September 12, 2014

'હથેળી પર બાદબાકી' નવલકથામાંથી ઈશ્વર વિશેના વિચારો

જે છોકરીએ કોઈનું કંઈ બગાડ્યું નથી, એને આટલી મોટી જિંદગીભરની સજા! ઈશ્વરનો ન્યાય પાગલનો ન્યાય છે! એની મા બૂઢી છે, એ ગરીબ છે...ગરીબને ભૂખે મારવામાં ઈશ્વરને કંઈક શયતાની આનંદ આવતો લાગે છે! (પૃ. 164) 

*                      *                        *                             *                           *

ઈશ્વરની સૃષ્ટિમાં ન્યાય કે સજા જન્મ-જન્માંતર પછી પણ અપાતી જ હોય છે.

'બાબુજી, ગાંધારીએ એકસો એક વર્ષ પહેલાં કાચબીનાં સો ઈંડાં ફોડી નાખ્યાં હતાં. એને, એકસો એક વર્ષ પછી પણ એની કિંમત ચૂકવવી પડી. દરેકને પોતાના કર્મની કિંમત આપવી પડે છે. ભીષ્મ પિતામહના આઠમા પૂર્વજન્મમાં એમણે એક વાર બે મોઢાવાળા એક સાપને કાંટા પર ફેંકી દીધો હતો. કાંટા પર ફસાયેલા સાપે વેદનાથી પીડાતાં પીડાતાં જીવ છોડ્યો. અને શાપ આપ્યો! ભીષ્મ આઠ જન્મ પછી બાણશય્યા પર પોઢ્યા. બાબુજી, સજા તો છે જ. સજા વિના કર્મમાંથી છૂટાતું નથી.'

કર્ણ જોઈ રહ્યો. 'ઈશ્વર પણ બદલો લે છે?'

'બદલો તો માણસનો શબ્દ છે. ઈશ્વરને ન્યાયથી સંબંધ છે. ઉપરવાળો જેટલા સરવાળા કરે છે, એટલી જ બાદબાકી કરી નાખે છે. એનો હિસાબ ચોખ્ખો છે. આપણે નથી સમજતા એટલે હિસાબમાં ભૂલો કરીએ છીએ.' રામસ્વરૂપ સિંહે હસતાં હસતાં સરળ રીતે કહેવા માંડ્યું. 

'આપણે ગોટાળા કરીએ છીએ અને ઉલઝનો પેદા કરીએ છીએ! ભગવાનનાં ત્રાજવાનાં બે પલ્લાં સરખાં જ હોય છે. એક જ પલ્લામાં એ સુખ-સાહેબી મૂકે છે. માણસ દુનિયા જીતીને સિંહાસન પર બેસે તો રાતે ઈશ્વર એની ઊંઘ લઈ લે છે! સમયની સાથે દુર્બુદ્ધિ પણ એ જ સુઝાડે છે. આપણે ઈન્દ્રિયોની બાજી રમ્યા કરવાની.'

'માણસ જિંદગીની ચોપાટ રમતો નથી, ચાચા?'

'સોગઠાં ચૌપાટની બાજી શું સમજે?'

કર્ણના શરીરમાંથી રોમાંચની એક લહર દોડી ગઈ. સોગઠાંને ચૌપાટથી શું સંબંધ? પાસાનું કામ છે ફેંકાવાનું. પાસાનું કામ છે પડવાનું. પાસાનુ કામ છે એનો ધર્મ બજાવવાનું. (પૃ. 209) 

*                      *                        *                             *                           *

કર્ણની આંખોમાંથી ટીસનાં ગરમ ગરમ આંસુ વહી ગયાં...

ભગવાન, મને આટલો બધો ભાવુક, આટલો બધો નિર્બળ, આટલો બધો પ્રમાણિક શા માટે બનાવ્યો? મને પાપી અને ઈમાનદાર બન્ને બનાવવા પાછળ કેટલી ભયંકર ક્રૂરતા હતી તારી? આત્મહત્યા કરતાં રોકે એવા ત્રણ સ્ત્રીઓના સંબંધોની જંજીરોમાં બાંધીને શા માટે તાવે છે, ભગવાન? મેં તો તારી પાસે, મરણિયા થઈને દુ:ખ પણ માગ્યું ન હતું? હજી છેલ્લો પાસો બાકી છે - મને પાગલ કરી મૂકવાનો? 

મને નાસ્તિકનો આત્મા આપીને કયો દાવ રમી ગયો, મારા માલિક?

ખેર, ધર્મનું કવચ પહેરીને હું મારા જખમો ઢાંકી લઈશ. શરીરને હોલવી નાખવાની કોઈ ચેષ્ટા નહીં કરું. માણસ પાસે એક જ જીવન હોય છે, પણ હું એ જીવનમાં ભરપૂર વિશ્વાસ પૂરીને ક્ષિતિજો સુધી જોયા કરીશ. કમજોરનો હાથ પકડતો રહીશ. તેં મને સ્વતંત્ર બનાવવાની પણ ભૂલ કરી છે ને? હું પણ મારી સ્વતંત્રતાનો માલિક છું.

ના, બહુ નાનો છું હું...તારી લીલા સામે, મારી અને તારી કોઈ શત્રુતા નથી. મારી ઈન્દ્રિયો, મારી શક્તિઓ, મારાં પાપો, મારી યાતનાઓ બધાં જ તારાં નિમિત્તો છે. મારી બુદ્ધિ...મારી બુદ્ધિ? એ શ્રદ્ધાનું શિરસ્ત્રાણ છે! ના, એ સંશયનું ખડગ છે. મારી બુદ્ધિને તારું નિમિત્ત નહિ થવા દઉં. હું માણસ છું. મન છે માટે જ માણસ છું. તારી પૂરી સૃષ્ટિથી હું જુદો છું, અલિપ્ત છું. મનનો માલિક છું. 

મારી ઘાયલ બુદ્ધિ જીવશે ત્યાં સુધી મારી રીતે જીવીશ. હું તારી સામે જીવીશ, તારી સામે હારીશ, પણ હારીશ ત્યાં સુધી જીવીશ. મરીશ ત્યાં સુધી જીવીશ. આંખો બંધ કરશે ત્યાં સુધી જીવીશ. મને તોડી નાખશે ત્યાં ટુકડા ટુકડામાં જીદથી જીવીશ. શ્વાસ ભરીને જીવીશ. બે શ્વાસની વચ્ચે પણ જીવવાની કોશિશ કરીશ.

મારી પાસે બુદ્ધિ છે, તેં જ આપી છે. અને માટે જ હું તારું સૌથી મહાન સર્જન બન્યો છું. હું જન્મ્યો ત્યારે પશુ હતો, મારી જરૂરિયાતો પશુની હતી, મને જીવાડવો પડતો હતો. પણ હું મરીશ ત્યારે મારી મુઠ્ઠીઓ ખોલીને મારી ઈચ્છાથી જ સમયને ઢોળી નાખીશ. શેષ પ્રહર સુધી હું બુદ્ધ રહીશ. (પૃ. 218) 

*                      *                        *                             *                           *

ભારતમાં લક્ષ્મણનું એક જ મંદિર છે. અને એ અહીં લક્ષ્મણઝુલામાં. રામ તો પરમપુરુષ હતા. દૈવી હતા. આદર્શ તરીકે યોગ્ય હતા. લક્ષ્મણ આપણા જેવા હતા. ક્રોધી, બીજાને માટે મરી ફીટે એવા, બહુ દૂરંદેશી નહિ. અત્યંત પ્રેમાળ, તર્ક કરતાં ભક્તિમાં વિશ્વાસ રાખનારા, માણસ જેવા દોષયુક્ત! 

માણસે લક્ષ્મણની જેમ જીવવું પડે છે. લક્ષ્મણ માણસ હતા. શ્રી રામચંદ્ર દેવતા હતા. લક્ષ્મણ અપૂર્ણ હતા, રામ પૂર્ણ હતા. અને માટે જ હું લક્ષ્મણઝુલા આવું છું. એક જ તો છે ભારતવર્ષમાં, રામના મંદિર તો લાખો છે. ખૂણે ખૂણે..લક્ષ્મણની પૂજા કરવી હોય તો અહીં જ આવવું પડે. (પૃ. 220)

No comments:

Post a Comment