October 16, 2015

કહેવતો: (1) છેડો અડકે છોકરું થાય? (2) ખોખરી ડાંગ પણ હાંલ્લાને ફોડી નાખે

રાષ્ટ્રપતિ ઝૈલસિંઘ અને વડાપ્રધાન રાજીવ ગાંધી વચ્ચે ઠંડું યુદ્ધ શરૂ થઈ ગયું છે અને હવા નાખનારા બરાબર પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા છે. આપણે ત્યાં એક કૉમિક કહેવત છે કે 'છેડો અડકે છોકરું થાય?'...જવાબ છે કે ન થાય! પણ તણખો ઊડે ભડકો થઈ શકે! લોકો હમેશાં કહેવતો દ્વારા પરમ સત્ય કહી દેતા હોય છે. ગ્યાની ઝૈલસિંઘ અને ગાંધી રાજીવનું ઠંડું યુદ્ધ બીજી એક દેશી કહેવતની યાદ અપાવે છે! લોકો કહે છે કે 'ખોખરી ડાંગ પણ હાંલ્લાને ફોડી નાખે'...પણ રાજીવ ગાંધીને આ ખબર નથી. ગુજરાતીઓની શહેરી અટરલી, બટરલી, અમૂલ પેઢીને આ બધા શબ્દો ન પણ સમજાય. વેલ, સની એન્ડ હની, ડાંગ મીન્સ વાંસની લાઠી અને હાંલ્લા એટલે માટીનું વાસણ જેમાં તમારા ગ્રેન્ડ-પાની મોમ દેશમાં કઢી ઉકાળતી હતી. 

(સમકાલીન: માર્ચ 25, 1987)   (રાજકારણ-2)

[પૂરક માહિતી: રતિલાલ નાયકના કહેવતકોશ પ્રમાણે બંને કહેવતોના અર્થ આ પ્રમાણે છે:

(1) છેડો અડકે છોકરું થાય? : પાલવ પકડવાથી તરત ઘર મંડાય ને સ્ત્રી એમ ઘરમાં આવતાં સંતાનની ભૂખ ભાંગે?
(2) ખોખરી ડાંગ પણ હાંલ્લાને ફોડી નાખે: થોડુંક બળ પણ કેટલીક બાબતોમાં અસરકારક નીવડે.]

પત્રકાર અને ઇતિહાસકાર

પત્રકાર કંઈક એવા ભ્રમમાં જીવતો હોય છે કે એ ઇતિહાસના સર્જનનો સાક્ષી હોય છે. પણ પત્રકાર ઇતિહાસકાર નથી. પત્રકાર વર્તમાનની આગળપાછળ જોઈ શકતો નથી. પત્રકારનું ગજું નથી અને ભારતીય કે ગુજરાતી પત્રકાર ઝાડના થડ પર ફરતા મંકોડાની જેમ જ રેંગતો હતો, નદીમાં રેલ આવી ગઈ એની એને ખબર ન રહી. થડ ડૂબ્યું ત્યારે સમજાયું કે નદીનો પ્રવાહ બદલાઈ ગયો છે.

ઇતિહાસકારને વર્તમાનમાં રસ નથી, આજના સમાચાર આવતી કાલની ઇતિહાસની જમીન માટે ખાતર છે. ઇતિહાસકારને પૂર્વગ્રહ હોતો નથી એટલે એ પત્રકારની જેમ ગભરાઈ જતો નથી. ઇતિહાસકારને વ્યક્તિઓ કરતાં પ્રજામાં વિશેષ રસ હોય છે. વોટના ટોટલ કરતાં સત્તાની સમતુલામાં વધારે રુચિ હોય છે, નવી દિલ્હીની દિશામાં સૂર્યનમસ્કાર કરવા કરતાં દિલ્હીમાં પસાર થઈ ગયેલા યુગો અને યુગપુરુષો સાથે આજના ઇતિહાસનું તુલનાત્મક અધ્યયન કરવામાં ગહરી દિલચસ્પી હોય છે! પત્રકાર કરતાં ઇતિહાસકાર વધારે પુખ્ત અને પરિપક્વ છે. એનું સત્ય ચોવીસ કલાકનું નહીં, પણ ચોવીસ સદીઓનું સત્ય છે. એને ત્રિકાળમાં રસ નથી, એને દ્વિકાળ અથવા બેકાળમાં રસ છે - અને એ છે ભૂત અને ભવિષ્ય!

(સંદેશ, 1980) (રાજકારણ-2)

રાજા વિ. કાનૂન

ઓગણીસમી સદીમાં અબ્રાહમ લિંકને વ્યાખ્યા આપી હતી કે લોકશાહી એટલે લોકો માટે, લોકો દ્વારા, લોકોની રાજ-વ્યવસ્થા! મારી દ્રષ્ટિએ લોકશાહી એક જ શબ્દમાં આવી જાય છે: 'એકાઉન્ટેબિલીટી' અથવા વિશ્વસનીયતા! તમારા સુકર્મો કે કુકર્મોને માટે તમે જવાબદાર છો, તમારું ઉત્તરદાયિત્વ છે, તમને પ્રશ્ન પૂછવાનો જનતાને અધિકાર છે. તમે મનસ્વી નથી, તમે રાજા નથી, તમે માત્ર પ્રજાપતિ છો. જો પ્રેઝીડેન્ટને માટે રાષ્ટ્રપતિ શબ્દ વાપરીએ તો ગવર્નર કે ચીફ મિનિસ્ટરમાંથી એકને માટે પ્રજાપતિ શબ્દ વાપરવો જોઈએ.

સત્તા પર બેઠેલા ગમે તે માણસની મૂર્ખતાનો દુર્જન લાભ ઉઠાવી શકે છે, પણ સત્તા પર બેઠેલા દુર્જનની પ્રજાને મૂર્ખ બનાવવાની બદદાનતને પ્રજાવાદમાં સીમા બાંધેલી છે. ભારતના સંવિધાનમાં ભારતના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિની શક્તિઓની પણ મર્યાદા બાંધેલી છે. કાયદો એટલે જ અમર્યાદ સ્વાતંત્ર્ય પર મર્યાદાની લગામ! જે માણસ પ્રામાણિક છે એ કાયદો સ્વીકારીને પોતે જ પોતાના પર પ્રતિબંધ મૂકે છે અને મર્યાદા બાંધે છે. રામાયણના મર્યાદા-પુરુષનો એવો જ કાંઈ અર્થ હશે. અંકુશનું સંતુલન સંવિધાનના પાયામાં છે. એલજીબ્રાના દાખલાની જેમ સત્તા અને શક્તિના સમીકરણો સામસામાં અને સરખાં ગોઠવાય તો જ રાજતંત્ર ચાલી શકે. ચાબુક એક્સીક્યુટીવના હાથમાં છે, પણ લગામ જ્યુડીશીઅરી પાસે છે.

આજે ભારતીય પ્રજાવાદમાં શાસન (એક્સીક્યુટીવ) અને ન્યાય (જ્યુડીશીઅરી) એકબીજાના પૂરક થવાને બદલે વિરોધક થઈ ગયા છે. શાસન અને ન્યાય છૂટા રહેવા જોઈએ એવું સંવિધાનના માર્ગદર્શક સિદ્ધાંતોમાં લખ્યું છે. પણ એ પક્ષ અને વિપક્ષ નથી. આ બે વચ્ચેની સીમારેખા સ્પષ્ટ છે પણ મજબૂત અથવા મૂર્ખ અથવા ગાંડો શાસક આ ભૂંસી નાખે છે. ક્યારેક ન્યાયાલય મજબૂત અને લોકપ્રિય શાસકને પણ અકારણ અકળાવે છે ત્યારે જવાહરલાલ નહેરુ જેવાએ પણ કહ્યું હતું: સુપ્રિમ કૉર્ટ એ સંસદનું ત્રીજું ભવન નથી, એ માત્ર સુપ્રિમ કૉર્ટ છે. એણે સંસદના ત્રીજા ભવન થવાની ગુસ્તાખી કરવી જોઈએ નહીં.

પણ એ દિવસો જુદા હતા. ઘરના કરોડો રૂપિયા અને જવાનીનાં તેર વર્ષોનો જેલનિવાસ દેશને સમર્પણ કરીને આવતા પારસમણિ જેવા સ્વચ્છ જવાહરલાલ નેહરુ જેવા દેશનેતાઓ હતા. 1928 અને 1982 વચ્ચે બધું જ ઊંધુચત્તું થઈ ગયું છે - આંકડાઓની જેમ!

આ દેશના ઇતિહાસે વિવિધ પ્રકારના સેંકડો શાસકો જોયા છે - હુકમ કરનારા અને જોહુકમી સહન કરનારા, ઉમદા અને ઉલ્લુના પઠ્ઠા, કલાકારો અને કમબખ્તો, સૂર્યવંશી અને સુવ્વરની ઔલાદો, સંતો અને શયતાનો! ભારતીય પ્રજાએ સદીઓનો અનુભવ પચાવ્યો છે. જેમના વ્યક્તિત્વમાં વિરાટ વિરોધાભાસ છે એવા ઔરંગઝેબો પણ આલમગીરો બનીને પસાર થઈ ગયા છે! ઔરંગઝેબ ભયાનક ઝુલ્મગાર હતો, સગાઓનું ખૂન વહાવનારાઓમાં એનો મુકાબલો નથી...અને એ એટલો ખાનદાન માણસ હતો કે દુનિયા એને "આલમગીર ઝિન્દા પીર" કહેતી હતી! દક્ષિણમાં ચડાઈ વખતે એની પત્ની રૂબિયા બેગમને પ્લેગ થયો ત્યારે એણે સરકારી ખજાનામાંથી પૈસો વાપર્યો ન હતો! એનું વિધાન હતું કે આ ધન સરકારી છે, મારું નથી! ફળ એ આવ્યું કે રૂબિયા બેગમ પ્લેગમાં મરી ગઈ...! સારા અને ખરાબનું આવું વિચિત્ર મિશ્રણ બહુ ઓછા મનુષ્યોમાં જોવા મળે છે...

ન્યાય સંપૂર્ણ નથી પણ એમાં સદીઓના ડહાપણનું ચયન હોય છે એમ મનાય છે. ન્યાયની ધુરા પર રાષ્ટ્રો ઊભાં રહે છે. ન્યાય ભૂલો કરે છે એ સાચું છે પણ સિદ્ધાંતો ખોટા નથી. ગરમીથી પારો ફેલાઈ જાય છે એ ભૌતિકશાસ્ત્રનો એક સિદ્ધાંત છે. પણ જો એક થરમોમિટરમાં ગરમી આપવા છતાં પારો ફેલાય નહીં તો એ થરમોમિટર ખોટું છે, પારાની વૃદ્ધિનો સિદ્ધાંત ખોટો નથી! આવું જ કંઈક ન્યાયનું, ન્યાયાલયનું, ન્યાયાધીશનું છે. આ ઇતિહાસબોધ છે.

પ્રામાણિકતાનો હ્રાસ થઈ શકે છે, તદ્દન લોપ થઈ જતો નથી! અને સમાજકારણમાં જ નહીં પણ રાજકારણમાં પણ આ સિદ્ધાંત વજ્રલેપની જેમ ઊભો છે!

(ગુજરાત સમાચાર, 1982)

(રાજકારણ-1)

October 15, 2015

લઘુમતી શબ્દ હવે જૂનો થઈ ગયો છે!

લઘુમતી એટલે? જેમની સંખ્યા ઓછી છે! કેટલી ઓછી? એક ટકો વસતી લઘુમતી કહેવાય પણ દસ ટકા, પંદર ટકા, અઢાર ટકા લઘુમતી કહેવાય? તેત્રીસ ટકા, અડતાલીશ ટકાને લઘુમતી કહેવાય? ભારતના રાજકારણમાં લઘુમતી શબ્દ મહત્ત્વનો છે, કારણ કે લઘુમતીના મત વહેંચાઈ જતા નથી પણ સામાન્ય રીતે એક સાથે જ આવે છે! અને અભ્યાસથી એવું પણ સમજાયું છે કે લઘુમતીના સ્ત્રી-મતો લગભગ સો ટકા એક જ પક્ષ અથવા વિચારધારાને મળે છે. અને એમાં પણ જ્યાં પ્રજા અભણ કે અર્ધશિક્ષિત હોય અને એ પ્રજાનું શિક્ષણધોરણ તદ્દન નીચું હોય ત્યાં 'બ્લૉક વોટિંગ' અથવા એકપક્ષી સમૂહ મતદાન થાય છે!

લઘુમતી શબ્દે ઘણી વિચિત્રતા પેદા કરી છે. ભારતમાં લઘુમતી ગ્રંથિ નામની વસ્તુ પણ હવે પેદા થઈ ગઈ છે જે લઘુતાગ્રંથિથી જરા જુદી છે! લઘુતા અથવા હીનતાની ભાવનાથી વ્યક્તિ ક્યારેક વધારે શાંત થઈ જાય છે પણ લઘુમતીની ગ્રંથિમાં લઘુમતી વધારે અસલામત, આગ્રહી કે આક્રમક બનવાના લક્ષણો દેખાય છે. લઘુમતી પોતાના ધાર્મિક, ભાષાકીય, કે ભૌગોલિક અધિકારો વિષે વધારે સતર્ક અને સભાન બની જાય છે. માનસશાસ્ત્રની ભાષામાં લઘુમતી વધારે ભાવુક અને સંવેદનશીલ બને છે અને એનો આવેશ હિંસારેખાની નીચે જ ઘૂંટાતો હોય છે... 

અમેરિકામાં હવે 'લઘુમતી-બહુમતી' શબ્દો વપરાતા નથી. પહેલાં અમેરિકા 'મેલ્ટીંગ-પોટ કહેવાતું હતું, બધી જાતિઓ અહીં આવીને ઓગળીને એકરસ બનીને અમેરિકન બની જતી હતી. હવે અમેરિકાના વિચારકો એમ માને છે કે આ એકરસ થઈ ગયેલી વસ્તુ અમેરિકા નથી પણ અમેરિકા એક મોઝેઈક છે - જુદા જુદા રંગોવાળા આરસના ટુકડા ફીટ કરવાથી જે ડિઝાઈન બને છે એ ડિઝાઈન છે! એમાં દરેક રંગનું મહત્ત્વ છે. દરેક રંગની જુદાઈ અને એની અલગતા ગર્વ લેવાની વસ્તુ છે, કોઇ પ્રજા બહુમતીમાં નથી, દરેક જાતિનું પોતાનું અલગ અસ્તિત્વ અને મહત્ત્વ અને યોગદાન છે! ભારતમાં પણ ભાવનાત્મક ઐક્યની આપણે વર્ષો સુધી વાતો કરી પણ આચરણમાં બહુ પ્રગતિ કરી શક્યા નહીં. એકચક્રી શાસનનો પ્રયોગ એ સમયે ઠીક હતો પણ હવે એમાં તિરાડો દેખાય છે!

કાશ્મીરને નિયમિત પંપાળવું પડે છે, શીખ અકાલીઓ અલગતાવાદના માર્ગ પર છે, આસામ-મીઝોરમ-નાગાલેન્ડ, મણિપુર-ત્રિપુરાના પ્રશ્નો હવે આપણને દઝાડે એવા ભડકી રહ્યા છે, બંગાળના કમ્યુનિસ્ટો સાફ આરોપ મૂકે છે કે કેન્દ્ર બંગાળને એક કોલોની અથવા સંસ્થાન સમજી રહ્યું છે, દક્ષિણમાં તામિલનાડુ પંદર વર્ષોથી 'મદ્રાસી' સ્થાનિક પક્ષોના હાથમાં જ છે, આંધ્રમાં રામરાવની તેલુગુ દેશમની તરવાર ઊભી જ છે, કર્ણાટકમાં કન્નડા-રંગાનું આંદોલન છે, કેરાલા ક્યારેય કેન્દ્રની એડી નીચે સતત રહ્યું નથી! આ ભૌગોલિક 'લઘુમતીઓ'નું ચિત્ર છે. કદાચ અમેરિકાની જેમ ભારતે પણ હવે 'મેલ્ટીંગ પૉટ'ના સ્થાને 'મોઝેઈક'નો વિચાર કરવાનો સમય આવી ગયો છે. 'ભાવનાત્મક ઐક્ય'ને બદલે 'ભાવનાત્મક વૈવિધ્ય'નો વિચાર આજના સમયમાં યોગ્ય લાગી રહ્યો છે.

સ્થાનિક દ્રવિડ પક્ષોના હાથમાં રહેવાથી તામિલનાડે છેલ્લા પંદર વર્ષોમાં પ્રગતિ કરી નથી? હરિયાણા અને ગુજરાત છૂટા પડ્યા પછી આજ વીસ-પચીસ વર્ષોમાં  ભારતનાં પ્રથમ રાજ્યો બની ગયાં છે! દુનિયામાં વસેલા ભારતીયોમાંથી ગુજરાત, કેરાલા અને પંજાબના લોકોને બાદ કરી નાંખો તો શું રહે? ટૂંકા સમયમાં વધારે પ્રગતિશીલ થવું જ પડે છે... અને આંધ્ર પ્રદેશની જેમ ભાવનાત્મક ઐક્યની ગુડ્ઝ ટ્રેનના ડબ્બા થવા કરતાં નાનકડા ગોવાની જેમ ડીલક્ષ બસ થવું શું ખોટું? ગોવાને મહારાષ્ટ્રમાં ડુબાડી દીધું હોત તો ગોવા કદાચ આટલી પ્રગતિ કરી શકત કે નહીં એ પ્રશ્ન છે. જાતિય વૈવિધ્યને બદલે હવે શાંતિથી વિચારવાનો સમય ભારતીય રાજનીતિમાં આવી ગયો છે.

અમેરિકા આ બાબતમાં બહુ તંદુરસ્ત વિચારો કરી શકે છે. ત્યાં બહુમતી નથી. મૂળ અંગ્રેજ આવેલા જે વસતીમાં આજે પંદર ટકા જેટલા છે. જર્મન રક્તવાળા અમેરિકન તેર ટકા છે, હબસી અથવા નીગ્રો અગિયાર ટકા છે. આજે અમેરિકામાં આયરલેન્ડ કરતાં વધારે આયરીશ છે, ઈઝરાયલ કરતાં વધારે યહૂદીઓ રહે છે અને આફ્રિકાના કેટલાય દેશો કરતાં વધારે હબસીઓ રહે છે. ઈટલીના વેનિસ નગર કરતાં વધારે ઈટાલીઅનો ન્યૂયોર્કમાં છે અને પોલેન્ડના કેટલાંય શહેરો કરતાં વધારે પોલ લોકો ડેટ્રોઈટમાં વસે છે! 1965 પછી અમેરિકામાં વિચારો બદલાયા છે અને જાતિવાદની જુદાઈને હવે પ્રોત્સાહન મળતું જાય છે. હવે લઘુમતી કે 'માઈનોરીટી'ને બદલે જાતીય કે 'ઍથ્નિક' શબ્દ વપરાવા માંડ્યો છે.

ભુજ કરતાં વધારે કચ્છીઓ મુંબઈમાં રહે છે અને રાજકોટ કરતાં વધારે કાઠિયાવાડીઓ મુંબઈમાં રહે છે! અને અમદાવાદ કરતાં વધારે ગુજરાતીઓ પણ મુંબઈમાં વસે છે! એક અનુમાન પ્રમાણે છવ્વીસથી અઠ્ઠાવીસ લાખ ગુજરાતીઓ મુંબઈમાં છે. આટલી મોટી સંખ્યાને લઘુમતી કહેવાય! અથવા કહેવાવી જોઈએ? ગોવા કરતાં વધારે કૅથલિક અને કેરાલાનાં મોટાં શહેરો કરતાં વધારે મળયાળી પ્રજા મુંબઈમાં છે. આ બધાના વિવિધ જાતિ મોઝેઈકને લીધે મુંબઈ ભારતમાં પ્રથમ સ્થાન ધરાવે છે. ભાવનાત્મક ઐક્યનું બુલડોઝર ફરી જાય તો મુંબઈ કલકત્તા બની જાય! અમેરિકા પ્રગતિ કરી શક્યું છે કારણ કે એ દરેક પીડિતની માતૃભૂમિ છે - હંગેરીથી, પૂર્વ યુરોપથી, વિયેતનામથી, ચીનથી દુનિયાને છેડેથી માણસ આવ્યો અને અમેરિકામાં એને સ્વતંત્રતા મળી! પોતાની ઇચ્છા પ્રમાણે જીવવાની સ્વતંત્રતા, પોતાની ઇચ્છા પ્રમાણે ધર્મ પાળવાની અને પરણવાની સ્વતંત્રતા...! અને અમેરિકામાં લઘુમતી નથી, બહુમતી નથી. સાચા અર્થમાં અનેકતામાં એકતા છે!...

(રાજકારણ-1)

October 5, 2015

ભાષણ, સંભાષણ અને અભિભાષણ

ઈન્દિરા ગાંધી પંદર વર્ષથી પ્રધાનમંત્રી છે અને એમણે દસ હજાર પ્રવચનો આપ્યાં હશે (દિવસના સરેરાશ બેને હિસાબે) પણ ભાગ્યે જ એમનું કોઇ વાક્ય મશહૂર થયું હશે! જે માણસો એમને તરત પ્રવચનો લખી આપતા હોય એમને તરત પાણીચું આપી દેવું જોઈએ. હજી વક્તા તરીકે ઈન્દિરા ગાંધી ઇતિહાસમાં સ્થાન પામે એવું એક પણ વાક્ય બોલ્યાં નથી!

આ મતલબની વાત હમણાં એમના પ્રશંસક ખુશવંતસિંહે લખી છે, અને શ્રીમતી ગાંધીના એકકાલીન તરફદાર અંગ્રેજ જેમ્સ કેમેરોને પણ આમ જ લખ્યું છે એવો ખુશવંતસિંહે હવાલો આપ્યો છે જે લોકોએ ભારતના મહાન વક્તા-દેશનેતાઓને સાંભળ્યા છે એમને આ વાત સાચી લાગશે. ઈન્દિરા ગાંધી પાસે વક્તાની તેજસ્વી આભા કે ઝલઝલા પેદા કરે એવી ધારદાર ભાષા કે ઇતિહાસમાં પાનાં પર અંકિત થઈ જાય એવાં વાક્યો નથી! નેહરુની બેટી પાસે નેહરુની ગજબનાક વક્તૃત્વશક્તિની છાયા પણ આવી નથી એ હકીકત છે...

હિન્દુસ્તાનમાં છેલ્લાં ચાળીસ વર્ષોમાં કેટલાક મહાન રાજનેતા વક્તાઓ વ્યાખ્યાતાઓને સાંભળવાનું સૌભાગ્ય મળ્યું છે, આજે રેડીઓ અને ટીવીના સમાચાર વાંચનારાઓ બોલે છે ત્યારે રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રીના ભાષણને માટે 'સંભાષણ' કે 'અભિભાષણ' જેવા શબ્દો વાપરતા સાંભળ્યા છે. એ જમાનામાં જ્યારે મોહનદાસ ગાંધી અને જવાહરલાલ નેહરુ દેશના નેતાઓ હતા ત્યારે ફક્ત ભાષણો થતાં હતાં. હજી સુધી અભિભાષણનો અર્થ સમજાયો નથી. કદાચ રાષ્ટ્રપતિ ઝૈલસિંઘ બોલે છે એને અભિભાષણ કહેતા હશે. ઝૈલસિંઘ જ્યારે રાષ્ટ્રપતિ બન્યા અને શપથ ગ્રહણ કર્યા ત્યારે એમણે કહ્યું હતું; 'હમ પરગતિ કરેંગે! (એમનું કહેવું હતું: 'હમ પ્રગતિ કરેંગે!) પ્રગતિમાંથી પરગતિ થઈ જાય એને અભિભાષણ કહેવાય એમ લાગે છે.

1947માં ગાંધીજીને કલકત્તા પાસેના સોદપુર આશ્રમમાં સાંભળ્યા હતા. ગાંધીજીને સાંભળવાનો એ પહેલો અને છેલ્લો પ્રસંગ હતો. પ્રાર્થના સભામાં જ્યુથિકા રેએ ભજન ગાયું હતું. પછી ગાંધીજીએ પ્રવચન આપ્યું હતું. એ 'સ'નો ઉચ્ચાર કરી શકતા ન હતા અને 'શ' સંભળાતું હતું પણ વિચારોની સ્પષ્ટતા અને સંતુલન સમજવાની ઉંમર ન હોવા છતાં એ દ્રશ્ય, એ મુદ્રા, ગાંધીજીનું આગમન અને ગમન બધું જ સ્મૃતિપટ પર અંકિત છે! પછી ગાંધીજીના પ્રવચનો વાંચ્યાં ત્યારે થયું કે વિચારની પારદર્શકતા, ભજનની સાદગી અને મહામાનવની સહજતા એમનાં વાક્યોમાં સનાતન રહેશે. એ સામાન્ય વક્તા હતા પણ એમની અસર અસામાન્ય થતી હતી... સાદાઈ અને ભાષાની સરળતામાં ગાંધીજીની યાદ આપે એવાં પ્રવચનો લાલબહાદુર શાસ્ત્રીના હતાં, જે ગાંધી જયંતિને દિવસે જ જન્મ્યા હતા! 1965ના પાકિસ્તાન યુદ્ધ પછી એમને કલકત્તામાં સાંભળ્યા હતા. રામાયણ વાંચતા હોય એ રીતે એ બોલતા પણ દરેકેદરેક શબ્દ સંભળાતો અને પ્રયત્ન વિના સમજાતો. ગરીબી, અને પોતાની ગરીબીની વાત પણ એમણે રમૂજથી કરી હતી. એમના અવાજમાં સચ્ચાઈ લાગતી હતી. વક્તા તરીકે કમજોર પણ વ્યક્તિ તરીકે વિશ્વાસપાત્ર લાગે એવો એમનો સ્વર હતો.

જવાહરલાલ નેહરુને પ્રથમ 1945 કે 1946માં કલકત્તાના ખેંગરાપટ્ટી મેદાનમાં સાંભળ્યા હતા. આજે એ મેદાન પણ રહ્યું નથી. નેહરુના અવાજની ખરાશ, નેહરુનો ગુલાબી મિજાજ, નેહરુની ઝાગદાર હિન્દુસ્તાની ભાષા, નેહરુનો ગુસ્સો એ પહેલી મિટીંગમાં જ જોઈ લીધો. પછી નેહરુને ઘણીવાર સાંભળ્યા, બે વાર તદ્દન નિકટથી દસેક ફીટના અંતરથી સાંભળવાનો મોકો મળ્યો. દરેક પ્રવચન (અંગ્રેજી) એ શરૂ કરતા: 'ફ્રેન્ડ્ઝ ઍન્ડ કૉમરેડ્ઝ!' એમના ઉચ્ચારણમાં જબરી મીઠાશ હતી: ગવર્મેન્ટનો ઉચ્ચાર 'ગમ્મેન્ટ' જેવો થતો. એ અવાજમાં પાગલ કરી મૂકે એવું ચુંબકીય ખેંચાણ હતું - ખૂબસૂરત, વિદ્વાન, સશક્ત, કરોડપતિનો એકનો એક બેટો જેણે બાર વર્ષો અંગ્રેજોની જેલોમાં ગાળ્યાં હતાં એ જવાહરલાલ આઠ વર્ષના બાળકથી એંશી વર્ષના વૃદ્ધ સુધી દરેકને હચમચાવી શક્યા હતા...ફક્ત અવાજથી! એમની પ્રવચન આપવાની સ્ટાઈલ પર એક આખું પ્રવચન આપી શકાય એટલાં પ્રવચનો નેહરુની ઝબાનથી સાંભળ્યાં છે.

સન 15 ઑગસ્ટ 1947ની રાતે એમણે દિલ્હીની સંસદસભામાં હિન્દુસ્તાન આઝાદ થઈ રહ્યું હતું એ ક્ષણે આપેલું ધબકતું પ્રવચન પાલનપુરમાં રેડિયો પર સાંભળ્યું હતું અને 30 જાન્યુઆરી 1948એ ગાંધીજીની હત્યાની રાત્રે નેહરુ બોલ્યા હતા એ આખું પ્રવચન નેહરુના રડવાના અવાજ સાથે બરાબર સાંભળ્યું છે!

1971ના યુદ્ધની શરૂઆત થઈ એ રાત્રે બારેક વાગે ઈન્દિરા ગાંધીએ જે વાયુ પ્રવચન આપ્યું હતું એ કદાચ એટલું જ યાદગાર હતું - શબ્દોની દ્રષ્ટિએ નહીં પણ ઐતિહાસિકતાની દ્રષ્ટિએ!

ભુવનેશ્વરમાં 1959માં ડૉ. રાધાકૃષ્ણનને નિકટથી સાંભળ્યા હતાં. ભાષાનું પ્રભુત્વ અને અવાજનું માધુર્ય રાધાકૃષ્ણન જેવું ભાગ્યે જ કોઈનું જોયું સાંભળ્યું છે. રાધાકૃષ્ણનની વાણી માટે 'અસ્ખલિત' શબ્દ જ વાપરી શકાય. તે તદ્દન સફેદ વસ્ત્રો પહેરતા અને ગોરા હતા. ભારતે એમની કક્ષાના વક્તાઓ બહુ ઓછા પેદા કર્યા છે.

સરદાર પટેલને એમના અવસાન પૂર્વે 1949માં સાંભળ્યા હતા. એમની તબિયત અસ્વસ્થ હતી. હિંદી પણ ગુજરાતીની છાંટવાળું લાગે પણ ખરેખર સ્પષ્ટ વક્તા! અને લોકો ધ્યાનથી એકેએક શબ્દ સાંભળે. વાતો કરતા હોય એટલી નિકટતાથી એ પ્રવચન આપતા.

1945માં જયપ્રકાશ નારાયણ છૂટીને આવ્યા ત્યારે યુવાપેઢીના હીરો હતા! ખૂબસૂરત, ઊંચા અને નેહરુ પછી બીજા સૌથી લોકપ્રિય નેતા! એમને ઘણીવાર એ અરસામાં સાંભળેલા. ડૉ. રામમનોહર લોહિયા, કલકત્તાના કૉફી હાઉસમાં આવીને બેસતા, ગમે તે માણસ ખુરશી ખેંચીને જોડાઈ શકે! એ લાભ પણ મળ્યો હતો - લોહિયા એકલા જ બોલ્યા કરે બાકી બધાએ સાંભળ્યા કરવાનું - પણ મહાન, મેધાવી, તેજસ્વી માણસ! મોતના સમાચાર સાંભળીને ગળું ભરાઈ આવે એવું વ્યક્તિત્વ! અશોક મહેતા ખૂબ જ સરસ ઉર્દૂ બોલતા.

આર.એસ.એસના ગુરૂજી ગોલવાલકરને સાંભળ્યા છે અને વીર સાવરકરને પણ બે વાર સાંભળવાનું સૌભાગ્ય મળ્યું છે. સાવરકર બહુ ઠીંગણા હતા પણ એમના સ્વરમાં જે રોષ અને આક્રોશ હતાં એવાં બહુ ઓછા વક્તાઓમાં સાંભળ્યાં છે! એ નાશિકની મિલિટરી સ્કૂલમાં અમને પ્રવચન આપવા આવેલા.

શેખ મુજીબ છૂટીને ઢાકા ગયા ત્યાં જે ઐતિહાસિક ભાષણ કરેલું એ રેડિયો પર સાંભળ્યું છે. એવું જ એક ભાષણ મુજીબે કલકત્તામાં આપેલું, અને શરૂઆત કરેલી: 'ભાયેરા અમારા!' (ભાઈઓ મારા!) આવાં ભાષણો અને વક્તાઓને સાંભળ્યા અને જોયા પછી ઈન્દિરા ગાંધી જરા કમજોર લાગે છે. 'ઈન્દિરા પ્રિયદર્શિની' નામ જવાહરલાલે એમની બેટી માટે પાડ્યું હતું! દર્શન આપવામાં આજે પણ શ્રેષ્ઠ છે પણ ભાષણ આપવામાં એ હજી 'પ્રિયભાષિણી' થઈ શક્યાં નથી એનો જરાક રંજ છે...!

('રાજકારણ-1'માંથી)

ચૂંટણી અને ફિલ્મ કલાકારો

નિર્વાચન એક એવો સમય હોય છે જ્યારે આંખોમાંથી વિસ્મય અને કાનમાંથી અશ્રદ્ધા ભૂંસી નાખવાનાં છે. બધું જ ઉચિત છે, બધું જ સંબદ્ધ છે. બધું જ બોલી શકાય છે. દુશ્મન દુશ્મન છે - નિર્વાચનમાં પરિણામો જાહેર થઈ જાય ત્યાં સુધી! એની બધી જ ભૂલો, એબો, ખરાબીઓ પર્દાફાશ કરવાનાં છે, અને શેષ કરી નાંખવાનો છે, પરાસ્ત કરવાનો છે, એનું ચારિત્ર્ય તોડી ફોડીને ખતમ કરી નાખવાનું છે. એને જીતવાનો છે. પણ પરિણામો જાહેર થઈ ગયા પછી આ આપણા પક્ષમાં આવી જશે. પાટલી બદલુ કહો કે 'ટોપી બદલ ભાઈ' કહો એ આપણા પક્ષમાં આવી જશે. એટલે શુદ્ધ થઈ જશે! બહુમતી બધાને શુદ્ધ કરી નાંખે છે...

બહુમતી શાસકપક્ષની હોય તો હમેશાં એકવચનમાં જ બોલતી હોય છે. વિરોધીને ચૂંટણીમાં જીતી ન શકાય તો ગભરાવાનું નથી. ચૂંટણી પછી પણ એને જીતી શકાય છે!

ખેર, આ નિર્વાચન મજાનું છે. વધારે રંગીન અને વધારે વૈવિધ્યવાળું છે. ભારતનાં લગભગ બધાં જ સમાચાર પત્રો અને સામયિકો સૌથી મહત્ત્વ આપી રહ્યાં છે: ફિલ્મી સિતારાઓને! એમની કવર-સ્ટોરીઓ આવી ગઈ છે. ધોધ વહી ગયો છે. ફિલ્મી સિતારાઓ રાષ્ટ્રીય ચૂંટણીમાં પહેલીવાર આવી ગયા છે એવું નથી. 1952માં જ્યારે પ્રથમ રાષ્ટ્રીય ચૂંટણી થઈ હતી ત્યારે મુંબઈના અંધેરી વિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે વિધાનસભા માટે એક મહાન ફિલ્મી સિતારાએ ઝુકાવ્યું હતું અને એ મહાન સિતારાને બે હજાર વોટ પણ મળ્યા હતાં! એ મહાન સિતારાનું નામ: રાજ કપૂર!

આજે બત્રીસ વર્ષ પછી ભારતનું ચિત્ર બદલાયું છે. રાજ કપૂરનો વારસો આજે અમિતાભ બચ્ચન અને સુનીલ દત્ત અને વૈજયંતિમાલા સંભાળે છે. એક મત એવો પ્રવર્તે છે કે આપણા રાષ્ટ્રજીવનનું આ ઘોર અવમૂલ્યન થઈ ગયું છે કે આપણે ફિલ્મી નટનટીઓને પકડી લાવવા પડે છે!

કરોડો રૂપિયા કમાનારા, ટેબલની ઉપરથી અને નીચેથી રૂપિયા લેનારા, શરાબો અને સુંદરીઓ સાથેની કચકડાની જિંદગી પડદા પર ભજવનારા, હજારો રૂપિયા પાણીની જેમ વહાવનારા ગરીબીને હટાવવાની વાત કરી રહ્યાં છે. ઍક્ટિંગ ક્યાં શરૂ થાય છે અને ક્યાં અટકે છે? હસવું કે રડવું એ નક્કી કરવું પણ મુશ્કેલ છે! અમિતાભ માટે જગતના ડૉક્ટરો મુંબઈ આવ્યા હતા, સુનીલ દત્તની પત્નીને ન્યુયોર્કમાં સારવાર અપાઈ હતી. કદાચ આપણે જેને ગરીબી સમજીએ છીએ અને આ કલાકારો જેને ગરીબી કહે છે એ બે જુદી વસ્તુઓ છે. આપણી ગરીબી એક ઘટના છે. એમની ગરીબી એક રચના છે.

(ગુજરાત સમાચાર: 1985) (રાજકારણ-1) 

માણસ વાંદરામાંથી આવ્યો છે?

'તમે કહો છો કે માણસ વાંદરામાંથી આવ્યો છે. તમે હશો, હું નથી. આ એક જૂઠ છે. તમે લોકોએ બનાવ્યું છે. તમે કહો છો કે માણસ વાંદરામાંથી આવ્યો છે તો મને કહો કે પોપટ કોનો બેટો છે? પોપટ કેવી રીતે આવ્યો? એની ચાંચ અને લીલાં પીછાં હજી એવાં જ કેમ રહ્યાં છે? અને વાંદરા બદલાઈ જાય, એમની પૂંછડીઓ ખરી પડે અને એ માણસ બની જાય તો કહો કે હજુ એ શા માટે જીવતા રહ્યા છે? તમારા પછી કેમ કોઇ ફેરફાર થયો નથી? અજંતા ઈલોરા જુઓ, આપણી જૂની ગુફાઓ જુઓ...બુદ્ધની મૂર્તિ જુઓ. આપણા કરતાં એમનો ચહેરો વધારે સ્વરૂપવાન છે. એ વાંદરાના બેટા છે? તદ્દન બકવાસ-'

- રાષ્ટ્રપતિ ઝૈલસિંઘ, ચંડીગઢમાં ભરાયેલા નૃવંશશાસ્ત્રીઓના આંતરરાષ્ટ્રીય સંમેલનમાં.
(રાજકારણ-1માંથી)

રાજાને મીઠું જોઈએ છે! (ઈરાની લોકકથા)

એકવાર આચાર્ય કૃપલાનીએ કેન્દ્રની સંસદમાં એક પ્રસંગ કહ્યો હતો. આ પ્રસંગ એક ઈરાની લોકકથા છે. એક રાજા જંગલમાં શિકાર કરવા ગયો. એણે જંગલી મુર્ગાઓ માર્યા, પકાવ્યા, ખાવા બેઠા ત્યારે રાજાને નિમકની જરૂર પડી! જંગલમાં નિમક કે મીઠું લેવા માણસો દોડાવતાં પહેલાં રાજાએ એ માટે માણસોને પૈસા આપવા માંડ્યા. વઝીરે કહ્યું: શહંશાહને થોડું નિમક જોઈએ એ માટે પૈસા ખર્ચવાના ન હોય! રાજાએ કહ્યું: શહંશાહે કોઇ વસ્તુ મફતમાં લેવી નહીં. નિમકના પણ પૈસા આપી દેવાના! જો હું મીઠાના પૈસા નહીં આપું તો મારી નીચેના માણસો આખો મુર્ગો જ મફત લઈ આવે એવો દિવસ આવશે!...જો ભ્રષ્ટાચાર રોકવો હોય તો રાજાએ નિમક પણ ખરીદીને લેવું, મફતમાં કંઈ જ લેવું નહીં...

કાયદો માનવો અને કાયદાને તાબે થવું રાજાના હિતમાં છે, રાજા નાનો કાયદો પાળશે તો પ્રજા મોટો કાયદો પાળશે! 

('રાજકારણ-1'માંથી)

કમિટી, કમિશન ઈન્કવાયરી: કંઈક બળવાની વાસ આવી રહી છે

કમિટીવાદ ભારતીય રાજકારણનું નવું કલ્ચર છે. લઠ્ઠો પીને માણસો મરી ગયા છે - કમિટી નીમો! ઈન્દિરા ગાંધીએ કટોકટીમાં બદમાશીઓ કરી છે - કમિટી નીમો! એર ઈન્ડિયાનું હવાઈ જહાહ તૂટી ગયું - વન મેન કમિશન નીમો! રેલ્વે અકસ્માત હોય કે હિંદુ મુસ્લિમ હુલ્લ્ડ થઈ જાય, રાજનેતાઓ પાસે ગરમાતા જનમતના ફુગ્ગામાંથી હવા કાઢી લેવા માટેની પીન છે: તપાસ, જાંચ, પડતાલ, ઈન્કવાયરી! ત્રણ, ચાર, છ માસમાં જનતા બધું જ ભૂલી જશે. કમિટી, કમિશન, તપાસ પંચોનું એક વિરાટ જગત છે. હિન્દુસ્તાનની યુનિવર્સિટીઓમાં એમ.એ.ના રાષ્ટ્રવિજ્ઞાનના અભ્યાસક્રમમાં આ કમિટીવાદ વિષે એક પચાસ માર્કનો પેપર રાખવો જોઈએ!

કમિશન નીમવાના ફાયદા પણ છે. એનાથી સમસ્યા મુલત્વી રાખી શકાય છે. કમિશનનો રિપોર્ટ આવે છે ત્યાં સુધી લોકો વાત ભૂલી ગયા હોય છે, એ સમસ્યાનું મહત્ત્વ ખતમ થઈ ગયું હોય છે અથવા નવી અને વધારે ગંભીર સમસ્યાઓ પ્રકટ થઈ ચૂકી હોય છે. વિરોધી પક્ષો અને જનતાનો તાપ કામચલાઉ દૂર કરવા માટે કમિશન એક આદર્શ પ્રશાસનિક વ્યવસ્થા છે.

કમિશનમાં કોણ નિમાય છે? સામાન્ય રીતે નિવૃત્ત ન્યાયાધીશોને એ કામ સોંપાય છે. એમનું પ્રવાસભથ્થું, નિવાસભથ્થું અને પગાર અથવા કંઈક કામચલાઉ સાલિયાણા પ્રકારનું મળે છે. કેટલાક કમિશનો ખરેખર અભ્યાસ કરીને ગોપનીય માહિતી બહાર લાવે છે અને સ્તુત્ય સેવા કરે છે. પણ પછી કેટલાકને માટે એ નિવૃત્તિ પછીની ઉપકારક પ્રવૃત્તિ બની જાય છે, આવકનું એક સાધન બને છે. એમના કમિશનના કામમાં જેટલો વિલંબ થાય એટલો એમની સગવડો-સુવિધાઓ અને આમદનીમાં વધારો થતો રહે છે. સમય નક્કી હોય છે અથવા નથી હોતો, અને અમર્યાદ શક્યતાઓ છે આ કમિશનનું કામ વધી જવાની!

(સમકાલીન, મે 3, 1987)  ('રાજકારણ-1'માંથી)