July 29, 2013

જનતા સમુદ્ર છે અને નેતા સમુદ્રે ફેંકેલું એક મોજું છે...

'રાજીવ પછી, કોણ' એ એક લોકરમતનું નામ છે. થોડાં થોડાં વર્ષે આ રમત રમાયા કરે છે. શરૂમાં આ રમતનું નામ હતું. 'નેહરુ પછી, કોણ?' વચ્ચે આ રમત 'ઈન્દિરા પછી, કોણ?' બની ગઈ હતી. રાજીવ ગાંધી એમની સમયમર્યાદાના અડધા માર્ગ સુધી પહોંચ્યા છે એટલે આ પ્રશ્ન અત્યારે બહુ સાંદર્ભિક નથી પણ આ રમત કે ગમ્મતમાં બધાને રસ છે જ. જ્યાં પ્રજાવાદ છે ત્યાં આનો ઉત્તર સ્પષ્ટ છે : પ્રજા જેને પસંદ કરે એ ! પણ હિન્દુસ્તાનનો પ્રજાવાદ એ પ્રકારનો છે જેવો જગતભરમાં ક્યાંય નથી. ચાલીસ વર્ષથી નાના, મમ્મી અને બેટો એમ એક જ વંશની વાંશિક પરિવારશાહી ચાલે છે અને એ જ ડેમોક્રસી કહેવાય છે ! માટે આ લોકગમ્મત : રાજીવ પછી, કોણ?

શ્રીમતી ગાંધીની હત્યા થઈ ત્યારે રાષ્ટ્રપતિ ઝૈલસિંઘે રાજીવ ગાંધીને પ્રધાનમંત્રી તરીકે શપથ લેવડાવી દીધા હતા. આ પૂરી વિધિ અવૈધ હતી. પ્રથમ પ્રધાનમંત્રી નિમાયા અને પછી કોંગ્રેસ સાંસદીય પક્ષે રાજીવ ગાંધીને પક્ષના નેતા તરીકે ચૂંટ્યા ! ગાડીની સાથે ઘોડો જોડવાની ક્રિયા કરવાને બદલે આપણે પ્રથમ ઘોડો લઈ આવ્યા અને પછી એને ગાડી જોડી દીધી. લોકશાહીની પ્રણાલિકા એ છે કે પક્ષ નેતા ચૂંટે અને એ પક્ષ સંસદમાં બહુમતી ધરાવતો હોય માટે એ નેતાને રાષ્ટ્રપતિ મંત્રીમંડળ રચવા આમંત્રણ આપે. એ માણસ પ્રધાનમંત્રી બને. પણ પ્રધાનમંત્રી બનતાં પહેલાં એ માણસ બહુમતી પક્ષનો નેતા ચૂંટાય એ આવશ્યક હોય છે. અહીં ઊંધું થયું. 

ભારતની રાજનીતિ નેતાકેન્દ્રી છે જ્યાં જનતાએ ફર્જરૂપે નેતાના કહ્યા પ્રમાણે કરવાનું છે. નેતા હજી ઘેટાવાદમાં માને છે. એ પોતે કાયદાથી ઉપર છે અને એ ક્રૂર વાસ્તવ આપણે રોજ જોઈ રહ્યા છીએ. માઓ-ત્સે-તુંગનું વિધાન હતું કે, જનતા સમુદ્ર છે અને નેતા એ સમુદ્રમાંથી ઊઠેલું એક મોજું છે. આ મોજું સમુદ્રના ખળખળાટમાંથી જન્મે છે, ઊભરે છે, ઊંચાઈ પ્રાપ્ત કરે છે, કિનારા તરફ દોડે છે, આખા સમુદ્ર પર ક્ષિતિજથી ક્ષિતિજ સુધી છવાઈ જાય છે, પણ મોજાએ એક વાત ભૂલવાની નથી - એ સમુદ્રમાંથી જન્મ્યું છે, એણે કિનારાની રેતી પર પટકાવાનું છે, એની જે પણ ઊંચાઈ હોય એ સમુદ્રે એને આપી છે અને એની પાછળ બીજું નાનું મોજું જન્મી ચૂક્યું છે જે કાળક્રમે એ રીતે જ સમુદ્ર પર છવાઈને કિનારા પર પટકાવાનું છે. સમુદ્ર સનાતન છે, મોજું સામયિક છે. સમુદ્ર જીવે છે, મોજાએ મરવાનું છે. જનતા, જાગૃત અને ખળભળી ચૂકેલી જનતા, હંમેશા દરેક દેશમાં નેતા ફેંકતી રહેશે. જગતની દરેક પ્રજાને પોતાની જાગૃત કે અર્ધજાગૃત કે સુષુપ્ત અવસ્થા પ્રમાણે જ નેતા મળી રહે છે! લોકશાહી જો જનજાગૃતિની સજીવ, ચેતનવંત લોકશાહી હોય તો એ પોતાની જરૂર પ્રમાણે નેતા પસંદ કરી લે છે. આપણામાં કહેવત છે : 'ચોરો નિર્વંશ જતો નથી ! ચોરા પર બેસનારો મળી જ રહે છે.' બહુરત્ન વસુંધરા, પૃથ્વી રત્નો પેદા કરતી રહે છે, અને સમુદ્ર નેતાઓ ફેંકતો રહે છે.

માઓ-ત્સે-તુંગ કહે છે એમ સમુદ્ર એ જ અંતિમ સાતત્ય છે...

(અભિયાન, સપ્ટેમ્બર 21, 1987)

(રાજકારણ-1)

No comments:

Post a Comment