March 22, 2015

ઉર્દૂ : લિપિથી શબ્દ સુધી...

ઉર્દૂ સાથેનો લગાવ શરૂ થયો 1947-48માં, પાલનપુર હાઈસ્કૂલમાં, અને ઉર્દૂના પહેલા સબક શીખવનાર મારો દોસ્ત અલી મુર્તુઝા શમીમ હતો, જેને બધા શમીમ પાલનપુરી તરીકે ઓળખતા હતા. આઝાદીના દિવસો હતા, હવામાં ઈલેક્ટ્રિક ચમક હતી અને મારી ઉંમર પંદર-સોળની હતી, એ ઉંમર જ્યારે બધું જ નવું જ્ઞાન બ્લોટિંગ પેપરની જેમ ચૂસાતું જતું હતું. એક પુસ્તિકા હાથમાં આવી: 'ઉર્દૂ-હિજ્જે વ માની!' પછી હું ઉર્દૂ શીખતો ગયો, ઉર્દૂમાં નિબંધ લખવા સુધી પહોંચી ગયો. ક્યારેક કોઈકનો ઈન્ટરવ્યૂ લેતી વખતે મસ્તી કરવા હું ઉર્દૂમાં લખતો રહું છું! અને એ એવી રીતે લખતો રહું છું કે એ વ્યક્તિની નજર મારા લખવા પર પડતી રહે! મારા હાથ નીચેના માણસો કે સાથે કામ કરતા સાથીઓ જો મુસ્લિમ હોય તો ઈદ વખતે હું એમને 'ઈદ મુબારક'નું કાર્ડ લખું છું, સાથે ઉર્દૂમાં એક ખત લખું છું, 'અઝીઝ'થી શરૂ કરીને 'અઝ' સુધી એમાં આવી જાય છે! અને ઘણી વાર એ મુસ્લિમ પ્રોફેશનલને જબરું આશ્ચર્ય થાય છે, એ કહી દે છે: સર, તમે ઉર્દૂ જાણો છો? હું કહું છું: થોડું! અને એ મુસ્લિમ સાથી સસ્મિત કહે છે: અમારા ઘરમાં કોઇને ઉર્દૂ વાંચતાં આવડતું નથી...! ઈદના દિવસોમાં મુસ્લિમ હોટેલમાંથી મગાવવું હોય તો કોલકાતામાં હું મારા માણસને મોકલતો, એક પત્ર સાથે, ઉપર 'ઈદ મુબારક' લખીને, અને અંદર ઈદ વખતે બનતી સ્પેશિયલ ચીજોનો ઑર્ડર! આજે પણ રમઝાનમાં બે-ત્રણ વખત મુંબઈની મિનારા મસ્જિદની ગલીમાં જઈને ખાવાનો ક્રમ હજી રાખ્યો છે.

ઉર્દૂ જાણું છું, પણ ફારસી શીખ્યો નથી એનો રંજ જીવનભર રહ્યો છે. ફારસી જગતની સૌથી શીરીં ઝબાનોમાંથી એક છે. શમીમ અને હું એ 1947ના વર્ષમાં પાલનપુરના માનસરોવર ફરવા જતા, ધૂળમાં મીણબત્તી સળગાવતા, મારો દોસ્ત મને ઉર્દૂની નવી ચીજો સંભળાવતો. સાહિર લુધિયાનવીની 'તલ્ખિયાં', અને મખ્દુમ મોહિયુદ્દીનની 'લો સુર્ખ સવેરા આતા હૈ, આઝાદી કા, આઝાદી કા...' અને જોશ મલીહાબાદીની (શમીમનો ઉચ્ચાર હતો: જોશ મલયાબાદી) 'મુઠ્ઠીઓં મેં ભર કે અફશાં ચલ ચૂકા હૈ ઈન્કલાબ!' હિંદુ સ્ત્રીઓ સૌભાગ્ય માટે વાળમાં જેમ સિંદૂર ભરે છે, એમ મુસ્લિમ પરિણીતાઓ માંગમાં અફશાં અથવા ચાંદીના રંગની ભૂકીની ચપટી ભરે છે. શમીમે મને ઉર્દૂ અદબની પૂરી દુનિયા ખોલી આપી અને એ માટે હું મારા એ દિલદાર દોસ્તનો આજીવન ઋણી રહ્યો છું. ઉર્દૂ મને બહુ કામ આવી ગયું છે. કરાચીમાં 1981માં હું ઉર્દૂ જાણતો હતો માટે બહુ સહુલિયત રહી હતી. અને મટન ખાતો હતો એટલે પાકિસ્તાનમાં મને કોઇ તકલીફ પડી ન હતી. દુનિયાના શ્રેષ્ઠ કબાબ મેં પાકિસ્તાનમાં ખાધા છે. બન્ડુ ખાનના કબાબ અને યુસુફ માંડવિયાને ત્યાં યારી કબાબ અને ચપ્પલી કબાબ અને અરબ કા કબાબ અને જવા દો, યારો! વોહ કહાની ફિર કભી...

...હા, આપણે ઉર્દૂની વાત કરતા હતા. ઉર્દૂ ન હોત, શરાબ ન હોત, રેશમી કબાબ ન હોત, શામ ન હોત, 'શમ્મા હર રંગ મેં જલતી હૈ સહર હોને તક' ન હોત, શરારતી આંખો ન હોત તો આ જિંદગી 72 વર્ષ સુધી કેમ ગુજરી હોત? મારી આત્મકથા 'બક્ષીનામા'માં મેં ઉર્દૂ વિષે લખ્યું છે. ઉર્દૂએ બહુ સુખ આપ્યું છે, બહુ દુ:ખ આપ્યું છે. ઉર્દૂ સાંજની ભાષા છે. કીક મારે છે. પ્લેટમાં તળેલી પોમ્ફ્રેટ માછલી પર લીંબું છાંટ્યું હોય, વ્હિસ્કીના ગ્લાસની બહાર ધુમ્મસી શિકરો બાઝી ગઈ હોય, દોસ્તોની આંખોના સિરાઓ પર જામતી રાતનો ખુમાર ઘેરાતો હોય ત્યારે સમયને અટકી જતાં જોયો છે, ફિરાક ગોરખપુરીની લાઈનો અનુભવી છે: શામ ભી થી કુછ ધૂઆંધૂઆં, દિલ ભી થા કુછ ઉદાસ-ઉદાસ, ઐસે મેં કુછ કહાનિયાં, યાદ સી આ કે રહ ગઈ! હા, કુછ કહાનિયાં. હા, કુછ...

ઉર્દૂમાં તરબોળ સાંજો ગુજરી છે. નાના હતા ત્યારે રાતો નાની હતી, મોટા થયા અને રાતો લાંબી થતી ગઈ. જિંદગી 'ઑન ધ રૉક્સ' જીવવાના દિવસો હતા. પછી સાંજની વ્યાખ્યા બદલાતી ગઈ. તબિયત બે-કૈફ થતી ગઈ. જેમની સાથે 'ચિયર્સ' કહીને ગ્લાસો ટકરાવ્યા હતા, એમના ફોટાઓ પર સુખડના હાર ચડી ગયા. હવે રૂમાની ઉર્દૂ પાછળ રહી ગઈ હતી, હવે ફલાસ ફરાના કલામમાં દિલચસ્પી વધી રહી હતી. મૌત કા એક દિન મુઅય્યિન હૈ, નીંદ ક્યો રાત ભર નહીં આતી...?

ગુજરાતી સાહિત્યમાં ઉર્દૂ શબ્દો વાપરવા માટે વિવેચકોની ત્રણ પેઢીઓની ગાળો ખાતો રહ્યો છું, પણ ખુદ્દારી છોડવાનું દિલ થતું નથી. એક સલ્તનત, એક નવાબિયત, એક શહંશાહિયત અનુભવી છે મેં મારી ભાષામાં, હવે નપુંસકોની નઝરે-ઈનાયત હાસિલ કરવાની કોઇ ઇચ્છા રહી નથી. દુશ્મનોનો અવાજ સાંભળ્યો છે, દોસ્તોની ખામોશી સાંભળી છે. હવે વાહવાહીથી ઉપર ચાલ્યો ગયો છું. ઢૂંઢતા ફિરતા હૂં અય ઈકબાલ, અપને આપકો, આપ હી ગોયા મુસાફિર, આપ હી મંઝિલ હૂં મૈં!

ઉર્દૂ શીખવા મળ્યું એને હું મારી ખુશકિસ્મતી સમજું છું. સાહિત્ય બહુ ઊંચી ચીજ છે, આવતા ભવમાં પણ સાહિત્યકાર થવા જ માગું છું. દકિયાનુસી અને દરિન્દગીની સામે સંઘર્ષ કરવા માટે શબ્દ એક જ શસ્ત્ર છે મારી પાસે. લોગ આગાઝે-સફર કી લઝ્ઝતોં મેં ચૂર થે, મૈં ફર્સુદા થા, મુઝે અંજામ ભી પતા થા! ભાષાના બંદા પાસે બીજું શું હોય છે? ઔર એક દિન નિગલ ગયા આખિર, હાલ (વર્તમાન) માઝી મેં (ભૂતકાળ) ઢલ ગયા આખિર, એક ચુલ્લુ મિલા થા આબે હયાત, ઉંગલિયોં સે ફિસલ ગયા આખિર! પ્રિયદર્શી ઠાકુર 'ખયાલ'ની લીટીઓ સરસ છે.

ઉર્દૂ એક એવી ભાષા છે જે જનતાની ઝુબાન પર ઊછળતી ઊછળતી જન્મી છે. ગલીચ રાજકારણીઓએ એને મુસ્લિમોની ભાષા બનાવી દીધી અને ઝેરનાં ઈન્જેક્શનો આપી આપીને કોમવાદી બનાવી દીધી. આજે ઉર્દૂ મુસ્લિમોની ભાષા છે એ સત્ય સ્વીકારવું જ પડશે. મુશાયરાઓ થાય છે, મહેફિલો થાય છે, તમાશબીનો આવે છે, વાહવાહીમાં ઉર્દૂ ઘૂંટાઈ જાય છે. હિંદુસ્તાનમાં ઉર્દૂ માત્ર જલસાઓ અને જશ્નોની ભાષા જ બની રહેશે? કદાચ, કારણ કે ઉર્દૂના પાલકો, પેટ્રનો, પોષકો એ પૈસાદાર મેહરબાનો છે, જેમની દયા પર એણે જીવવાનું છે. ઉર્દૂના રિસાલા કે પર્ચા વેચાતા નથી, એમને જાહેરખબરો મળતી નથી. નવી પેઢીઓને ઉર્દૂમાં દિલચસ્પી નથી. જૉબ-માર્કેટમાં ઉર્દૂનું સ્થાન કોંકણી કે તુલુ કે કચ્છી બોલીઓ કરતાં પણ નીચું છે. ઉર્દૂ માટે, હિંદુસ્તાનના નોકરી બજારમાં કોઇ ભવિષ્ય દેખાતું નથી. કદાચ 21મી સદીના ઝડપી કમ્પ્યુટરયુગમાં આવી મટકતી, ઝટકતી અંગડાતી 18મી સદીના હેંગ-ઓવરમાં ઝૂમતી ભાષા જેટ-એજમાં દોડતી બૂઢી ઘોડાગાડી જેવી લાગે છે. કટ્ટર મુસ્લિમ રાજકારણીઓ આ દેશમાં જ્યાં સુધી ઝેર પાયેલી ભાષા વાપરતા રહેશે ત્યાં સુધી ઉર્દૂને દુશ્મનોની જરૂર નહીં પડે, પણ રૂમાની ભાષા તરીકે ઉર્દૂ જરૂર જીવશે.



મિત્ર અજિત પોપટના પુસ્તક 'ઉર્દૂ શીખો'ને આવકાર આપતાં મને સવિશેષ આનંદ થાય છે, કારણ કે ગુજરાતીઓમાં ઉર્દૂ લિપિ જાણનારા લોકોની સંખ્યા બહુ જ ઓછી છે. ગુજરાતી મુસ્લિમોમાં પણ ખાલિસ ઉર્દૂ બોલી શકે (લખવાની વાત જવા દઈએ!) એવા લોકો બહુ ઓછા જોવા મળે છે. ઉચ્ચારણશુદ્ધિ ઉર્દૂમાં અહમિયત રાખે છે અને આપણા ગુજરાતી ગઝલકારો પણ આ બાબતમાં નિર્દોષ નથી! ગુજરાતી ગઝલિયાઓમાંથી 95 ટકાને ઉર્દૂ આવડતું નથી. ગઝલના નો ઉચ્ચાર પણ દોષયુક્ત હોય છે. હાઈ કોર્ટમાં પ્રેક્ટિસ કરતાં વકીલને અંગ્રેજી ન આવડતું હોય એવી આ વાત છે. જેણે ગઝલ કે નઝમ લખવી છે એણે ઉર્દૂના જ્ઞાતા થવું જ જોઈએ એવો આગ્રહ નથી, પણ જો ઉર્દૂનું જ્ઞાન હોય તો સર્જનમાં જરૂર સહાયક થાય છે એવું હું માનું છું. 'અલીફ' અને 'અએન'નો ફર્ક સમજાય તો જરૂર સમજાશે કે 'ઈદ'નું અંગ્રેજી 'ઈ-આઈ-ડી' શા માટે થાય છે અને 'અલવિદાઅ' શા માટે લખાય છે. અજિત પોપટે તદ્દન સરળ રીતે આ ભાષા સમજાવી છે, અને નવી ભાષા શીખનારે આ પુસ્તક પર જરૂર નજર ફેરવી જવી જોઈએ.

ગુજરાતી અને ઉર્દૂ બે લિપિઓમાં એક પુસ્તક પ્રકટ કરવું કેટલું કઠિન છે એ હું સમજું છું. એક ભાષા ડાબેથી જમણે લખાય છે, બીજી જમણેથી ડાબે લખાય છે. આ બધા અક્ષરોને, શબ્દોને, વાક્યોને વ્યવસ્થિત સામસામે અથવા ઉપર-નીચે ગોઠવવા, ઝેર-ઝબરનો અને નુક્તાનો ખ્યાલ રાખવો, કમ્પ્યૂટરના જમાનામાં પણ સહેલું નથી! અને ભૂલો કાઢવા માટે નુક્તચીની કરતા રહેવા માટે, નુક્તચીં બેઠા જ છે. એ એમનું કામ કરતા રહેશે, આપણે આપણું કામ કરતા રહેવાનું. આ પ્રકારનાં જર્મન, ફ્રેન્ચ, સ્પેનિશ આદિ ભાષાઓ શીખવા માટેનાં પુસ્તકો પણ ગુજરાતી ભાષામાં આવવાં જોઈએ. સામાન્ય મુશાયરાઓ-મહેફિલોનો લુત્ફ ઉડાવવા માટે આટલી ઉર્દૂ કાફી છે. ઈન્સાન અને બશર શબ્દોનો અર્થ એક જ છે (માણસ), પણ એનો તાત્ત્વિક ભેદ સમજવા માટે ભાષામાં આગળ વધવું પડે છે અને બીજું પગથિયું ચડવા માટે પહેલું પગથિયું ચડવું જરૂરી છે.

અજિત પોપટે ગુજરાતી ભાષાના એક ખાલી સ્લોટને ભરી દીધો છે, જેમને ઉર્દૂ શીખવું છે એમને આ પુસ્તક ખરેખર કામ આવી શકે છે એવું મારું માનવું છે. અભિનંદન.

(ઉર્દૂ શીખો, સરળ ગુજરાતીમાં ઉર્દૂ શિક્ષણ: લેખક : અજિત પોપટ)

March 20, 2015

હું, ચંદ્રકાંત બક્ષી નાટક વિશે મધુ રાય

દિવ્ય ભાસ્કરની કળશ પૂર્તિમાં 11 ફેબ્રુઆરી 2015નાં રોજ પ્રગટ થયેલો શ્રી મધુ રાયનો લેખ:

કવિવર અને ગઝલપ્રવર રા.રા. શ્રી અનિલ જોષી સરની આગેવાનીમાં બરસોં પહેલે બમ્બઈમાં એક પર્વ ગોઠવાયેલું–– અમેરિકાથી આવેલા એક લલ્લુ નાટકકારને અભિનંદવા. એમાં અલબત્ત રા.રા. ચંદ્રકાંત બક્ષીને પણ નિમંત્રેલા જ્યાં ભરી સભામાં બક્ષી સાહેબે ઘોષેલું કે જેણે માંડ ચાર ચોપડી લખી છે એવા આ માઇનોર રાઇટરને આવાં સન્માન આપો છો? સન્માન મને આપો, મને જુઓ મેં ૧૧૬ ચોપડીઓ લખી છે ને મને સાત ભાષા આવડે છે, ને હું મેરેથોન દોડવીર છું ને મારા ઘરે કલર ટીવી છે.

ઓક્કે કલર ટીવીની વાત અમે ઉમેરેલી છે, પણ બાકીની વાત સાચી છે. તે પછી બક્ષીએ એક છાપામાં છપાવેલું કે પોતે મરશે ત્યારે સ્વર્ગમાં જઈને ઇન્દ્રની આંખમાં ભાલો મારી દેશે. બક્ષીની આવી અગણિત વાતો છે, અને છેલ્લે છેલ્લે બક્ષીનો એ હુંકાર, એ અહંકાર ગામની ઠિઠૌલીનો વિષય બનવા માંડેલો જેથી બક્ષી સ્વયં ‘સેલ્ફ પેરોડી’નું પાત્ર બની ગયેલા. પોપ સાઇકોલોજિસ્ટો કહેતા કે ચંદ્રકાંત વચેટ ભાઈ હતા તેથી ‘સેકન્ડ ચાઇલ્ડ સિન્ડ્રોમ’ના કારણે આવા જાતપ્રશસ્તિના બરાડા પાડે છે; અથવા હાઇટ નાની ને મોંએ ચેચકના દાગની જાતભોંઠપથી બક્ષી દુગુના જોસથી પોતે સતત સવાયા હોવાની નોબત વગાડ્યા કરે છે.

પોપ સાઇકોલોજિસ્ટો બેઠા તેમના ઘરે. બક્ષી એમ એક વાક્યમાં ઉકેલી શકાય એવી ‘પહેલી’ નહોતા. બક્ષી અઠંગ વાચક હતા, જે વિશ્વસાહિત્યના ભ્રમર હતા. ફક્ત અમેરિકન કે યુરોપીયન નહીં, સામ્યવાદી બ્લોકનું, ચીન, જાપાન, મલાયા, ફિલિપીન્સ, આફ્રિકા વગેરે દેશદેશાવરના લેખકોથી તેમનો માનસિક અસબાબ રચાયો હતો. જે સમયે ગુજરાતી સાહિત્ય ‘બળદનાં પૂંછડાં આમળતું હતું અને નવલકથાઓમાં “જેમાં કાકે પિસાબ કર્યો” જેવાં શીર્ષક આવતાં હતાં ત્યારે’ બક્ષી મરઘીની ટાંગ પકડીને બીડી પીતા ડોક મજદૂરો ને સ્મગલરોની વાર્તાઓ સાથે પેશ થયા. બક્ષીની વાર્તાઓમાં ઔરતો લૂંગી પહેરતી અને દિલ ફાડીને પ્યાર કરતી વખતે ‘માછલીની જેમ તરફડતી.’ વાચકને સુરુચિભંગના આંચકા આપવાનો બક્ષીને ઇશક હતો. ફક્ત ફિક્શનની જ નહીં, બક્ષીનાં માહિતી પુસ્તકો ફક્ત સંખ્યા જ નહીં સત્ત્વથી પણ છલોછલ છે. લખતાં પહેલાં બક્ષી શિસ્તબદ્ધ રિસર્ચ કરતા. તે સમયે ‘ગૂગલ’ નહોતું, ઘરલેસન માટે ચંપલનાં ચામડાં ઘસવા પડતાં. જોનારની ટોપી પડી જાય એવી ગદ્યની ઊંચી ઇમારતો રચી શકનાર બક્ષી ભલભલા તિસમારખાંની ચામડી ચચરી જાય એવું લખતા. તેમના વાચકો કહેતા કે એકલા હાથે બહારવટે નીકળ્યો છે આ જણ!

ગુજરાતી સાહિત્યના આ એક સર્વોચ્ચ ગદ્યલેખકે સૌથી વધુ હાનિ સ્વયં પોતાની કરી છે એ આપણા સાહિત્યની એક વ્યાજોક્તિ છે, મીન્સ કે ‘આયરની’ છે. આ લખનાર નિર્વિવાદપણે માને છે કે ચંદ્રકાંત બક્ષી ગુજરાતી સાહિત્યના અનન્ય ગદ્યલેખક હતા, તીખા કર્મશીલ કટારલેખક હતા, અને ઇતિહાસ, ભૂગોળ, સમાજશાસ્ત્ર ને સંભવત: પાકશાસ્ત્ર આણિ કોકશાસ્ત્રના હૌ પ્રકાંડ વિદ્વાન હતા. એમની મહાનતા એમની પોતાની બડાશખોરીથી ઢંકાઈ ગઈ છે, ને તોયે ગુજરાતમાં બક્ષીના વાચકો ને પ્રશંસકો લાખો કે કદાચ કરોડો છે. એનો જાત અનુભવ ગગનવાલાને કાયમ થતો આવ્યો છે કેમકે બક્ષી ગણપતિ હોય ને ગગનવાલા તેનું વાહન હોય તેમ બક્ષીભક્તો ગગનવાલાના ખમીસના બટણ સાથે રમત કરતાં કરતાં કહેતા હોય છે, ગગનવાલા, તમારું લખાણ બી ઓક્કે છે, પણ બક્ષી એટલે બક્ષી!

એવી બીજી આયરની છે, તે એ કે એવા અહંકારથી ઇઠલાતા ને બલ ખાતા બક્ષીની જીવનીનું નાટક લખે એક તદ્દન ‘અપોઝિટ’ પ્રકૃતિના, શરમાળ, ધીમાબોલા રા. રા. શ્રી રામાવત! ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલના ધ્વજ હેઠળ જોવા મળેલ મનોજ શાહ દિગ્દર્શિત એકોક્તિ નાટક ‘હું ચંદ્રકાંત બક્ષી’માં એવું ચબરાક લખાણ છે કે પહેલી ત્રણ મિનિટમાં જ બક્ષી તરીકે અભિનેતા પ્રતીક ગાંધી દર્શકોની નબ્ઝ પકડી લે છે. સેટ ઉપર સીડી છે, અમસ્તી, જેના છેલ્લા પગથિયે બેસીને બક્ષી ઉચ્ચારે છે કે મને અહીં જ વધુ ફાવે છે. સાહિત્ય જગતમાં કે આખા જગતમાં મારા જેવો શ્રેષ્ઠ લેખક કોઈ નથી. વગેરે. સીડીના આવા સ્થૂળ પ્રતીકથી દર્શક કદાચ અકળાય પરંતુ બક્ષી પોતાની ઉંચાઈની બાબતમાં કદી ‘સટલ’ યાને સૂક્ષ્મ નહોતા. બક્ષીની અસ્ખલિત આત્મરતિ કદાચ અમુક મિનિટો પછી ખલવા માંડે; જાણકારોને થાય કે ‘લેખક’ સિવાયની બક્ષીની બીજી બાજુઓની ઝાંકી ક્યાં? એક યાર તરીકે બક્ષી છ છ કલાક સુધી તમને ભાંગના પિયાલા પાતા હોય તેમ ઝુમાવી શકતા તેનું શું? પોતાનાં લખાણોમાં શી ખબર શાથી હ્યુમરથી દૂર રહેતા, પણ બક્ષીબાબુ પૈની જુબાનથી તમને ખિલખિલ હસાવી શકતા તેની કોઈ મિસાલ નહીં? રાજદ્વારી ચળવળકારી તરીકે બક્ષીનું પ્રદાન અને રાજપુરુષો સાથે તેમની ઉઠકબેઠકનો એકાદ સીન ભી નહીં? નાટકમાં જે છે તે બક્ષીની જાંઘ ઉપર થાપા સાથે જાતવડાઈની એકોક્તિઓની વચ્ચે વચ્ચે પરોવેલા બક્ષીનામા–માંના પ્રસંગો. ફિર ભી બહોત ખૂબ, પ્રતીક મિયાં, શિશિર મિયાં, મનોજ મિયાં!

કોઈ ડાહ્યા માણસે કહ્યું છે કે જે માણસ પોતાના પ્રેમમાં હોય તેને કોઈ હરીફ નથી હોતો. બક્ષીબાબુ ઇન્દ્રની આંખ ફોડે કે ન ફોડે પણ એમણે આ ડાહ્યોક્તિ ખોટી પાડી છે. બક્ષીબાબુની ફેન ક્લબો ડૂંગરે ડૂંગરે છે, બક્ષીની વિરુદ્ધ કાંઈ પણ બયાન આપનારના મસ્તકે માછલાં ધોવાય છે. બક્ષીના સ્વર્ગવાસ પછી વર્ષો વીત્યા છતાં જાણે હજી એક ધાક વરતાય છે બક્ષી મિયાંની. દરઅસલ બક્ષીની જટિલતા એ વાતમાં છે કે તેમને ચાહનારા પણ તેમને દિલ ફાડીને ધિક્કારે છે અને ધિક્કારનારા તેમને દિલ ફાડીને ચાહે છે. ગગનવાલાએ એ વાત સ્વીકારી લીધી છે કે આજીવન તે બક્ષીના જૂનિયર દોસ્ત તરીકે ઓળખાશે. એક રીતે જુઓ તો એ બેડ થિંગ કહેવાય; પણ બીજી રીતે તે ગુડ થિંગ પણ છે કેમ કે બક્ષીની પાસે ઊભો એટલે ગગનવાલા હો કે મગનલાલા કે એક્સવાયઝાલા હો, માણસ તરીકે તમે બક્ષીથી બેટર જ લાગો! જય સોનાગાછિ!