July 30, 2013

હું-કાર, અહંકાર અને અસ્તિત્વનો સંઘર્ષ (કાજલ ઓઝા વૈદ્ય)



૨૧ જુલાઇએ 'રંગ મંડળ’ અમદાવાદમાં નાટક 'હું, ચંદ્રકાન્ત બક્ષી’ ભજવાઇ ગયું. આ નાટકમાં એક અનોખી 'મજા પડે’ એવી કૈફિયત હતી. એરકન્ડીશન વગરના હોલમાં અમદાવાદના જેટલા 'હુઝ હુ’ કહી શકાય તેટલા બધા લોકો બક્ષીને યાદ કરવા, મમળાવવા... ફરી એક વાર એમને મળવા હાજર હતા. આ ખીચોખીચ ભરેલું ઓડિટોરિયમ અને તખ્તા પરથી બોલાતી એમની લાઇન્સ ફરી એક વાર પુરવાર કરી ગઇ કે એમણે એમના સમયથી ઘણું આગળ અને એમની પેનમાં ભરાયેલી શાહીથી ઘણું વધારે લખી નાખ્યું છે.

ચંદ્રકાન્ત બક્ષી - ગુજરાતી સાહિ‌ત્યના એ રિબેલ પાયોનિયર, માથાફરેલ, તુંડ મિજાજી વગેરે વગેરે કહેવાતા નામની આગળ એક અક્ષર લખાતો હતો, વગર લખ્યે પણ સંભળાતો હતો... 'હું’ નાટક પણ 'હું, ચંદ્રકાન્ત બક્ષી’ એ 'હું’ શિશિર રામાવતની સ્ક્રિ‌પ્ટમાં સતત સંભળાતો રહ્યો. 'હું’કાર બનીને નહીં, પણ 'હ’કાર બનીને પ્રતીક ગાંધીના ઉર્દૂ, અંગ્રેજી અને બંગાળી ઉચ્ચારો પર જો થોડું વધારે કામ થઇ શક્યું હોત તો કદાચ વધારે 'મજા પડી’ હોત મનોજ શાહે કહ્યું કે, 'અમે બક્ષીને કોપી કરવાનો પ્રયત્ન નથી કર્યો.’ વાત રસપ્રદ છે...

પરંતુ જો અભિનેતા પોતાની જાતને 'હું ચંદ્રકાન્ત બક્ષી’ કહેતો હોય, તો એટલું જરૂરી છે કે બક્ષીની સ્ટાઇલ અને એના સાચા પોઝીસ સમજીને એમની એકોક્તિમાં યોગ્ય રીતે વપરાય. સ્ટાઇલનો માણસ, મહેફિલનો માણસ... જેણે ગુજરાતી ભાષાને પ્રથમ વાર એક તહેઝીબ-અદબ અથવા એલિગન્સ, ક્લાસ કે ઇમ્પેકેબલ પર્સનાલિટીની ઓળખ આપી એ માણસને એના પછીની પેઢી એ જ રીતે ઓળખે એ જરૂરી નથી? કેટલાક માણસો ઇતિહાસ થઇને જીવી જાય છે અને કેટલાક માણસો ઇતિહાસ રચે છે. ચંદ્રકાન્ત બક્ષી એક એવું નામ હતું કે જેણે ઇતિહાસને રિ-રાઇટ કર્યો. એમની પેઢીના સેનાનીઓ અને સમ્રાટો વિદાય થઇ ચૂક્યા પછી આવા અને આટલી હૂંફથી યાદ નથી રહી શક્યા.

બક્ષી વિશે જેટલું લખવું હોય એટલું લખાય અને ન લખવું હોય તો પણ એક વાક્ય તો લખવું જ પડે કે, 'બક્ષી હતા, છે ને રહેવાના છે.’ જે લોકો પોતાના સમયની આગળ જીવે છે એ બધા સામાન્યત: એક વિચિત્ર પ્રકારના સંઘર્ષમાંથી પસાર થાય છે. એમનો સમય એમને સ્વીકારતો નથી અને એમને જે સમય દેખાય છે - એમના વિઝનમાં કે વિઝડમમાં જે વાત એમને સમજાય છે એ વાત પોતાના સમયને ગળે ઉતારી શકતા નથી. બેહદ તરફડાટ હોય છે, આવા લોકોની ભીતરમાં. એમને ખબર હોય છે કે એ સાચા છે. એમને એવી પણ ખબર હોય છે કે એ જે લખી રહ્યા છે, જે કહી રહ્યા છે કે જીવી રહ્યા છે એ બધું જ એક-દોઢ દાયકા પછી અહોભાવની કક્ષાએ મૂકાવાનું છે.

એમણે જે લખ્યું, જે કહ્યું એ બધું જ આવનારાં વર્ષોમાં, આવનારી પેઢીઓ માટે બ્રહ્મવાક્ય બની જવાનાં છે - એની એમને લખતી વખતે કે કહેતી વખતે ખબર હોય છે, પરંતુ સદભાગ્યે કે દુર્ભાગ્યે એમનો સમય આ બધાને એમનો 'અહંકાર’ માની લે છે. ખરેખર, એમના 'અહં’નો આકાર એટલો ધુમ્મસિયો હોય છે કે એમનું કામ 'સ્કલ્પટિંગ ઇન ટાઇમ’ જેવું પુરવાર થાય છે. ધુમ્મસ ઓગળે, ત્યારે જ એમના કામનું મૂલ્ય સમજાય છે. આવા લોકો 'હતા’ થઇ જાય, 'ધુમાડો’ થઇ જાય કે એમની વાસ પણ હવામાં ઓગળી જાય તેમ છતાં એમનો હું-કાર-અર્જુનના ગાંડીવના ટંકારની જેમ હવામાં સંભળાયા કરે છે. સૌથી મોટા અફસોસની વાત એ છે કે જે લેખકો વાચકનો આવો પ્રેમ નથી પામી શક્યા કે આવા વિશાળ વાચક વર્ગ સુધી પહોંચી નથી શક્યા એ સૌને આ જોઇએ છે... પરંતુ નહીં મળ્યાના અફસોસમાં આ પ્રસિદ્ધિ, સફળતા કે વાચકનો ભરપૂર સ્નેહ 'ખાટી દ્રાક્ષ’ની જેમ નકારીને એ બધા પોતાના 'સર્જન’નો મુગટ પહેરીને પોતાની જ આગવી દુનિયાના રાજા બનીને પ્રજા વગર રાજ કર્યાં કરે છે.

મોટા ભાગના લોકોને ખબર જ નથી કે દરેક હું-કાર અહંકાર નથી હોતો... દરેક અહંકાર તિરસ્કાર નથી હોતો... દરેક તિરસ્કાર વ્યાપાર નથી હોતો અને દરેક વ્યાપાર પ્રહાર નથી હોતો. અહંકારના પણ પ્રહાર હોય છે અને અહંકારનો પ્રહાર દરેક વખતે ઉઝરડા કરી જાય કે સામેનાનું સ્વમાન ઉતરડી નાખે એવો પણ નથી હોતો. બક્ષી કે બક્ષીની આસપાસ જીવેલા લોકો આ વાતને વધુ સારી રીતે સમજી શક્યા હતા 'ગીતા’માં શ્રીકૃષ્ણએ કહ્યું છે કે, 'સર્વ ધર્મ પરિત્યજ્ય મામેકમ્ શરણં વ્રજ અહંત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શૂચ:’ ( સર્વ ધર્મ છોડીને તું મને એકને શરણે આવ. હું તને સર્વ પાપોથી છોડાવીશ, તું શોક ન કર.) એ અહંકાર નહોતો. અહંકાર સામાન્યત: મિથ્યા હોય છે, એની પાસે પ્રમાણો નથી હોતાં, પાયો નથી હોતો અને સમય આવ્યે એને પુરવાર પણ નથી કરી શકાતો.

ફુગ્ગા અને વિમાનમાં ફેર છે. બંને ઊડે છે, પણ એક પાસે દિશા છે, જવાબદારી છે અને બીજા પાસે ઊડયા વગર કોઇ છુટકો નથી માણસને જ્યારે એવી ખબર હોય કે પોતે જે કહે છે એ સત્ય છે... એણે એને વારંવાર ચકાસ્યું હોય, જાણ્યું હોય, અનુભવ્યું હોય, સૂંઘ્યું હોય, ચાખ્યું હોય, ચગળ્યું હોય, ચાવીચાવીને જેને પેટમાં ઉતારી દીધું હોય અને પચાવ્યું હોય એવા માણસને જ આવો અબાધિત અધિકાર મળે છે કે બીજાને કહી શકે કે બધું છોડીને મારું સાંભળ... મારું માન, અથવા મારી વાત સમજવાનો પ્રયાસ કર. એ સિવાયના લોકો આવું કહી શકે છે,

પરંતુ કહ્યા પછી પોતાના જ શબ્દો પર એમને ભરોસો હોતો નથી. બે-ચાર આડાઅવળા સવાલો પૂછવામાં આવે અથવા સંદેહ કરવામાં આવે તો કદાચ આવા લોકો પોતાની જ વાતથી ફરી બેસે છે આપણે આવા માટીપગા - બેકબોન વિનાના, ઢીલાઢાલા કે શ્રી. લોંદેશની વાત નથી કરતા... આપણે વાત કરીએ છીએ એવા માણસોની, જેમણે પોતાના જીવનને ભરપૂર જીવ્યું હોય, જે જીવ્યા હોય એ વિશે અફસોસ વગર વાત કરી શકવાની એમની હેસિયત હોય જે પોતાની ભૂલો વિશે પણ સજાગ હોય, એને સ્વીકારે... એમાંથી નીપજેલાં પરિણામોને ભોગવીને એ માણસ એક નવા પાઠ સાથે, નવી દિશા તરફ જવાની તાકાત અને તૈયારી ધરાવતો હોય... જેણે પોતાની નબળાઇને ઓળખી હોય અને પોતાના ગુણોનો પૂરેપૂરો લાભ ઉઠાવ્યો હોય.

જે લડી શકે (ઝઘડી શકે એવા માણસની વાત નથી), જે સ્વસ્થતાથી સુખને માણી શકે અને સ્પષ્ટતાથી દુ:ખને જાણી શકે... જેને ખબર હોય કે પોતાની પાસે જે છે તે કેટલું મહત્ત્વનું છે અને એ આ ધરતી પર શું કરવા આવ્યો છે આ બધા પછી એક સૌથી અગત્યનો શબ્દ ઉમેરાય છે - સ્ત્રી આ બધું જો એક સ્ત્રી કરતી હોય તો તો ધરતી રસાતાળ જાય છે, અંગ્રેજીનો એક શબ્દપ્રયોગ 'ધ હેલ બ્રોક લુઝ’ (નર્ક તૂટી પડે) જેવું ખરેખર બને છે સંસ્કૃતિ, સભ્યતા, સમાજના નિયમો અને સુરુચિ જેવા શબ્દો પાયામાંથી હાલી જાય છે.

સ્ત્રીનું લખાણ સુષ્ઠુ અને સમાજે બનાવેલી કમ્પાઉન્ડ વોલની અંદર રહીને લખાવું જોઇએ, તો જ એને માન્યતા કે મોક્ષ મળી શકે એને માટે છાપેલી ગાઇડલાઇન ઉપલબ્ધ છે - 'ડુઝ’ અને 'ડોન્ટ્ઝ’ને ફોલો કર્યા વગર લખતી સ્ત્રી એના સમયથી પહેલાં લખે ત્યારે વાચક એને વધાવે છે, પરંતુ વિવેચન, એવોર્ડ કે સન્માનને માટે એણે પોતાના મૃત્યુની રાહ જોવી પડે છે આવા લોકો વારંવાર જન્મ નથી લેતા - આપણે માત્ર બક્ષીની વાત નથી કરતા... આપણે એવા માણસોની વાત કરીએ છીએ, જેમણે ચોઇસલેસ થવાને બદલે રિગ્રેટ્સ વગર ચુઝ કરવાનું પસંદ કર્યું, એટલે કે પસંદગી ન કરવાની નિર્વીયતા બતાવવાને બદલે પસંદ કરીને એના પરિણામ વિશે કોઇ અફસોસ રાખ્યા વગર પોતે કરેલી પસંદગી પર મુસ્તાક રહ્યા.

એવું નથી કે આવા લોકોને કંઇ નુકસાન નથી થયું. અંગત સંબંધોથી શરૂ કરીને સામાજિક પ્રતિષ્ઠા અને કંઇકેટલાય મળવા જોઇએ તેવા સન્માન અને સ્થાન એમણે ગુમાવ્યાં હોય, પરંતુ એમને આવા દુન્યવી નુકસાનનો બહુ અફસોસ નથી હોતો. એમના અસ્તિત્વની પહેલી શરત એ છે કે સ્વતંત્ર હવામાં શ્વાસ લેવો. બીજી શરત છે સ્વમાન અને સ્વત્વ... ત્રીજી શરત છે સ્વધર્મ અને ચોથી શરત એટલે સત્ય - પ્રામાણિકતા.

મજાની વાત એ છે કે એમની સ્વતંત્રતાને ઉચ્છૃંખલતા કે તોછડાઇમાં ખપાવી દેવામાં આવે છે, સ્વત્વ કે સ્વમાનને અહંકાર કહેવાય છે, સ્વધર્મને જીદ કે અણસમજુ હોવાનું લેબલ ચોંટાડવામાં આવે છે, એમના સત્યને નફટાઇ કે 'સુરુચિના ભંગ’ જેવા આક્ષેપો સાથે વધ:સ્તંભ સુધી લઇ જવામાં આવે છે. નિ:શંક વાત છે કે ભેદરેખા પાતળી છે, પરંતુ આ લેબલ, આક્ષેપો કે માન્યતાઓ વિશેનો નિર્ણય કોણ કરે? એ સમાજ, એ લોકો - જેમને જિંદગીના આ અગત્યનાં શબ્દો કે તત્ત્વો વિશે ખબર જ નથી.


(Source : http://www.divyabhaskar.co.in/article/MAG-i-ego-and-existence-of-the-conflict-4333824-NOR.html)

No comments:

Post a Comment