પરામર્શ કામ આવતાં નથી, દરેક સ્વયં જાગૃત અને ચેતનવંત થવું પડે છે. સ્વામી વિવેકાનંદ એક હિંદુ કહેવત ટાંકે છે : જો માણસની ગાય ખોવાઈ જાય છે તોપણ એ વેદમાં શોધવા નીકળે છે ! સત્ય શોધવા માટે અલ્પશિક્ષિત સાધુબાવાઓની ચરણસેવા એ જ માર્ગ છે? ઘુવડની આંખે સૂર્ય જોવા નીકળવા જેવી એ કુપ્રવૃત્તિ છે. કદાચ આ જ સંદર્ભમાં ભર્તૃહરિએ લખ્યું હતું : જો ઘુવડ જોઈ ન શકે તો સૂર્યનો શું દોષ? (નોલૂકોSપ્યલોકતે યદિ દિવા સૂર્યસ્ય કિં દૂષણમ) સ્વામી વિવેકાનંદે લખ્યું છે કે માખીઓ હંમેશાં ગૂમડાં પર બેસે છે અને મધમાખીઓ હંમેશાં ફૂલોમાંથી મધુ ચૂસતી રહે છે, માખીનો નહીં પણ મધુમાખીનો માર્ગ અખ્તિયાર કરો...

અઢાર અધ્યાયો સુધી જ્ઞાન, કર્મ અને ભક્તિના માર્ગો ગીતામાં અંત સુધી બતાવી દીધા પછી શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે : યથેચ્છસિ તથા કુરૂ ! તને યોગ્ય લાગે એમ જ કર ! ભગવદગીતાની સમાપ્તિ પર છેલ્લા શ્લોકમાં સંજય કહે છે કે જ્યાં કૃષ્ણ અને અર્જુન છે ત્યાં વિજય, વિભૂતિ, અચલ નીતિ છે. પણ એ અંતિમ શ્લોકનો અંત મહત્ત્વપૂર્ણ છે : મતિર્મમ, એટલે કે એવો મારો મત છે! સંજયે પણ પોતાનો વ્યક્તિગત મત પ્રકટ કર્યો છે, આત્યંતિક કંઈ જ કહ્યું નથી. ભગવાન બુદ્ધ પણ એમના અંતિમ પ્રવચન 'પરિનિબ્બાન સુત્ત'માં સ્પષ્ટતા કરે છે : અપ્પ દીવો ભવ અર્થાત તારો દીપક, તારો પ્રકાશ તું સ્વયં થા ! ઈસ્લામમાં ઈસ્લામમાં પણ સાફ હિદાયત છે કે જે લોકો સ્વયં પોતાને મદદ કરતા નથી, અલ્લાહ એમને મદદ કરતો નથી. લગભગ દરેક ધર્મમાં આ પ્રકારનો અભિગમ સ્પષ્ટ છે. અધ્યાત્મ અને ધર્મની સલાહો, લેખન અથવા પ્રવચન દ્વારા, જો આપવી જ હોય તો એ અધ્યયનકક્ષા, એ અનુભૂતિસિદ્ધિ પ્રાપ્ત કરવી જોઈએ. જો કે શ્રીકૃષ્ણ, ભગવાન બુદ્ધ, હજરત મહંમદ આદિ માનતા હતા કે પ્રકાશ મનુષ્યના અંતરતમમાંથી જ આવે છે. બાકી જીવન કેમ જીવવું એ કયો બાવો આપણને શીખવશે? નલિની દલગત જલમતિ તરલમ/તદ્વજજીવનમતિશય ચપલમ (જીવન અત્યંત અસ્થિર છે, કમળના પાંદડા પર ટકી રહેલા પાણીના બુંદ જેવું).

અને છતાં પણ કટારિયો સોમવારે લખશે : લોભ નહીં રાખવો...! તો શૅરબજાર ચાલશે કેવી રીતે? મંગળવારે લખશે : જૂઠું નહીં બોલવું!...તો કોર્ટ-કચેરીઓ, મામલા-મુકદ્દમાઓ, વકીલોનું શું થશે? બુધવારે લખશે : માતાને પ્રેમ કરવો !...તો આટલાં વર્ષો આપણે કર્યું શું? ગુરુવારે લખશે : ભ્રષ્ટાચાર નહીં કરવો !.... તો મંત્રીઓથી મટકાવાળાઓ સુધીના લાખો માણસો બેકાર થઈ જશે, એમને રોજીરોટી કેવી રીતે આપીશું? શુક્રવારે લખશે : પુણ્યનો સંચય કરો !... પણ પુણ્યનો પણ પરિગ્રહ શા માટે રાખવો? શનિવારે લખશે : ક્રોધ ન કરવો ! આ સલાહ એ કટારિયા માટે બરાબર છે કારણ કે છ દિવસના એના બકવાસમાંથી ગુજર્યા પછી એના તરફ ક્રોધ ન થવો એ કઠિન કામ છે! બસ, ક્રોધ નહીં કરવાનો. ઓસ્કાર વાઇલ્ડે કહ્યું હતું કે સારી સલાહ ક્યારેય પોતાની પાસે રાખવી નહીં, બીજાને આપી દેવી...! અને રવિવારે લખશે: ક્ષમા વીરસ્ય ભૂષણમ !

નરસિંહ રાવ પ્રધાનમંત્રી હતા ત્યારે એમણે અમેરિકન કૉંગ્રેસને ઉદબોધન કર્યું હતું અને અમેરિકન ઉપ-રાષ્ટ્રપતિ એલ ગોરના એક પુસ્તકમાંથી પ્રસંગ ટાંક્યો હતો. એક સ્ત્રી ગાંધીજી પાસે આવી, કહ્યું કે મારો પુત્ર ખાંડ બહુ ખાય છે, એને સમજાવો કે ખાંડ ન ખાવી જોઈએ! ગાંધીજીએ સ્ત્રીને પંદર દિવસ પછી મળી જવાનું કહ્યું. પંદર દિવસ પછી સ્ત્રીએ આવીને પૂછ્યું : બાપુ! તમે મને પંદર દિવસ પછી આવીને મળવાનું શા માટે કહ્યું ? ગાંધીજીએ કહ્યું : પંદર દિવસ મેં ખાંડ બંધ કરી હતી કે જેથી હું પોતે વાત સમજી શકું ! આપણા સાધુબાવાઓ અને એમના અંતેવાસી જેવા બની ગયેલા લેખકો-કટારિયાઓ માટે સબક નંબર એક : ગાંધીજીની જેમ પ્રથમ પ્રશ્નને સમજો ! સબક નંબર બે : પોતાને એ સ્થિતિમાં મૂકો ! સબક નંબર ત્રણ: ચૂપ રહો !

ભગવાન બુદ્ધે કહ્યું એમ દરેકે પોતાનો પ્રકાશ પોતાનામાં જ શોધવાનો હોય છે. લેભાગુ લલ્લુઓનો ધંધો છે સલાહો ચરક્યા કરવાનો. ડાયાબિટીસના દર્દીના પેશાબમાં રોજ સવારે જેમ ચીની વહેવાની જ છે, એમ કેટલાકનો સલાહો અને દોઢડહાપણનો સ્ત્રાવ વહ્યા જ કરશે. આ રોગ લાઇલાજ છે. પણ જેમની બુદ્ધિ સ્થિર છે, ભગવદગીતામાં કહ્યું છે એમ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા છે, એમણે આસપાસની સૃષ્ટિમાંથી, સમષ્ટિમાંથી જ્ઞાનપ્રાપ્તિ કરવાની છે.

(અભિયાન : ઑગસ્ટ 15, 2000)

(ગુજરાત અને ગુજરાતી)

June 8, 2013

ટાઈમ મેનેજમેન્ટ : હું બહુ બિઝી છું, યુ સી... !

આ વાક્યો બોલનારી વ્યક્તિઓ જીવનમાં રોજ અથડાયા કરે છે, જેમની પાસેથી આપણને સતત સાંભળવા મળે છે : ટાઈમ નથી... હું બહુ બિઝી છું, યુ સી... જે માણસ ઑફિસની દરેક ક્ષણ અને દિવસનો દરેક કલાક તેમજ વર્ષનો દરેક દિવસ બિઝી રહે છે એને કામ કરતાં આવડતું નથી. જે માણસ 24 કલાક "ટેન્સ" રહે છે, જેનું કામ ક્યારેય પૂરું થતું નથી એ માણસને "ટાઈમ-મેનેજેમેન્ટ" નામની વસ્તુની ખબર નથી. આજકાલ મેનેજમેન્ટના વિશ્વમાં ટાઈમ-મેનેજમેન્ટની વિભાવના પ્રમુખ બની રહી છે. અને આ વિભાવના જેટલી નવી છે એટલી જ જૂની છે. આપણી એક કહેવત હતી કે પાઈની પેદાશ નહીં ને ઘડીની નવરાશ નહીં! ઘાણીમાં તેલ કાઢનાર બળદ પણ ગોળગોળ ફરતો રહે છે, હંમેશા "બિઝી" હોય છે.

દરેકને માટે પોતાનો સમય એ જમીનની જેમ સીમિત છે, ધીરે ધીરે એ ઓછો થતો જશે અને એ વધારે મળવાનો નથી. સૂર્ય કાલે ઊગશે પણ 34મું વર્ષ પૂરું થયા પછી ફરીથી પાછું આવવાનું નથી, સામેના પીપળાના વૃક્ષ પર વસંતઋતુ આવશે અને નવાં લાલ પાંદડાં ફૂટશે પણ 46મા વર્ષે જે ઊર્જા અને કાર્યશક્તિ છે એ 47મે વર્ષે થોડી ઓછી જ થવાની છે, વધવાની નથી. મૉન્સૂનના વરસાદો આવતે વર્ષે પણ આવશે, એ જ તેજ ગતિથી, પણ 58મે વર્ષે જે દ્રષ્ટિ કે શ્રવણશક્તિ કે દંતશક્તિ કે સેક્સશક્તિ છે એ 59મે વર્ષ જરૂર થોડી ઓછી જ થવાની છે. સમય એ જ 24 કલાકના દિવસનો છે પણ એક એક મિનિટમાંથી કામ નિચોવી શકવાની તાકાત ક્રમશ: કમજોર થતી જાય છે. સામાન્ય જિદ્દી માણસ આ સ્વીકારવા માગતો નથી, અને એ એની દૈહિક નપુંસકતાનો આરંભ છે. જે વર્ષો જાય છે એ વાપસ આવવાનાં નથી માટે જ ટાઈમ-મેનેજમેન્ટ વિષેનું બ્રહ્મવાક્ય આપણી જનતાએ સેંકડો વર્ષો પહેલાં કહી દીધું હતું : કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ...! આધુનિક ટાઈમ-મેનેજમેન્ટ કે ટાઈમ-બજેટિંગનો આ પ્રથમ સ્વર્ણનિયમ છે. 

મેં વર્ષો પહેલાં મારે માટે થોડા નિયમો બનાવ્યા હતા. જે કામ આપણને ગમતું નથી એ પહેલું કરવું ! જે કામ મુલતવી રાખીએ છીએ એ કામ દૂરથી મોટું લાગે છે અને જેમ જેમ એની અંતિમ ડેડલાઈન પાસે આવતી જાય છે એમ એમ વધુ ને વધુ મોટું બનતું જાય છે, છેવટે એ રાક્ષસી, જટિલ અને ભયાવહ બની જાય છે. રોગ અને રિપુની જેમ અપ્રિય કાર્ય પણ પહેલું જ ખતમ કરી નાખવું. મીઠીબાઈ કૉલેજમાં આખું વર્ષ મારા પ્રિન્સિપાલની મહેરબાનીથી મારે વર્ષમાં ત્રણ વખત ખૂબ જ પેપરો તપાસવાનાં આવતાં, જે સેંકડોને હિસાબે હતાં. આ જડ મજૂરીનું કામ મારે બીજાઓ કરતાં ત્રણ ગણું રહેતું. બીજાઓ છેલ્લા દિવસ સુધી કાર્યભાર વિષે કકળાટ કરતા રહેતા, હું પહેલા દિવસથી જ જે અને જ્યારે ટાઈમ મળે, પેપરો પતાવતો રહેતો અને દસબાર દિવસ પાગલની જેમ પાછળ પડીને એ ખતમ કરી નાખતો. નવો નવો હતો ત્યારે મેં એક વાર પ્રથમ સપ્તાહે જ પહેલા લૉટનું પરિણામપત્રક કૉલેજ-ઑફિસમાં આપી દીધું અને મારા પ્રિન્સિપાલે લુચ્ચું, ગંદું, ગાંધીવાદી અર્ધ સ્મિત કરતાં કહ્યું હતું : હં....અ....અ...! બક્ષી, તમે આટલા જલદી પેપરો કેવી રીતે તપાસી લીધાં? પછી હું શીખ્યો, કે પેપરો આપણા ટાઈમ-મેનેજમેન્ટ પ્રમાણે તપાસી લેવાં, પણ પરિણામપત્રક કૉલેજ-ઑફિસમાં ત્યારે જ આપવું જ્યારે બધા આપવાનું શરૂ કરે. કામચોર માણસોમાં અદેખાઈ એ રીતે ઊગતી હોય કે જેવી રીતે ઢોરને શિંગડાં ઊગી જાય છે અને એ વાત સમૂહમાં કામ કરતી વખતે ખ્યાલ રાખવી જોઈએ.

સમયનો પુનર્જન્મ થતો નથી, સમય રિ-સાઈકલ થતો નથી, આપણને બીજાનો સમય મળી શકતો નથી. "ટાઈમ ઈઝ મની" કહેનાર માણસે જડ અને બુદ્ધિહીન માણસોને સરળતાથી સમજાવવા માટે આ કહેવત શોધી હશે. સમયનો સદુપયોગ કેમ કરવો એનું એક શાસ્ત્ર વિકસ્યું છે. ડૉ. નગેન્દ્ર સિંહ યુરોપની હેગની આંતરરાષ્ટ્રીય કૉર્ટના જજ હતા અને ભારતના એકમાત્ર પ્રતિનિધિ હતા. એ વર્ષે-બે વર્ષે એક પુસ્તક પણ પ્રકટ કરી લેતા હતા. એક વાર એમને પૂછવામાં આવ્યું : સર! તમે આટલા બધા વ્યસ્ત રહો છો તો તમને અવકાશ મળે છે કેવી રીતે પુસ્તક લખવાનો? અને ડૉ. નગેન્દ્ર સિંહે શાંતિથી ઉત્તર આપ્યો : ચા પીતી વખતે તમે કેટલો સમય બગાડો છો? મેં એ સમયે ઓછામાં ઓછું એક પાનું રોજ લખવાનો નિર્ણય રાખ્યો છે. વર્ષમાં 365 પાનાં તો તમે લખી શકો છો! એટલે એક પુસ્તક જેટલી સામગ્રી તમે એક વર્ષમાં જરૂર જમા કરી શકો છો. કડક શિસ્ત હોવી જોઈએ, અને ધૈર્ય...

ટાઈમ-મેનેજમેન્ટમાં બીજાને કામ સોંપવાની, બીજા પાસે સહયોગી તરીકે કામ બાંટીને કરાવવાની બિરાદરાના ખેલદિલી પણ હોવી જોઈએ. જીવન એ દોડી રહેલા, પચાસ ઘોડાઓના રથ જેવું છે. બધી જ લગામો ખેંચી રાખવાનો આગ્રહ રાખનાર સ્વયં ખેંચાઈ જાય છે,  ઘોડાઓ બધી જ દિશામાં દોડી જાય છે અને રથ સ્વયં છિન્નભિન્ન થઈ જાય છે. માણસ જેટલી લગામો ખેંચી શકે એટલી જ એણે પકડી રાખવી જોઈએ અને વય વધતી જાય એમ એમ એક લગામ છોડતાં જવું જોઈએ... જે થતું નથી! આ "અપરિગ્રહ"  પણ ટાઈમ-મેનેજમેન્ટનો જ એક ભાગ છે.

દિવસ એટલે આંખો ખુલ્લી રહે એટલો જ સમય. જો 24માંથી 8 કલાક સૂવાના હોય તો દિવસ એટલે 16 કલાક અને એમાંથી પણ થોડા કલાકો નિત્યક્રમો લઈ લે છે. બાકી રહેલા કલાકોમાં પ્રવૃત્તિ કરવાની રહે છે. મને લાગે છે કે 16 વર્ષની વયે મેં જ્યારે રોજની ડાયરી કે વાસરિકા લખવી શરૂ કરી અને 8 વર્ષ સુધી રોજ રોજ લખી ત્યારે એ ડાયરીઓનાં 5000 પાનાંઓએ મને અનાયાસે જ ટાઈમ-મેનેજમેન્ટ શીખવી દીધું. રોજ ક્રમથી કમ એક પાનું ગમે તે વિષય પર લખવાનું જ, વહેલી સવારથી રાત્રે સૂતાં પહેલાં સુધીના સમયમાં ગમે ત્યારે. સમય મળતો નથી, સમય હંમેશાં કાઢવો જ પડે છે. સમયની સુવિધા પ્રમાણે કામનું વર્ગીકરણ કરી લેવું પડે છે. જરૂરી, અર્ધજરૂરી અને અજરૂરી કામો પણ કરતાં રહેવું પડે છે. જો શિસ્તબદ્ધ થવાની આદત પાડી છે, જો ટાઈમ આપીને સમયસર પહોંચવાની આદત પાડી છે, જો દરેક વસ્તુને વ્યવસ્થિત ગોઠવવાની આદત પાડી છે તો વહી રહેલા કન્વેયર બેલ્ટની જેમ કામો આવતાં રહે છે, થતાં રહે છે અને "ટેન્શન" નામનો શબ્દ વાપર્યા વિના, રમૂજ કરતાં કરતાં પણ, કામ થઈ શકે છે.

ક્લોઝ અપ: 

ગુઝશ્ત આંચહે ગુઝશ્ત - ફારસી કહેવત (થઈ ગયું જે કંઈ એ થઈ ગયું.) 

ગઈ ગુજરી સંભારવી નહીં - ગુજરાતી કહેવત 

(સમકાલીન : ઑક્ટોબર 25, 1992)

(મેનેજમેન્ટ અને બિઝનેસ)

ગાંધીજી અને ટાઈમ મેનેજમેન્ટ

એક પ્રશ્ન મને ઘણી વાર પુછાયો છે : તમને આટલું બધું વાંચવા-લખવાનો ટાઈમ કેવી રીતે મળે છે?

ટાઈમ-મેનેજમેન્ટનો મારો આદર્શ ગાંધીજી છે. ગાંધીજી પૃથ્વી પરના દરેક વિષય પર અભિપ્રાય આપી શકતા હતા, વ્યક્તિગત પત્રોના ઉત્તરો આપતા હતા, એમની બકરીનો ખ્યાલ રાખતા હતા, સરદાર અને નહેરુ સાથે દેશની ભીષણ સમસ્યાઓની ચર્ચા કરતા રહેતા હતા, ઉપવાસ અને મૌનવાર તેમજ પ્રાર્થનાસભા બરાબર સમયસર સાચવી શકતા હતા, ચાલુ ટ્રેને ડાબા અને જમણા હાથે બંને રીતે લખી શકતા હતા, ક્યારેય એમની રમૂજ ખોતા ન હતા, બ્રહ્મચર્યથી બૉમ્બથી બનારસના મંદિર વિષે ચિંતા કરી શકતા હતા. એ 24 કલાક ખુલ્લું જીવન જીવતા હતા જેમાં પ્રાઈવસી કે ખાનગીપણું કંઈ જ ન હતું અને એમણે હજારો પાનાં લખ્યાં છે, પ્રતિ સપ્તાહ "યંગ ઈન્ડિયા"થી "હરિજન" સુધીનાં પત્રોનું દશકો સુધી સંપાદન કર્યું છે. ગાંધીજીને આટલો બધો ટાઈમ કેવી રીતે મળતો હતો? ગાંધીજી ટાઈમ-મેનેજમેન્ટ ભણ્યા ન હતા, પણ ટાઈમ-મેનેજમેન્ટવાળા ગાંધીજીમાંથી હવે ભણી રહ્યા છે!

ગમે તેવા તનાવની નીચે હસી શકવું એ મને લાગે છે કે ગાંધીજીના ટાઈમ-મેનેજમેન્ટની વિશેષતા હતી ! જો કે કેટલાક એમ પણ માને છે કે હસવામાં પણ ટાઈમ બગડે છે... !

(મેનેજમેન્ટ અને બિઝનેસ : પૃ. 1-2-4)

June 2, 2013

ફરીદા ખાનમ વિશે "મારું નામ, તારું નામ" નવલકથામાંથી...

બક્ષીબાબુની "મારું નામ, તારું નામ" નવલકથામાં ગાયિકા ફરીદા ખાનમ વિશે તેજ અને વાગ્દેવી વચ્ચે થયેલાં રસપ્રદ સંવાદના અંશો:
 
"તેજ ! તેં ફરીદા ખાનમને સાંભળી છે? સાંભળી હશે, પણ હું તને એક કેસેટ સંભળાવું છું... બિલકુલ મારા મિજાજની ચીજ છે. મને બહુ ગમે છે."

"ફરીદા ખાનમ વિશે સત્યજિત રાયે કહ્યું હતું કે..." તેજ બોલ્યો, "આ અવાજ 19મી સદીનો અવાજ છે !"

"એનો અવાજ બહુ જ હોન્ટ કરે છે !" વાગ્દેવી બોલતી ગઈ, "સત્યજિત રાયની વાત તદ્દન સાચી છે."

વાગ્દેવીએ ક્રિસ્ટલના બેઠા ગ્લાસમાં વ્હિસ્કી રેડીને, બરફના બે ક્યૂબ નાખીને, તેજને આપ્યો. એણે એક નાજુક, નાના ગ્લાસમાં શેરી લીધી, ફરીદા ખાનમની કેસેટ મ્યુઝિક સિસ્ટમ પર મૂકી. લાઈવ પ્રોગ્રામની કેસેટ હતી. શરૂમાં તાળીઓના ગડગડાટ આવ્યા. બંને ચૂપ થઈ ગયા. પછી ઘૂંટાયેલો, મંજેલો, મધુર દર્દથી તરાશેલો, ગહરાઈઓમાં ડૂબીને બહાર આવેલો અવાજ આવવા લાગ્યો અને મદ્ધિમ રોશનીમાં ફેલાઈને ગુંજવા લાગ્યો: આજ જાને કી જિદ ના કરો...યૂં હી પહલૂ મેં બૈઠે રહો...!

"ધિસ ઈઝ ફરીદા ખાનમ !...તેજ ધ્યાનથી સાંભળજે !" વાગ્દેવી ભાવુક થઈને તેજના ચહેરાને જોતી રહી.

અવાજ ફેલાતો ગયો:

યૂં હી પહલૂ મેં બૈઠે રહો
તુમ સોચો જરા ક્યું ન રોકે તુમ્હે
જાન જાતી હૈ જબ ઉઠ કે જાતે હો તુમ
તુમકો અપની કસમ જાને જાં
બાત ઈતની મેરી માન લો
વક્ત કી કૈદ મેં ઝિંદગી હૈ મગર
ચન્દ ઘડિયાં યહીં હૈ જો આઝાદ હૈ
કલ કી કિસકો ખબર જાને જાં
હૌસલા આજ કી રાત કા હૈ...

અવાજ ખોવાતો ગયો, ટેપમાંથી તાળીઓના અને વાહવાહના પડઘા ઊઠ્યા અને શમી ગયા. તેજ સ્તબ્ધ થઈને વાગ્દેવીને જોતો રહી ગયો હતો. વાગ્દેવી ફક્ત તેજ સાંભળે એમ ગુનગુનાતી હતી: 
 
વક્ત કી કૈદ મેં ઝિન્દગી હૈ મગર
ચન્દ ઘડિયાં યહી હૈ જો આઝાદ હૈ
કલકી કિસકો ખબર જાને જાં -

ફરીથી ફરીદા ખાનમનો અવાજ ખામોશી ફાડીને ઊભરતો ગયો: 
 

"દર્દી ઈશ્ક કી...શું કહ્યું?" તેજ બોલ્યો

"એ મને પણ સમજાતું નથી-" વાગ્દેવીએ કહ્યું, "આગળ સાંભળ !"

ટેપમાંથી અવાજ ખૂલતો ગયો: 
 
મેરે દાગે-દિલ સે હૈ રોશની ઈસ રોશની સે હૈ ઝિંદગી
મુઝે ડર હૈ મેરે ચારાગર, યહ ચિરાગ તૂ હી બુઝા ન દે
મેરા અઝમ ઈતના બુલંદ હૈ, કિ પરાયે શોલોં કા ડર નહીં
મુઝે ખૌફ આતિશે ગુલ સે હૈ, કિ કહીં ચમન કો જલા ન દે...

કેસેટ પૂરી થઈ, તેજ ચૂપ થઈ ગયો હતો. વ્હિસ્કીની એક ઘૂંટ ભરીને એ ખામોશ રહ્યો.

"ઘણીવાર એવું થયું છે...રાત્રે કલાકો સુધી ઊંઘ આવી નથી અને આ કેસેટ સાંભળતી રહી છું. વચ્ચે એકવાર વિચાર આવી ગયો હતો કે તને ભેટ આપું...પછી થયું નહીં....એમ સાંભળવાની મજા જ નહીં આવે. આપણે બંને સાથે સાંભળીશું....અને..." વાગ્દેવી અટકી ગઈ.

"હા."

"ગમી?"

"તારા મનની વાત આ અવાજે કહી દીધી છે." તેજે કહ્યું.

"હું પણ... મને લાગે છે અંદરથી 19મી સદીની સ્ત્રી છું...! બહારથી 21મી સદીની." વાગ્દેવીનો અવાજ નરમ થઈ ગયો. "આપણી જિંદગી 20મી સદીમાં બંધ થઈ ગઈ છે...વક્ત કી કૈદ મેં ઝિંદગી હૈ મગર...ચન્દ ઘડિયાં યહી હૈ જો આઝાદ હૈ...

(મારું નામ, તારું નામ: પૃ.243-244)

ગુજરાતી લખાણમાં અંગ્રેજી શબ્દો

જરા વિદ્વાન દેખાવા માટે અંગ્રેજી શબ્દો લખવા કે બોલવા જોઈએ, કૉન્સેપ્ટ અને ડિસેપ્શન જેવા, અને વધારે બુદ્ધિમાન દેખાવું હોય તો પારામિટર અને બેંચમાર્ક અને કોન્સ્ટ્રેઇન્ટ્સ જેવા શબ્દો વાપરવા, જો લોકો નહીં સમજે તો બુદ્ધિમાન તરીકે તમારી ઊંચાઈ વધી જશે ! અને અંગ્રેજી ઉચ્ચારો ન આવડતા હોય એટલે ગુજરાતી કૉલમમાં અંગ્રેજી શબ્દો કે વાક્યો રોમન લિપિમાં, અંગ્રેજી અક્ષરોમાં લખવાની લુચ્ચી બદમાશી કેટલાક લેખકોમાં આવી ચૂકી છે. અંગ્રેજી લેખનમાં ક્યારેય ગુજરાતી લિપિ જોઈ છે? ફ્રેંચ કે જર્મન કે રશિયન કે ફારસી કે અરબી લિપિ જોઈ છે? તો શા માટે ગુજરાતી લેખમાં અંગ્રેજી લિપિમાં વાક્યો લખાવાં જોઈએ? આ ગુજરાતી અસ્મિતા નથી. અને કવિ રોબર્ટ ફ્રોસ્ટે લખ્યું છે એમ કેટલાક કૂતરાઓને ગળામાં ગલપટ્ટો બંધાઈ જાય છે પછી જ ભસવાનું શૂરાતન ચડે છે. જ્યારે હું ગુજરાતી કૉલમલેખનમાં અંગ્રેજી લિપિમાં વાક્યો જોઉં છું ત્યારે મને એવી ફીલિંગ, એવો અહેસાસ, એવો આભાસ થયા કરે છે કે ઝાડુ મારવા માટે રાખેલો છોકરો, ટુવાલ લપેટીને મારા માસ્ટર બેડ-રૂમના કબાટના આદમકદ બેલ્જિઅન આયનાની સામે ઊભો રહીને વાળ ઓળી રહ્યો છે... ! ગુજરાતી ગદ્યમાં અંગ્રેજી લિપિબદ્ધ શબ્દો અને વાક્યોએ આ રીતે ઘૂસી જવું જોઈએ નહીં. 

(અભિયાન: ઑગસ્ટ 15, 2000)

(ગુજરાત અને ગુજરાતી)

સંગીત એટલે...

વ્હીલચૅરમાં બેઠેલો સૈનિક 'અય મેરે વતન કે લોગો...' ગાતો હોય, અને આંખોમાંથી આંસુ ખેંચાઈ જાય, એને સંગીત કહે છે. ડી-હાઇડ્રેટેડ, લખેલા કાળા શબ્દોમાં ગાયકના ગળાની 98.4 ડિગ્રી ગરમી, ઉષ્મા ઉમેરાય ત્યારે સંગીત બને છે. મુંબઈના શેરીફ તરીકે કારગિલના ઘણા કાર્યક્રમોમાં મુખ્ય અતિથિ તરીકે બેસવા મળ્યું છે અને જનતાના મિજાજને સમજવાના મૌકા મળ્યા છે. સંગીત શું હોય છે? કોઈ આસ્વાદની જરૂર હોતી નથી, સ્વાદ સ્વયંભૂ હોય છે. આંખોમાંથી વહી જતાં આસું સ્વયંભૂ છે. આસ્વાદ રસાનુભૂતિ છે, કોઈ કરાવે છે, સ્વાદ સ્વયંનો અનુભવ છે. રોટીનો સ્વાદ હોય છે, વિટામિન આસ્વાદ છે. સ્વાદન અને આસ્વાદન વચ્ચે બુનિયાદી ફર્ક છે. વિષાદાનંદ એ કવિતાનું જ એક સ્વરૂપ છે, કારગિલ પછી. શામ ભી થી કુછ ધુઆં-ધુઆં/દિલ ભી થા કુછ ઉદાસ-ઉદાસ/ ઐસે મેંકુછ કહાનિયાં/ યાદ સી આ કે રહે ગયી...!  ધુઆં-ધુઆં યાદો, શહાદતની, ગાલ ફાડીને ત્રણ દાંતો તોડી ગયેલી ગોળીની, નિતંબમાં ઘૂસી ગયેલા શાર્પનેલના ટુકડાઓની, જેને લીધે બેસી શકાતું નથી, સૂઈ શકાતું નથી, ઊભા રહી શકાતું નથી, કપાયેલા બે હાથોની, બુઝાઈ ગયેલી એક આંખની... અય વતન, અય વતન...

સંગીત. શું હોય છે સંગીત? એક સંવાદ મૌનનો, ગાયક અને ભાવકની વચ્ચે. સંગીત ઇલેક્ટ્રૉનિક થઈ ગયું છે, અત્યંત લાઉડ, ઇલેક્ટ્રૉનિક અવાજોએ નવી પેઢીને બહેરી કરી નાંખી છે. કોમલ ગાંધાર કે કોમલ ધૈવત આ બહેરા કાનોવાળી નવી પેઢી સમજી શકશે? આપણી પગની આંગળીઓ વાંદરાઓની પગની આંગળીઓની જેમ કામ કરી શકતી નથી, કદાચ એમ જ આવતી પેઢીના કાન કામ નહીં કરી શકે. ઑશો રજનીશનું કહેવું હતું કે ગીતો બજારોમાં વેચાતાં નથી, અને પક્ષીઓ ગાવાનું શીખવા કૉલેજોમાં જતાં નથી ! સંગીત શું છે? સંગીતની મજા એ છે કે સંગીત ટૉર્ચર કરે છે, તમને કબીરના શબ્દોમાં 'અનહદનો આનંદ' આપે છે, સંગીત 'મેસોકિસ્ટિક પ્લેઝર' આપે છે! સંગીતકાર એના અવાજ દ્વારા તમારા આત્માને સ્પર્શ કરે છે. સંગીતની કઈ ભાષા છે? અર્થ પ્રકટ કરવાની વાત નથી, ભાવ પ્રકટ કરવાની વાત છે. સંગીત દુશ્મનોને આંસુઓથી ભીંજાવી શકે છે...

કલા સર્વત્ર છે. મહાન સંગીતજ્ઞ પાવારોટ્ટી કહે છે, હું બાળકના રુદનને જોઉં છું. બાળક લયમાં રડે છે, રાતભર રડે છે, પણ સવારે એનું ગળું ખરાબ થતું નથી, કારણ કે એ લયમાં રડે છે! રુદનનું સંગીત? સવારનું વૃક્ષ પક્ષીઓના ચહચહાટથી ભરેલું હોય છે. કલા શું છે? તમે રડો છો એ આંસુઓનું નૃત્ય છે! પ્રકૃતિમાં સર્વત્ર કલા છે. અગ્નિ સ્થિર નથી, નાચે છે. ધુમાડો સ્થિર નથી, એ નૃત્ય કરતો રહે છે, ધુમાડો અંગડાઈઓ લેતો ઉપર ઊઠતો રહ્યો છે, એ એનો સ્વભાવ છે, ધર્મ છે, એનું નૃત્ય છે. અગ્નિ, વરાળ, ધુમાડો સતત નાચતા રહે છે. હું લખું છું ત્યારે કાગળ પર કાળા અક્ષરો નાચે છે ! સંગીત શું છે? રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું છે : સંગીત વિનાનાં મારાં ગીત, પાંખો વિનાનાં પતંગિયાં જેવાં છે...

સંગીત શું છે? મને શું ગમે છે એ હું સમજું છું. પુરુષના અવાજની ખરજ, સ્ત્રીના સ્વરની મુલાયમિયત, ભાવવિભોર થવાની આધ્યાત્મિકતા, પીળું રેશમ ગાલ પરથી સરકતું હોય એ સંગીતની કુમાશ, મૌસીકીમાંથી આવતો તૂટનનો આસાર, નસોમાં ધબકતા રક્તનો તાલ. સંગીત શું છે? સંગીત ખૂનને વેગ આપે છે, નર્વ્ઝને અડી જાય છે, એક આકાશ બાંધી આપે છે, ઝિલમિલ રૂમાનિયતનો એહસાસ કરાવે છે. દુ:ખ એ મજાની પરાકાષ્ઠા બની જાય એ સંગીતનું યોગદાન છે, ઉલ્લાસની વેદના અસહ્ય બની જાય છે. સંગીત એક કશિશ બની જાય છે. મુસ્કાનોની રૂમાનિયત એક તરફ રહી જાય છે, કંઈ જ સમજાતું નથી, બધું જ સમજાઈ જાય છે. સોનેરી રંગની વરાળ, ધીમે ધીમે નિચોવી નાંખતું સુખ, મદ્ધિમ પ્રકાશ, અવાજની એક અપનિયત, વિષાદની મસ્તી, અને રડવાના પહેલાની અને પછીની એક ભાષા.

સંગીત પ્રતિભાવની ભીખ પર જીવતું નથી, સંગીત ભાવના-અહેસાસ પર બુલંદ થતું જાય છે. પ્રકૃતિમાં પાણી વહે છે ત્યારે એ ક્યારેય શાંતિથી વહેતું નથી, પત્થરો પર, ખડકો પર, શિલાઓ પર, ચટ્ટાનો પર એ પાણી પછડાય છે, પટકાય છે,  ખળખળ અવાજ આવે છે, એ વહેતા પાણીનું નૃત્યસંગીત છે. એક આરોહ-અવરોહ હોય છે, વહેતા પાણીનો, ફૂંકાતી હવાનો, વરસતા વરસાદનો, પક્ષીના અવાજનો. અને માણસનું બોલવું એ પણ સંગીતના નિયમોને આધારિત છે, બોલવામાં ખામોશી, ગતિ, ઊંચાઈ, ગહરાઈ... સેંકડો આયામો માણસના ગળામાંથી પ્રકટ થાય છે. ગળામાંથી સેક્સ ફેંકતા પુરુષનું આક્રમક સંગીત. ફાટતું, માંસલ, હસ્કી, સેક્સી, છલોછલ, તરબતર સ્ત્રીનું રેશમી મખમલી સંગીત. 

સંગીત શું છે? બાળકને બોલતાં અને ચાલતાં આવડે, પછી ગાતાં અને નાચતાં શીખવવું પડે છે? રક્તને ધબકતું રાખવા માટે રિયાઝ કરવો પડે છે? વેદનાને ગળામાંથી ફાટવા માટે આલાપ અને અસ્થાયી અને અંતરા અને વિલંબિત તીન તાલના વ્યાકરણના અને ગણિતના નિયમોની રજા લેવાની હોય છે? ધોરી નસમાં ફેંકાતા લાલ લોહીના ફાટતા, ફેંકાતા ધબકારને માલકૌંસ કે કાફી-સિંધુમાં દબાવી શકાશે? એક નવી પેઢીઓનું સંગીત છે, ચાબુકના ફટકાર જેવી તેજલયથી હવાને થર્રાવી દેતું, અસહ્ય મસ્તીથી સરાબોર, લાંબી સાંજો યાદ આવી જાય એવું કાળું સંગીત, સફેદ સફેદ દાંતોવાળું, છલોછલ વાસનાથી ટપકતું, પસીનાની વાસવાળું, પ્રકૃતિના બુનિયાદી ભડકતા રંગોની ઝિલમિલાહટવાળું સંગીત, 'સોલ મ્યુઝિક', આત્મામાંથી ઊઠતી વરાળ જેવું સંગીત...! બસ, ઝૂમવાનું હોય છે. અને ઝૂમનાર ખબરદાર હોતો નથી, હોઈ શકતો નથી...

સંગીત શું છે? એ સમજવાની વસ્તુ છે? સંગીતમાં તરતા રહેવું જોઈએ કે સંગીતમાં ડૂબી જવું જોઈએ? દુનિયાભરમાંથી ખરીદેલી કૅસેટોની એક સલ્તનત મારી પાસે છે, અને એમાં એક અવાજ પાકિસ્તાનની ગાયિકા મુન્ની બેગમનો છે, દબાયેલો પણ સાફ ઔરતાના અવાજ : રંગો-નિકહત સે મિલો/ એશો-ઇશરત સે મિલો/ શૌક સે સબસે મિલો/ સબસે ફૂર્સત સે મિલો/ સબસે મિલ આઓ તો... એક બાર મેરે દિલ સે મિલો...! 

સંગીત વક્તગુઝારી માટે નથી. દરેક ગાયિકાના દર્દનો બ્લ્યૂ રંગ જુદો છે. અને ઔરતના બ્લ્યૂ દર્દનો સ્વર પુરુષના પડછાયાને હલાવી જાય છે. અવાજની કંપન રક્તચાપને રોકી શકે છે, પણ વેદના મૌજથી છલકે છે. સાઝ અને આવાઝ બંને દિલનવાઝ હોય ત્યારે, શામે-હમદર્દમાં, કોની પાસે વિચારવાનો સમય છે? સંગીત શું છે.... એ પણ વિચારવાનો સમય ક્યાં છે? 

(અભિયાન: ઑગસ્ટ 21, 1999) 

(સાહિત્ય અને સર્જન)

લોકશાહી વિશે....

લોકશાહી શાંત બહુમતીની રમત છે. એક બહુ જ મોટી બહુમતી જેને અંગ્રેજીમાં 'ધ સાઈલન્ટ મેજોરિટી' કહેવાઈ છે, બધું જ જુએ છે, સમજે છે અને સમય આવે ત્યારે પરિવર્તન લાવે છે. આ મધ્ય વર્ગ છે અને આ મધ્ય વર્ગ, દંતકથાના ઍટલાસની જેમ, એના ખભા પર આકાશ લઈને ઊભો છે. લોકશાહીની સેંકડો વ્યાખ્યાઓ કાલક્રમે આવતી રહી છે, અને એમાં એબ્રહમ લિંકનની લોકો માટે, લોકો દ્વારા, લોકોની સરકાર... કદાચ સૌથી સુખ્યાત વ્યાખ્યા છે. પણ હું જ્યારે લોકશાહી વિષે વિચારું છું ત્યારે મારી વ્યાખ્યામાં એક આરબ કહેવત આવે છે. આરબોની કહેવત છે કે, કારવાંની ગતિ સૌથી ધીમે ચાલતો માણસ નક્કી કરે છે ! સૌથી ધીમે, ધીરે ચાલતો નાનો માણસ કારવાંમાં છેલ્લો હોય છે. એને હાથ પકડીને, ગતિ આપીને, એને સહાયક થઈને જ લોકશાહીનો કારવાં ગતિ તેજ કરી શકે છે અને ઝડપથી આગળ વધી શકે છે. જે માણસ અમીરે-કારવાં છે, કારવાંનો નેતા છે, એણે પાછળ જોતા રહેવું પડે છે. એને નાના માણસનો સતત ખ્યાલ રાખતા રહેવું પડે છે, આ લોકશાહી છે. મારી દ્રષ્ટિએ, અને નેતૃત્વની આ જ કસોટી છે.   

(સંદેશ: જાન્યુઆરી 10, 1999) 

(જીવન અને સફર, પૃ.4)