April 28, 2014

પોરસ અને કુતુઝોવ: બે ઇતિહાસો, બે વિજેતાઓ

ફરીથી ઇતિહાસ વિષે ચર્ચાઓ શરૂ થઈ છે, પણ ઇતિહાસની પ્રકૃતિ જ છે ચર્ચાસ્પદ થવાની. માર્ક્સવાદી લાલભાઈઓને વેદના એ વાતની થઈ રહી છે કે કેન્દ્રમંત્રી મુરલી મનોહર જોશી દ્વારા ઇતિહાસનું ભગવાકરણ કે કેસરીકરણ થઈ રહ્યું છે. જાડા કાચવાળાં ચશ્માંધારકો શબ્દો છૂટા પાડીને બોલતા રહે છે કે ઇતિહાસ ઑબ્જેક્ટિવ (પરકેન્દ્રી) હોવો જોઈએ, સબજેક્ટિવ (સ્વકેન્દ્રી) ન હોવો જોઈએ. ઇતિહાસને વર્તમાનકાળ હોતો નથી, માત્ર ભૂતકાળ હોય છે અને ભવિષ્યની દિશા હોય છે. ઇતિહાસને આંસુ હોતાં નથી. ઇતિહાસનો વૃત્તાંતકાર કે લેખક ઘટના ઘટી ગયા પછી લખતો હોય છે અને દરેક ઇતિહાસમાં સબ્જેક્ટિવનું તત્ત્વ હોય જ છે. લંડનની ટાવર બ્રિજની તુરંગમાં એક વિખ્યાત અંગ્રેજ વિશ્વપ્રવાસીને આજીવન બંદી રાખવામાં આવ્યો. પછી એણે વિશ્વનો ઇતિહાસ લખવાનો વિચાર કર્યો. દરમિયાન નીચે સડક પર એક માણસે છરો મારીને બીજા માણસનું ખૂન કર્યું અને ભાગી ગયો. બંદી વિશ્વપ્રવાસીએ સંત્રીને પૂછ્યું: કોણે ખૂન કર્યું? સંત્રીનો ઉત્તર: ખબર નથી! પ્રશ્ન: કોનું ખૂન થયું? ઉત્તર: ખબર નથી! વિશ્વપ્રવાસીએ વિચાર કર્યો કે જેણે ખૂન કર્યું છે અને જેનું ખૂન થયું છે, એ આંખોની સામે થયું છે છતાં પણ જો આપણને કંઈ જ ખબર પડતી નથી તો દશકો અને શતકો પહેલાં થયેલી ઘટનાઓ વિષે કેટલી અધિકૃત વાત લખી શકાય? અને એણે ઇતિહાસ ન લખ્યો! 

એક પ્રાચીન ચીની કવિએ લખ્યું હતું કે હજી સુધી કોઈ મનુષ્ય સૂર્યને સાંકળ બાંધીને એની પરિક્રમા રોકી શક્યો નથી. તટસ્થ ઇતિહાસ નામની વસ્તુ નથી, નિષ્પક્ષ ઇતિહાસ નામની વસ્તુ નથી. જીતેલી પ્રજા ઇતિહાસ લખે છે, હારેલી પ્રજા કવિતા લખે છે. જે પ્રજા પોતાનો ઇતિહાસ ભૂલી જાય છે એ પ્રજાને ઇતિહાસ એક જ સજા કરે છે: એ પ્રજાને ઇતિહાસ ફરીથી જીવવો પડે છે! ઇતિહાસ અને સેક્સ બે જ વસ્તુઓ અમર છે: ઇતિહાસને મૃત્યુ અને ભૂતકાળ સાથે સંબંધ છે, સેક્સને જીવન અને ભવિષ્યકાળ સાથે સંબંધ છે...સન 1191માં ભટીન્ડા પાસે તરાઈના યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણ કે ચાહમાણ કે રાય પિઠૌરા આક્રમક શાહબુદ્ધીન ઘોરીને સખત મહાત આપે છે ત્યારે કનૌજનો રાજા જયચંદ રાઠૌડ તટસ્થ રહે છે અને પૃથ્વીરાજને મદદ કરતો નથી. સને 1761માં પાણિપતના મેદાનમાં વિદેશી આક્રમક અહમદશાહ અબ્દાલીની સામે મરાઠાઓ ઊતર્યા ત્યારે ભરતપુરનો સૂરજમલ જાટ તટસ્થ રહ્યો હતો. જયચંદ રાઠૌડ દેશદ્રોહી અને સૂરજમલ જાટ દેશવીર ગણાયા છે અને જયચંદ 80 વર્ષે યમુનાના કિનારે ચન્દાવરના ક્ષેત્રમાં વિદેશી શાહબુદ્દીન ઘોરી અને એના સેનાપતિ ઐબકનો મુકાબલો કરવા રણભૂમિમાં ઊતરે છે, એની આંખમાં તીર વાગે છે અને હાથી પરથી પડેલો 80 વર્ષનો જયચંદ વીરગતિ પામે છે.

મિખેઈલ કુતુઝોવ રશિયાના ઇતિહાસનો હીરો છે. નેપોલિયને રશિયા પર આક્રમણ કર્યું ત્યારે કુતુઝોવ મોસ્કોની રશિયન સેનાનો સેનાપતિ હતો. કુતુઝોવ શહેર છોડીને પાછો ખસતો ગયો, લડતો રહ્યો અને છેલ્લે નેપોલિયન થાકીને રશિયાથી પાછો ફર્યો. એલેક્ઝાંડર પંજાબ આવ્યો અને પોરસ સામે લડ્યો અને પોરસને "હરાવ્યો" અને પછી થાકીને પોતાના વતન તરફ કૂચ કરી ગયો. પંજાબ તો એ વખતે ઈરાની સામ્રાજ્યનો એક ભાગ હતો અને એલેક્ઝાંડર ફક્ત ઝેલમના કિનારા સુધી જ આવ્યો હતો, જે હિંદુસ્તાનનો એક નૈઋત્ય ખૂણો જ હતો જ્યારે નેપોલિયન પૂરું રશિયા ઓળંગીને મોસ્કો પહોંચ્યો હતો! એલેક્ઝાંડરે ઇતિહાસની દ્રષ્ટિએ ભારતવર્ષની ધરતીને સ્પર્શ પણ કર્યો નથી. પણ હિંદુસ્તાનના ઇતિહાસમાં પોરસને હરાવવાની વાતો જ લખાતી રહે છે! એક વાર મુંબઈમાં રશિયન (તત્કાલીન સોવિયેત) કોન્સલ-જનરલથી હું વાતો કરતો હતો અને એણે કહ્યું કે ગઈ રાત્રે હું ટીવી પર ક્વિઝ કાર્યક્રમ જોતો હતો અને એમાં પ્રશ્ન સાંભળ્યો: ભારત સૌથી પહેલાં વિદેશી આક્રમણ સામે ક્યારે હાર્યું હતું? રશિયન કોન્સલ જનરલે કહ્યું કે અમારા દેશમાં અમે ક્યારેય શીખવતા નથી કે અમે હારી ગયા અથવા સતત હારતા રહ્યા છીએ! તમે આવું કેવી રીતે ચલાવી લો છો? કદાચ ક્યારેક એકાદ રાજા હારી જાય એટલે આખી પ્રજા હારી ગયેલી ગણાય? રશિયનની વાતે મારા દિમાગમાં વિચારનાં વમળો નહીં, પણ વિચારના વિસ્ફોટો જન્માવી દીધા. આપણે આપણી પેઢીઓને એ જ પોપટિયા રેકર્ડ સંભળાવતા રહેવું છે કે અઢી હજાર વર્ષોમાં અમે હિન્દુઓ કેટલું બધું હાર્યા? હજી એમ જ વાંચવું છે કે અંગ્રેજોએ 1947માં આપણને 'આઝાદી આપી'? ઇન્ડિયાનો ઇતિહાસ પોરસને એલેક્ઝાંડરનો વિજેતા કેમ ગણતો નથી?

હિંદુસ્તાનનો ઇતિહાસ "મુસ્લિમ યુગ"ની વાત કરે છે, "ખ્રિસ્તી યુગ" નામની વસ્તુ નથી. પોર્ટુગીઝ, વલંદા (ડચ), ફ્રેન્ચ, અંગ્રેજ આપસમાં હિંદુસ્તાનની ભૂમિ પર સતત લડતા રહ્યા છે, અને બધા જ ફિરંગી ખ્રિસ્તી હતા. ડેન અને જર્મન પણ આવ્યા હતા, ફક્ત સ્પેનીશ આવ્યા નહીં, એ લેટિન અમેરિકા ગયા કારણ કે પોપે વિશ્વને પોર્ટુગીઝ અને સ્પેનીશ વચ્ચે વિભાજિત કરી આપ્યું હતું! હિંદુસ્તાનનો ઇતિહાસ આ દ્રષ્ટિએ કેટલો જાતીય કે વંશીય કે ધાર્મિક છે? બિન-કાસિમ આરબ હતો, મહમ્મદ ગઝની તાતાર હતો, શાહબુદ્ધીન ઘોરી અફઘાન હતો, ચંગેઝ ખાન મંગોલ હતો, નાદિર અને અહમદશાહ અબ્દાલી ઈરાનના રાજાઓ હતો પણ અફઘાન હતા. હિંદુસ્તાનના મુસ્લિમ ઇતિહાસકારો ચંગેઝ ખાન અને હલાકુ ખાનની "મુસ્લિમ" ગર્વગાથાઓ ઊછળી ઊછળીને કહેતા હોય છે અને ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ એકવાર હિંદુસ્તાનને ચેતવણી આપી હતી કે અમે અમારા હીરો ચંગેઝ ખાનની જેમ ઇસ્લામનો ઝંડો ફરકાવીશું...!

ચંગેઝ ખાન અને એનો પુત્ર હલાકુ ખાન મુસ્લિમ ન હતા પણ મંગોલ હતા. "ખાન" શબ્દ મંગોલ છે, મુસ્લિમ નથી. એ જ રીતે "બહાદુર" શબ્દ પણ મંગોલ છે. તેમુજીન નામનો મંગોલ ચંગેઝ નામ ધારણ કરે છે. ચીંગીઝ નામનો એક ફિરશ્તો હતો જે નગ્ન થઈને સફેદ ઘોડા પર બેસીને સ્વર્ગ તરફ ઊડી ગયો હતો એવી માન્યતા મંગોલ જાતિઓમાં હતી. ચીંગીઝ એટલે અજેય યોદ્ધો. પ્રથમ સંગ્રામ જીત્યો ત્યારે ચંગેઝ ખાને 70 મોટાં દેગડાઓમાં પાણી ગરમ કરાવ્યું અને પાણી ઊકળવા લાગ્યું ત્યારે 70 શત્રુઓને પ્રથમ માથા અને મોઢાં ડૂબે એ રીતે ઊકળતા પાણીમાં ડુબાડી દીધા. ચંગેઝ ખાને ઇસ્લામી સંસ્કૃતિ, નગરો, ગામો ખતમ કરી નાંખ્યાં અને કાસ્પીઅન સમુદ્રથી સિંધુ નદી સુધી જે શેષ કરી નાંખ્યું એ પુનર્જીવિત કરતાં ઇસ્લામી વિશ્વને 500 વર્ષો લાગ્યાં. ખીવાના સુલતાન મહંમદની પાછળ ચંગેઝ ખાન ટ્રાન્સઓક્ષીઆ, ખીવા, ખોરાસાન ઓળંગીને સિંધુ સુધી આવ્યો હતો. બોખારાની મસ્જિદમાં એના ઘોડાની ખરીથી કુર્રાન ફાડી નાંખ્યું હતું, મંગોલને કોઈ ધર્મ ન હતો, એ બર્બર હતા. યુરોપમાં મંગોલ ખ્રિસ્તી બન્યા, તિબ્બત અને પૂર્વના પ્રદેશોમાં બૌદ્ધ બન્યા, પશ્ચિમ એશિયામાં મુસ્લિમ બન્યા. સન 1280માં હલાકુ ખાને બગદાદ જીતીને અનુમાનત: 8 લાખ બાળકો, સ્ત્રી-પુરુષોની કતલ કરી હતી, જે મુસ્લિમ હતાં. મસ્જિદો, મહેલો, શહેરો જલાવીને ખાક કરી દેવામાં આવ્યાં. લિગ્નીત્ઝના યુદ્ધમાં ખ્રિસ્તીઓને હરાવીને માત્ર કાપીને ભેગા કરેલા જમણા કાનથી 9 કોથળા ભરાઈ ગયા હતા. ચંગેઝ ખાન અને હલાકુ ખાનની ઘણીખરી કતલોનાં બલિ બેઝુબાન, નિર્દોષ મુસ્લિમ જનતા હતી. ઇતિહાસને પૂર્ણ હદ સુધી તોડી મરોડી શકાય છે એનું આ બે ક્રૂર ખાન પિતાપુત્ર પ્રમાણ છે.

(સંદેશ, ડિસેમ્બર 23, 2001)

(રાજનીતિ અને અનીતિકારણ) 

No comments:

Post a Comment