September 13, 2014

કલકત્તા: હિંદુસ્તાનનું મોટામાં મોટું ગામડું

'એકલતાના કિનારા' નવલકથામાંથી કલકત્તા વિશેના અવલોકનો:

[1]

કલકત્તા એ હિંદુસ્તાનનું મોટામાં મોટું ગામડું છે. (પૃ. 23) 


[2]

મોટી મોટી વાતો કરનારા, કારણ વિના ગુસ્સો કરી નાખનારા, પોતાની જ મહત્તામાં ચકચૂર બંગાળીઓની આ રાજધાની હતી. ગંદકીવાળા વાસી કડવા તેલમાં, સડકો પર સુકાતા છાણમાં, હૂગલીના માટીવાળા પાણીમાં ઘેરઘેર બફાતાં સસ્તાં માછલાંમાંથી છૂટતી બદબૂમાં કલકત્તાનો આત્મા સબડતો હતો. રાતના દસ પછી મોટા મોટા રસ્તાઓ પર વેશ્યાઓના દલાલોનો બજાર ખૂલી જતો અને શહેરની ધબકતી જિંદગી બંધ દરવાજાઓની પાછળ સરકી જતી. હિંદુસ્તાનના કોઈ પણ મોટા શહેર કરતાં વધારેમાં વધારે ઔરતો શરીર વેચીને અહીં રોટલા કમાતી હતી.

બંગાળીઓ લગભગ દરેક ક્ષેત્રમાં પોતાને હિંદુસ્તાનના શ્રેષ્ઠ ગણાવતા હતા અને લગભગ ભૂખમરાના ધોરણ પર જીવતા હતા. વાસ્તવિકતા-અવાસ્તવિકતા સમાંતર ચાલતાં હતાં, બડાબજારની પ્રતિ ઈંચ જગ્યામાં સંપત્તિ છલકાતી હતી અને બેહિસાબ ગંદકી વર્ષોથી જામતી જતી હતી. દુનિયાના ધનિકમાં ધનિક અને ગંદામાં ગંદા વિસ્તારોમાંનો એ એક હતો. એક શહેર નછૂટકે ટકી રહ્યું હતું, ઈચ્છા વિરુદ્ધ. ચીડિયાખાનાંઓની જેમ બસો-ટ્રામો દોડતી હતી. ઉનાળો શરૂ થતાં જ દર વર્ષે શીતળા, કૉલેરા, પ્લેગ નિયમિત રીતે આવતાં અને થોડી બસ્તીઓ ખેદાનમેદાન કરીને ચાલ્યાં જતાં. વરસાદ પડતો અને બધા રસ્તાઓ પર પાણી ભરાઈ જતું અને ટ્રાફિક અટકી જતો. ગરમીમાં પીવાનું પાણી ખારું થઈ જતું અને રાતે તકિયાની ખોળીઓ પસીનાથી ભીંજાઈ જતી. રસ્તાઓ પર ઓગણીસમી સદીની ગૅસલાઈટો ઐતિહાસિક રીતે ટિમટિમાતી હતી અને સાંજ પડતાં જ આખા શહેર પર ધુમાડો, અંધકાર, વજન અને નિરાશા છવાઈ જતાં.

કલકત્તા વિચિત્ર હતું. વર્ષો ગુજાર્યા છતાં હજી હું એને સમજતો ન હતો. એને માટે નફરત હતી. અહીંથી ભાગીને દૂર ચાલ્યા જવાની ઈચ્છા છતાં હું ખસી શકતો ન હતો. અહીંના જીવનમાં મુંબઈ કરતાં વધુ વૈવિધ્ય હતું. અહીંનાં હવાપાણીમાં, ખોરાકમાં, લેબાસમાં, વિચારોમાં, નીતિમત્તાનાં ધોરણોમાં મુંબઈ કરતાં વિચિત્રતા વધુ હતી અને પાગલ કરી મૂકે એટલી બધી ગંદકી અને ભ્રષ્ટાચાર પણ અહીં બેફામ ફાલ્યે જતાં હતાં. કલકત્તા કોઈનું ન હતું અને એ બધાનું હતું અને દ્વિધામાં, અણસમજમાં વર્ષો જતાં હતાં. (પૃ. 68-69) 


[3]

નીરાએ મને પૂછ્યું, 'તમે લોકો આટલાં વર્ષોથી કલકત્તામાં કેવી રીતે રહી શકો છો?'

'કેમ?'

'આ રહેવાની જગ્યા છે? કેવા માણસો જીવે છે અહીં? આને મોટું શહેર જ કેમ કહેવાય?'

નીરાની વાત ખરી હતી અને એનો એક જ જવાબ હતો - પાંચ હજાર માઈલ દૂર સ્કૉટલૅન્ડથી ડૂગલી કિનારાની જ્યુટ મિલોમાં કામ કરવા આવનાર સ્કૉટ અને અઢીસો માઈલ દૂરના ઓરિસ્સાના બાલાસોર જિલ્લામાંથી આવતા ઉડિયા મજૂર સુધી દરેક પાસે આનો એક જ જવાબ હતો. કલકત્તામાં પૈસા સસ્તા હતા, જ્યારે પૈસો મોંઘો થશે ત્યારે કલકત્તા મરી જશે... અને બધા જ અહીં આવતા હતા - શિયાળામાં આવતા શાસ્ત્રીય સંગીતજ્ઞો, સિઝન પર રમતા ફૂટબૉલ-હૉકીના ખેલાડીઓ, પ્રદર્શિનીઓ ભરનારા ચિત્રકારો, એન્જિનિયરો, વેપારીઓ, આંતરરાષ્ટ્રીય દાણચોરો, વ્યાજ વસૂલ કરનારા કાબૂલીઓ, બિકાનેરના વેરાનમાંથી ઊતરી પડેલા મારવાડીઓ, સફાઈદાર કાળા મદ્રાસીઓ, મુંબઈની જીવલેણ હરીફાઈ અને અદેખાઈથી ડહોળાયેલી વેપારી દુનિયાથી ભાગી આવીને અહીં સહેલાઈથી સફળ થઈ ગયા પછી મુંબઈની કલ્પના કરીને છટપટતા મુલાયમ ગુજરાતીઓ. બધાનો ગુજારો અહીં થઈ જતો હતો. હિંદુસ્તાનનાં ગંદામાં ગંદા શહેરમાં બીજા કોઈપણ શહેર કરતાં, રાજધાની દિલ્હી કરતાં પણ વધુ યુરોપિયનો રહેતા હતા, એ એક હકીકત હતી. (પૃ. 69-70) 

[4]

કલકત્તા પાસે આપવાનું, સમજવાનું ઘણું હતું - ઘણું જે હું પણ બહુ ઓછું સમજ્યો હતો.

કીપ્લિંગ અને થેકરેથી જહોન માસ્ટર્સ સુધીના સાહિત્યિકોની એક યશસ્વી કતાર કલકત્તા સાથે વણાયેલી હતી. અહીંની કૉન્ટીનેન્ટલ હોટેલમાં માર્ક ટ્વેઈન આવી ચૂકેલો હતો. મિશન રોમાંથી અંધારી રાતોએ ડેલહાઉસીનું ભૂત દબદબા સાથે સવારીમાંથી નીકળતું એમ બુઢ્ઢા દરવાનો આંખો ઝીણી કરીને યાદ કરતાં. દિલ્હી દરબારમાંથી આવેલા પાંચમા જ્યોર્જના મનોરંજન માટે કાચની કર્શવાળા મહેલમાં રાતભરમાં બબ્બે લાખ રૂપિયા ફેંકીને ધનાઢ્ય હિંદુ વેપારીઓએ નગ્ન પરીઓને નચાવેલી. એ જ એશના કૅફમાં ઊભા થયેલા મલ્લિકના પેલેસમાં અંધારા ઓરડાઓમાં કલાસ્વામી, રૂબેન્સ, મ્યુરીલો અને સર જેશુઆ રેનોલ્ડ્ઝનાં વિરાટ, અમૂલ્ય અપ્રાપ્ય કૅન્વાસો ગમગીનીમાં જડાયેલાં ઊભાં હતાં. આસપાસ ફેલાયેલા બંગાળી જમીનદારોની અગણિત મહેલાતોનાં ખરી રહેલા ખંડિયેરોમાંથી બુઢ્ઢી થઈ ગયેલી, સંસ્કારિતાનો, સિતમનો, પલંગો પર સુવાડી સુવાડીને ભોંયરામાં દફનાવી દીધેલી ગોરી કમસિનોના રૂંધાયેલા શ્વાસનો, ખવાઈ ગયેલા ઐશ્વર્યનો કરુણ ઈતિહાસ ઝરતો હતો. કલકત્તા જીવતું હતું અને તવારીખના આંચકાઓ પસાર થઈ જતા હતા. (પૃ. 72-73)

No comments:

Post a Comment